રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રની બેચનો વિડીયો કોન્ફરન્સથી E-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
કેન્દ્રિય આરોગ્ય મંત્રી – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પણ સહભાગી થય
મુખ્યમંત્રીશ્રી
- AIIMS જેવી ખ્યાતિ પ્રાપ્ત મેડીકલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ રાજ્યના હેલ્થકેર સેકટરમાં નવા પ્રાણ ફૂકશે
- ગરીબ-છેવાડાના માનવીને પણ હવે સુપર સ્પેશ્યાલિટી સારવાર સુવિધા મળતી થશે
- ઇનોવેશન-રિસર્ચ-સંશોધન ક્ષેત્રે અગ્રેસર ગુજરાત મેડીકલ ટુરિઝમમાં પણ અગ્રેસર બનશે
- AIIMSના યુવા છાત્રો તબીબી ક્ષેત્રના ઉત્કૃષ્ટ અભ્યાસથી રાષ્ટ્રનિર્માણ-રાષ્ટ્ર સેવામાં જોડાય
- પ્રધાનમંત્રીશ્રીએ યુવાશક્તિને વિશ્વના પડકારો ઝિલવા સજ્જ બનાવવા મેડીકલ એજ્યુકેશન સહિત ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ કરી
- ગુજરાતમાં બે દાયકામાં મેડિકલ એજ્યુકેશન ની બેઠકો વધીને ૬ હજાર થઈ
નાયબ મુખ્યમંત્રીશ્રી
ગુજરાતને AIIMS મળે તેવી લાંબા સમયની માંગ દાયકાઓ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂર્ણ કરી
કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી
એઇમ્સ દેશના વિવિધ ભાગોમાં શરૂ કરીને નાગરિકો-જરૂરતમંદોને સસ્તા દરે આરોગ્ય સેવા આપી વેલનેસનું સર્જન કરવાનું પ્રધાનમંત્રીશ્રીનું લાંબાગાળાનું વિઝન છે
કેન્દ્રિય આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી
પૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ. બાજપેયીજીનું દરેક રાજ્યમાં દિલ્હી જેવી AIIMS આપવાનું સપનું ગુજરાતમાં AIIMSથી સાકાર થશે
અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૨૧ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, AIIMS જેવી આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત મેડીકલ ઇન્સ્ટીટયૂટ રાજકોટમાં આવતાં રાજ્યના હેલ્થકેર સેકટરમાં નવો પ્રાણ ફૂંકાશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટના જનપ્રતિનિધિ અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે AIIMSની પ્રથમ બેચના MBBS અભ્યાસમાં જોડાઇ રહેલા છાત્રોને આવકારતાં પ્રેરણા આપી કે ર૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે ત્યારે ભારતમાતા જગતજનની બને તે માટે નવી શિક્ષણ નીતિ, AIIMS જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનનું શિક્ષણ, શ્રેષ્ઠ મેડીકલ એજ્યુકેશનથી તે સદીને ભારતની સદી બનાવવી છે.
તેમણે યુવા છાત્રોને કહ્યું કે, આત્મનિર્ભર ભારતમાં ઇનોવેશન, રિસર્ચ-શોધ સંશોધન ક્ષેત્રે ગુજરાતે ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે. મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. AIIMSના આ યુવા તબીબી છાત્રો ઉત્કૃષ્ટ અભ્યાસથી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપે તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રની પ્રથમ બેચનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇ-પ્રારંભ કરાવ્યો હતો.કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી ડૉ. હર્ષવર્ધન, રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબે નવી દિલ્હીથી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, ગાંધીનગરથી આ વેળાએ જોડાયા હતા. રાજકોટમાં પંડિત દીનદયાળ મેડીકલ કોલેજમાં પ્રારંભિક તબક્કે શરૂ કરવામાં આવેલી AIIMSની આ પ્રથમ બેચમાં પ૦ જેટલા છાત્રોએ MBBSમાં પ્રવેશ મેળવેલો છે. આ વિદ્યાર્થીઓનો આવકાર કરવા રાજકોટમાં સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, પૂનમબહેન માડમ, અમીબહેન યાજ્ઞિક અને AIIMS રાજકોટના પ્રેસિડેન્ટ ડૉ. દવે, નિયામક શ્રી મિશ્રા, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત તબીબો,અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળની સરકારોએ ગુજરાતને AIIMS આપી નહિ પરંતુ પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત અને ખાસ કરીને રાજકોટને આ નવી AIIMSની ભેટ આપી છે. હવે ગરીબ, છેવાડાના અંત્યોદય માનવીને પણ શ્રેષ્ઠ સુપર સેશ્યાલિટી મેડીકલ ફેસેલીટીઝ મળતી થશે. તેમણે ઉમેર્યુ કે, અગાઉ નાગરિકો-લોકોના આરોગ્ય સેવા ક્ષેત્ર-હેલ્થકેર સેકટર પર પૂરતું ધ્યાન ન અપાયું. હવે શ્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારે રાજ્યના જિલ્લાઓમાં મેડીકલ કોલેજીસ આપવાનું શરૂ કર્યુ છે
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં પણ મેડીકલ એજ્યુકેશનની બેઠકો ૯૦૦ હતી તે વધીને બે દાયકામાં ૬ હજાર થઇ છે. અગાઉ માત્ર ૧૦ યુનિવર્સિટી હતી તે હવે ૭૦ થઇ છે. રાજ્યમાં ડૉકટરોની ઘટ આના પરિણામે ઓછી થઇ છે. એટલું જ નહિ, ગુજરાતના યુવાનોને મેડીકલ એજ્યુકેશન માટે રાજ્ય બહાર જવું પડતું હતું કે સ્થિતીનો પણ અંત આવ્યો છે.mશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના યુવાનો દુનિયાના પડકારો ઝિલવા સક્ષમ બને તે માટે પ્રધાનમંત્રીશ્રીએ દૂરદર્શીતા દર્શાવી જે ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ કરી છે તેની છણાવટ કરી હતી. તેમણે આ અંગે કહ્યું કે, ર૦૧૪માં દેશમાં ૯ IIT હતી તે હવે ૧૬ થઇ છે. ૧૩ IIM હતી તે ર૦ થઇ છે અને ૬ AIIMS હતી તે ૧પ થઇ છે. આ જ પૂરવાર કરે છે કે પ્રધાનમંત્રીશ્રીએ દેશના યુવાધનને ઉચ્ચશિક્ષણ ક્ષમતાથી વિશ્વના યુવાનો સાથે બરોબરી કરવા સજ્જ બનાવવાનો ધ્યેય રાખ્યો છે. તેમણે આગામી દિવસોમાં AIIMSનું ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે કરાવવાની પણ જાણકારી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ AIIMSની પ્રથમ બેચના છાત્રોને ઉજ્જવળ કારકીર્દીની શુભેચ્છાઓ પણ આ તકે પાઠવી હતી.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ડૉ. હર્ષવર્ધને રાજકોટ એઈમ્સની પ્રથમ બેચમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજકોટમાં પ્રતિષ્ઠિત એઈમ્સ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશના વિવિધ ભાગોમાં એઈમ્સનો પ્રારંભ કરવાનો ટુંકાગાળાનો હેતુ નાગરિકોને સસ્તા દરે આરોગ્ય સુવિધાઓ પાડવાનો તેમજ દેશમાં વેલનેસનું સર્જન કરવાનું લાંબાગાળાનું વિઝન રાખવામાં આવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ એઈમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રૂ. ૧૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૭૫૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવશે. મલ્ટી સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી સ્તરની આ આધુનિક હોસ્પિટલ બનશે, તેમજ એઈમ્સ રાજકોટનું ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવશે. નવી ૬ એઈમ્સમાં કુલ ૬૦૦ એમબીબીએસ બેઠકો છે તેમાં બીજી ૩૦૦ બેઠકો પણ વધારાવામાં આવશે. સમગ્ર ભારતમાં ૪૨,૪૯૫ એમબીબીએસ બેઠકો સરકારી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. રાજકોટ એઈમ્સનું કાયમી કેમ્પસ બની જશે ત્યારે ઈ.ડબલ્યુ.એસના વિદ્યાર્થીઓ સહિત ૧૨૫ બેઠકોનો પ્રારંભ થશે. ૬૦ નર્સિંગ બેઠકોની પણ ફાળવણી કરાશે, તેમ શ્રી હર્ષવર્ધને ઉમેર્યુ હતું.
