Dr Shahin

૬ મહીનાની સગર્ભાવસ્થામાં કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કોરોના યોધ્ધા ડો. શાહિન અઘામ

રાષ્ટ્રહિતને સર્વોપરી બનાવી ૬ મહીનાની સગર્ભાવસ્થામાં કોરોના દર્દીઓની સારવાર માટે સમર્પીતભાવે કાર્યરત કોરોના યોધ્ધા ડો. શાહિન અઘામ

 રિપોર્ટ:પ્રિયંકા પરમાર

રાજકોટ તા. ૧ સપ્ટેમ્બર – તંદુરસ્ત બાળકના જન્મ માટે સગર્ભાવસ્થા દરમિયાન સવિશેષ કાળજી રાખવાની હોય છે. ત્યારે હાલના પ્રવર્તમાન કોરોના સંક્રમણના કપરાકાળમાં  માત્ર રાષ્ટ્રહિત અને પોતાના તબીબી વ્યવસાયને અગ્રિમતા આપી સકારાત્મક અભિગમ કેળવીને પોતાના પરિવારથી અંતર બનાવી રાખીને અનેક લોકોને કોરોના મુક્ત કરીને તેમના પરિવાર સાથે મિલન કરાવતા આરોગ્ય કર્મીએ એવા ડો. શાહિન અઘામ કોરોના યોધ્ધા બનીને ફરજ નિભાવી રહ્યા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, ૬ મહિનાની પ્રેગનેન્સી હોવા છતાં લોધિકા તાલુકા ખાતે ઘન્વંતરી રથમાં ફરજ અદા કરીને લોકોની સેવા-સુશ્રુષા કરી રહ્યા છે. ત્યારે ડો. શાહિનના કોરોના યોધ્ધા અને માતૃશક્તિના હોંસલાએ અન્યો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું છે.

 ડો. શાહિને આ અંગે પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ” લોકોના આરોગ્યની તપાસ માટે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સતત ફિલ્ડમાં રહેવાનું હોય છે. લોકોને માનસિક સઘિયારો પૂરો પાડીને તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે ઘરે ત્રણ વર્ષની દિકરી હોવાથી ફરજ પૂર્ણ કરીને પરત ફરું તો ખાસ ધ્યાન રાખવું પડે છે.”

Dr shahin 2 1 edited

રાષ્ટ્રહિત એ સર્વોપરી છે તેમ જણાવતાં ડો. શાહીન વધુમાં જણાવે છે કે, “કપરા કાળમાં લોકોને સેવા કરવાથી જે આત્મસંતોષ અને ખુશીની લાગણી અનુભવી રહી છું તે અવર્ણનીય  છે. આ સાથે પરિવારની સલામતીને ધ્યાને રાખતાં ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ સ્નાનલેવું, કપડાં, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝને સેનેટાઈઝથી સાફ કરવા સહિતના આરોગ્યલક્ષી પગલાઓ લઈ રહી છું. તેમજ આવનાર બાળક માટે પોષણયુક્ત આહારનું સેવન કરી રહી છું. સાથો સાથ ઘન્વંતરી રથની કામગીરી દરમિયાન શારિરીક ઉર્જા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખી રહી છું.”

અત્રે ઉલ્લેખનીય છે કે, લોધિકા તાલુકામાં ઘન્વંતરી આરોગ્ય રથ દ્વારા ઓગસ્ટ મહિના દરમિયાન ૧૧,૧૦૨ લોકોના આરોગ્યની ઘરઆંગણે જઇને તપાસ કરવામાં આવી છે. જેમાંથી ડાયાબીટીઝના ૨૭૪ તથા બી.પી.ના ૩૨૨ દર્દીઓની ખાસ તપાસ કરી તેઓને જરૂરી દવાઓ અને સારવાર અપાઇ છે. તેમજ રોગ પ્રતિકારકશક્તિ માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે. 

ડો. શાહિન અઘામ જેવા સમર્પીત તબીબો કાર્યરત હોવાથી આપણો દેશ કોરોનો ને ચોકકસ પણે મહાત આપી જીતશે તેમાં બે મત નથી.