Collector visit corona 3

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ ભાયલી- સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી

  • જિલ્લા કલેકટરશ્રીએ ભાયલી- સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધન્વંતરિ રથ અને સર્વે ટીમો દ્વારા કોવિડ વિષયક થઈ રહેલી સઘન કામગીરીનું નિરીક્ષણ કર્યું: લોક અભિપ્રાયો મેળવ્યા
  • સગર્ભા મહિલા તબીબ સહિત આરોગ્ય કર્મયોગીઓની સમર્પિત કામગીરીને બિરદાવી
whatsapp banner 1


વડોદરા, ૩૦ નવેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા તાલુકાના ગ્રામ વિસ્તારોની મુલાકાત લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા અને ડોર ટુ ડોર સર્વેક્ષણની ટીમો દ્વારા કોવિડનો ચેપ રોકવા માટે થઈ રહેલી સઘન આરોગ્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અગાઉ જે લોકો કોરોના મુક્ત થયાં છે એવા ગ્રામજનોની ભાળ લેવાની સાથે આરોગ્ય ટીમોની કામગીરી અંગે લોક અભિપ્રાયો મેળવ્યા હતા અને હકારાત્મક લોક અભિપ્રાય માટે આરોગ્યના કર્મયોગીઓને બિરદાવ્યા હતા. તેમણે ખાસ કરીને સગર્ભા મહિલા તબીબ અને એ. એન.એમ.બહેનની ફરજ પરસ્તીને પ્રેરક ગણાવીને બિરદાવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત આ મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યાં હતા.

તેમણે ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેના સેમ્પલિંગ ની કાર્યવાહીનું નિરીક્ષણ કરવાની સાથે,જેમનો ટેસ્ટ નેગેટિવ આવે અને તેમ છતાં,કોરોનાના લક્ષણો જણાતા હોય તેવા લોકોનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અવશ્ય કરવાની સૂચના આપી હતી.
હાલમાં જિલ્લામાં ૩૨ ધન્વંતરિ આરોગ્ય રથો દ્વારા , પ્રત્યેક રથ દીઠ દિવસના ૧૦૦ થી ૧૨૦ લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.કલેકટરશ્રીએ સેવાસી ખાતે આરોગ્ય રથ દ્વારા નિદાન, સારવાર અને સેમ્પ્લીંગની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેવી જ રીતે તેમણે અંકોડીયા ગામે આરોગ્ય ટીમ દ્વારા થઈ રહેલી ડોર ટુ ડોર સર્વેની કામગીરી નિહાળવાની સાથે વડીલો અને બાળકોની આરોગ્ય વિષયક અને સેવા વિષયક પૃચ્છા કરી હતી.લોકોએ આરોગ્ય સેવાઓને સંતોષજનક ગણાવી હતી.

Collector visit corona 5

તેમણે લોકો સાથે સંવાદ કર્યો હતો અને આરોગ્ય અંગે પૃચ્છા કરવાની સાથે માસ્ક અવશ્ય પહેરવા,બિન જરૂરી અવર જવર સદંતર ટાળવા અને સોશીયલ ડિસ્ટન્સ પાળવા, સેનિતાઇ ઝેસન અને સાબુથી હાથ ધોવાના નિયમોનું પાલન કરવા અને ભીડભાડ કરવાથી અને એવી જગ્યાઓથી દુર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો અને સાવચેતી ને જ શ્રેષ્ઠ ગણવા જણાવ્યું હતું.તેમણે સંનિષ્ઠ કામગીરી માટે તબીબો અને આરોગ્ય કર્મચારીઓને બિરદાવ્યા હતા