કેન્દ્રિય મંત્રીશ્રીએ કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના ટાર્ગેટ મુજબ વર્ષ ૨૦૨૧ સુધીમાં પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૧ ડૉક્ટરની નિમણુક કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રતિબધ્ધ છે. કેન્દ્ર સરકાર વધુમાં વધુ એમબીબીએસની બેઠકો વધે તે દિશામાં કાર્યરત છે. વૈશ્વિક કોરોનાની મહામારીમાં મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ ખુબ જ શ્રેષ્ઠ કામગીરી કરી છે. ડૉક્ટરનો વ્યસાયએ નોબલ વ્યવસાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રી
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતના લોકોની રાજ્યને ‘એઇમ્સ-AIIMS’ મળે તેવી લાંબા સમયથી માંગ હતી. દાયકા બાદ વદાપ્રધાન શ્રી નરેંદ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં ભા.જ.પા.ની સરકાર બની ત્યારે આ અપેક્ષા પૂર્ણ થઈ છે. રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે એઇમ્સનું આગામી શૈક્ષણિક સત્ર પચાસ બેઠકો સાથે શરૂ થયું છે ત્યારે વડાપ્રધાને જોયેલું સ્વપ્ન પરિપૂર્ણ થઇ રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, બે દાયકા પહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને બહારના રાજ્ય અને વિદેશમાં તબીબી શિક્ષણ લેવા જવું પડતું હતું. તબીબી શિક્ષણનો મોટો ખર્ચ થતો હતો. શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમેણે નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે સોસાયટી બનાવી જેને કારણે ગુજરાતમાં મેડિકલ બેઠકોની સંખ્યામાં પર્યાપ્ત વધારો થયો છે.
શ્રી નીતિનભાઇએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે જિલ્લામાં મેડિકલ કોલેજ નથી ત્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત ગ્રાન્ટથી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારે પણ મેડિકલ કોલેજ ન ધરાવતા જિલ્લાની વિગતો આપી છે જે અંતર્ગત તાજેતરમાં જ મોરબી જિલ્લાને મેડિકલ કોલેજની મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, દેશભરમાં વિકાસના રોલ-મોડેલ તરીકે જાણીતા ગુજરાતમાં એઇમ્સની કોઈ જ શાખા ન હતી. આથી વડાપ્રધાને ૧૨૦૦ કરોડના ખર્ચે બનનારી એઇમ્સ કોલેજની ભેટ આપી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્તિગત રીતે જહેમત ઉઠાવી એઇમ્સ માટે રાજકોટ જિલ્લામાં આંતરમાળખાકીય સુવિધાઓ નિર્માણ પામે તેની દેખરેખ કરી છે. વડાપ્રધાન આગામી દિવસોમાં એઇમ્સનું ખાતમુહૂર્ત કરે તેવી અપેક્ષા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચોબેએ જણાવ્યું કે, ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડીકલ સાયન્સિસ દ્વારા રાજકોટમાં ૫૦ MBBS છાત્રોની સાથે શૈક્ષણિક સત્ર ૨૦૨૦નો પ્રારંભ કર્યો છે તે આપણા માટે એક ગર્વની બાબત છે.આ પ્રસંગે શ્રી અશ્વિનીકુમાર ચોબેએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી સ્વ. અટલજીને યાદ કરતા જણાવ્યું કે, સ્વ. અટલ બિહારી વાજપાઇએ તેમના કાર્યકાળમાં જે સ્વપ્ન જોયુ હતું કે દરેક રાજ્યમાં દિલ્હી એઇમ્સ જેવી એઇમ્સ હોય, તે આવનારા સમયમાં ગુજરાતમાં સાકાર થતું જોવા મળશે. એટલું જ નહીં, આ પ્રસંગે ભારતના પૂર્વ વિદેશ મંત્રી શ્રી સ્વ. સુષ્મા સ્વરાજજીને પણ યાદ કરતા તેમણે જણાવ્યું કે, સુષ્મા સ્વરાજજીના કાર્યકાળ દરમ્યાન દેશને ૬ એઇમ્સ પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના કાર્યકાળમાં આજે ૧૬ એઇમ્સ બનાવવાની મંજૂરી મળી છે.
શ્રી અશ્વિનીકુમાર ચોબેએ જણાવ્યું કે, રાજકોટ એઇમ્સ ભવિષ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક નવી દિશા લઇને ઊભરી આવશે. રાજકોટ શહેર રમણિય, સાંસ્કૃતિ અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે જાણીતું છે, ત્યારે આવનારા સમયમાં સ્વાસ્થ્ય માટે એઇમ્સ ફક્ત રાજકોટ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર માટે એક મહત્વનું કેન્દ્ર બનશે.આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં એઇમ્સ બનાવવામાં આવે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પણ ખૂબ મુખ્ય ભૂમિકા રહી છે.આ પ્રસંગે અશ્વિનીકુમારે જે વિદ્યાર્થીઓ NEET પરીક્ષા પાસ કરી રાજકોટ એઇમ્સમાં MBBSમાં પ્રવેશ લીધો છે તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા.