smit bhatt 1

કોરોના થયો પણ જ્ઞાનનો પ્રવાહ ન અટક્યો

smit bhatt 2

કોરોના થયો પણ જ્ઞાનનો પ્રવાહ ન અટક્યો હોમ આઇસોલેશન દરમિયાન ઓનલાઇન અભ્યાસ કરીને કોરોનાને મ્હાત આપતો સ્મિત

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં જ્યારે શિક્ષણકાર્ય બંધ છે ત્યારે “શાળા બંધ છે, પણ શિક્ષણ નહી” એ ઉક્તિને રાજકોટના ૧૫ વર્ષીય તરુણ સ્મિત ભટ્ટે કોરોના સંક્રમિત હોવા છતાં પણ ઓનલાઈન શિક્ષણ મેળવી ઉત્તમ રીતે સાબિત કરી છે.

સ્મિતના કાકા કોરોના પોઝિટિવ આવતા તે સહ પરિવાર નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા ગયા ત્યાં સ્મિત સહિત અન્ય ૩ પરિવારજનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે હોમ આઇસોલેશનમાં રહેવાનું નક્કી કર્યું.  

smit bhatt 1

હોમ આઇસોલેશનના સમયગાળા દરમિયાન ઓનલાઇન શિક્ષણ થકી કોરોનામુક્ત થવાના અનુભવને વર્ણવતા સ્મિતે જણાવ્યું હતું કે,” મને કોરોના થયો એટલે હું પહેલા તો ડરી ગયો હતો પણ મારા પપ્પા અને કાકા એ મને સમજાવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, તું તારા અભ્યાસમાં ધ્યાન આપ. બસ, ત્યારથી મને કોરોના થયો છે એ વિચારવાનું જ મે બંધ કરી દીધું. હું નવમાં ધોરણમાં અભ્યાસ કરું છું, દરરોજ બધા ઓનલાઇન લેક્ચર્સમાં હાજરી આપી દરેક વિષયને વિગતવાર સમજીને શિક્ષકો દ્વારા આપતા હોમવર્ક ને હું સમયસર પૂર્ણ કરતો હતો, અને જયારે કોઈ વિષયમાં કંઈ ન સમજાય ત્યારે મારા શિક્ષકોનો સંપર્ક કરીને પ્રશ્નનો ઉત્તર પણ મેળવતો.., આમ ને આમ ક્યારે મારો ૧૪ દિવસનો આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ થઇ ગયો તેની મને ખબર જ ન પડી.

આઇસોલેશનના આ સમયગાળા દરમિયાન દરરોજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હેલ્થ સેન્ટરમાંથી નિયમિત પણે દિવસમાં બે વાર ફોન દ્વારા અમારી તબિયતની પુછપરછ કરવામાં આવતી હતી, ધન્વંતરિ રથના આરોગ્યકર્મીઓ દ્વારા પણ અમને સમયસર આયુર્વેદિક ઉકાળા અને દવાઓ આપવામાં આવતી હતી. તેમની આ સમયસર હોમ આઇસોલેશનની સેવા-સારવારથી અમે બધા કોરોનામુક્ત થયા છીએ. હું મારી જેમ અન્ય વિદ્યાર્થીઓને પણ એક જ સલાહ આપીશ કે કોરોનાથી બિલકુલ ડરવાની જરૂર નથી આપણે સૌ ધ્યાન દઈને અભ્યાસ કરીએ અને સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરીએ તો ચોક્કસ કોરોનાના સંક્ર્મણથી બચી શકાય છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે સ્મિતની સાથે તેમના દાદીમાં, પપ્પા  અને કાકા પણ હોમ આઇસોલેશનમાં મળેલ યોગ્ય સારવારથી કોરોના મુક્ત થયા છે. આમ કોરોના સામે મજબૂત મનોબળ થકી ઓનલાઇન શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરીને સ્મિત ભટ્ટે કોરોનાને મ્હાત આપી અન્ય બાળ દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.