DUDHIBEN RAMANI

૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત કર્યો

DUDHIBEN RAMANI
  • ૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા ૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત  કર્યો
  • “શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે”: જૈફ વયના દર્દી દૂધીબેન રામાણી

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૧૯ ઓક્ટોબર: કોરોના મહામારીને નાથવા સમગ્ર રાજકોટ જિલ્લામાં અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જ્યાં ડોકટરથી લઈને પેરામેડીકલ સ્ટાફ દ્વારા ગંભીર રોગ ધરાવતા દર્દીઓને કોરોના મુક્ત બનાવવા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા રામાણી પરિવારના મોભી ૯૮ વર્ષીય દૂધીબેન રામાણી એ મક્કમ મનોબળે કોરોનાને મ્હાત આપી છે.

અસ્થમાના દર્દી માટે કોરોના વાયરસ ખૂબ જ જોખમી છે કારણકે કોરોના વાયરસ શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે છે અને અસ્થમાનો રોગ શ્વસન તંત્ર સાથે જોડાયેલો છે. અસ્થમાના દર્દીઓએ કોરોના વાયરસના ચેપથી ખાસ બચવું જરૂરી છે. આવા જ ગંભીર રોગથી પીડાતા જસદણના વતની જૈફ વયના દૂધીબા ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, પરિવારજનોને લાગ્યું કે આ અસ્થમાની બીમારીને કારણે થાય છે તેથી દૂધીબા તેમના પૌત્ર જીગ્નેશભાઈ સાથે ફેમેલી ડોક્ટર પાસે નિદાન અર્થે ગયા ત્યાં કોરોનાના લક્ષણો સામે આવતા ડોકટર દ્વારા ટેસ્ટ કરવાનું સૂચન આપવામાં આવ્યું, તેથી તેમના વિસ્તારમાં કાર્યરત ધન્વંતરિ રથમાં ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો,  તેઓ જસદણ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા.

જસદણ કોવિડ કેર સેન્ટરની સારવારના અનુભવને વર્ણવતા દૂધીબેન જણાવે છે કે,”શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે. મને ખબર નથી કે મને કોરોના કઈ રીતે થયો પણ મેં મનથી નક્કી કરી લીધું હતું કે મારે કોરોનામુક્ત બનવું જ છે. ભલે મને અસ્થમા હોય.., હોસ્પિટલમાં મને ૭ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવી હતી. એ વખતે ડોકટરો ખાસ મારી મોટી ઉંમર અને મારી અસ્થમાની બીમારી બન્નેને ધ્યાને લઈને મારી વિશેષ કાળજી રાખતા હતા. સારવારના આ દિવસો દરમિયાન હું હોસ્પિટલમાં બેઠા બેઠા ભજન કર્યા કરતી હતી. ડૉક્ટરોની મહેનત અને સારવારથી જ હું કોરોનાને મ્હાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઈ છું.”

જસદણના કોવીડ કેર સેન્ટરમાં દૂધીબેનને મળેલ સારવાર વિશે વાત કરતા તેમના પૌત્ર જીજ્ઞેશભાઈ જણાવે છે કે,”બા ની મોટી ઉંમર અને અસ્થમાનો રોગ આ બન્નેને કારણે અમને તેમની ચિંતા હતી પણ કોવીડ કેર સેન્ટરમાંથી દરરોજ અમને ફોન પર બાની તબિયત વિશે ડોકટરો જણાવતા હતા. બા પણ કહેતા કે અહીં મને કોઈ તકલીફ નથી. તમે ચિંતા ન કરો હું કોરોનાને હરાવીને જ રહીશ. ખાસ તો અમે કેર સેન્ટરમાં કાર્યરત સમગ્ર સ્ટાફના આભારી છીએ કે તેમણે બા ને પરિવારની જેમ હૂંફ આપીને તેમની સારવાર કરી.”

આમ, અસ્થમા હોવા છતાં ૯૮ વર્ષીય દૂધીબેને મક્કમતાથી જૈફ વયે કોરોનાને મ્હાત આપી અન્યને માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.