કોવિડ ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલનની લેખિત બાંહેધરીના આધારે આજથી બજારો અને માર્કેટસ ખોલવાની મંજુરી: ડો.વિનોદ રાવ
કોવિડ ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલનની લેખિત બાંહેધરીના આધારે આજથી બજારો અને માર્કેટસ ખોલવાની મંજુરી: ઉલ્લંઘન થશે તો ફરીથી બંધ કરાવવામાં આવશે: ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ
વડોદરા, ૩૦ નવેમ્બર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ રોકવાના પગલાં લેવા માટે બનાવવામાં આવેલી મહાનગર પાલિકા અને શહેર પોલીસની સંયુકત ટીમોની ઉમદા કામગીરીને પગલે શની રવી દરમિયાન બહુધા જ્યાં ભીડભાડ રહે છે એવા હોટ સ્પોટના સ્થળોમાં ભીડ ઘટાડવામાં સફળતા મળી છે.આ ટીમો આજે પણ તેમની સંનિષ્ઠ કામગીરી ચાલુ રાખશે.
તેમણે જણાવ્યું કે કોવિડની ગાઈડ લાઈનના સંપૂર્ણ પાલનની આપવામાં આવેલી લેખિત બાંહેધરીને અનુલક્ષીને આજથી બજારો અને માર્કેટસ ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.જો ગાઈડ લાઇનનું ઉલ્લંઘન થશે તો ફરી થી ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવશે.
જો કે સિલ કરવામાં આવેલા મોલ્સ અને મોટી દુકાનો,સિલીંગ ની તારીખથી ત્રણ દિવસ પૂરા થતાં સુધી બંધ રખાશે. તેમણે જણાવ્યું કે સહુના સહયોગ થી આગામી ૧૦ થી ૧૪ દિવસમાં કોરોનાની સાયકલ ઓફ ડબલિંગ ( કેસો બમણા થવાનું આવર્તન) તોડવામાં અને શહેરને સલામત રાખવામાં સફળતા મળશે.