જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાનુ વધુ એક ઓપરેશન
- જામનગરમાં પટેલ પાર્ક નજીક જડેશ્વર પાર્ક માં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાનુ વધુ એક ઓપરેશન
- ૧,૬૦૦ ફૂટ ની જગ્યા માં ગેરકાયદે ખડકાયેલી ચાર દુકાનો પર જામ્યુકોનું ફેરવાયું બુલડોઝર
- જામ્યુકોની જગ્યામાં કરાયેલું દબાણ આઠ વર્ષ પહેલા દૂર કરાયું હતું, જે સ્થળે ફરીથી દુકાનો ખડકી દેવાઈ હતી
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૮ ઓક્ટોબર: જામનગર માં પટેલ પાર્ક નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં જામનગર મહાનગર પાલિકાની જગ્યામાં એક આસામીએ ગેરકાયદે રીતે ચાર દુકાનો ખડકી દઇ ૧,૬૦૦ ફૂટ જેટલી જગ્યામાં દબાણ કર્યું હતું. જેના ઉપર આજે જામ્યુકોનું બુલડોઝર ફેરવી દેવાયું છે. એસ્ટેટ શાખાની ટુકડી એ ડિમોલિશન હાથ ધરી સમગ્ર જમીન ખુલ્લી કરાવી હતી. આ અગાઉ પણ ડીમોલેશન કરાયું હતું. પરંતુ પાછળથી ફરીથી દુકાનો ખડકી દેવામાં આવ્યા નું ધ્યાનમાં આવતાં આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જામનગરના પટેલ પાર્ક નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં નગાભાઈ કરમૂર નામના આસામી દ્વારા જામનગર મહાનગરપાલિકાની ૧,૬૦૦ ફૂટ જેટલી જગ્યામાં ચાર દુકાનો ખડકી દઇ બિનઅધિકૃત રીતે દબાણ કરી દેવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતા આજે જામનગર મહાનગર પાલિકાની દબાણ શાખાની ટુકડી બે જેસીબી મશીન તથા અન્ય સામગ્રીઓ સાથે પહોંચી ગઈ હતી. જ્યાં મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતું અને ચારેય દુકાનો પર જામ્યુકોના હથોડો ફેરવી ગઈ હતી,અને બાંધકામ તોડી નાખ્યું હતું. અને ગણતરીના કલાકોમાં જ સમગ્ર જમીનને ખુલ્લી કરાવી દીધી હતી.ઉપરોક્ત આસામી દ્વારા અગાઉ દસ વર્ષ પહેલા પણ આ જમીનમાં પેશકદમી કરી ને દબાણ કરાયું હતું. જ્યારે મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવી હતી. પરંતુ કોઇ પ્રક્રિયાના થતા દબાણ દૂર કરીને જમીન ખાલી કરાવાઇ હતી.
જે જમીનમાં નગાભાઈ કરમૂર દ્વારા ફરીથી ૪ દુકાનો ખડકી દેવામાં આવી હતી. જેની જાણકારી મળતાં આજે એસ્ટેટ શાખા એ ફરીથી જેમા ફરીથી દબાણ દુર કર્યું હતું. અને સરકારી જગ્યા ખુલ્લી કરાવી છે. આ દબાણ હટાવવા સમયે અનેક રાજકીય હસ્તક્ષેપના કરાયા હતા.પરંતુ દબાણ હટાવ શાખાએ કોઇની દરકાર કર્યા વિના દબાણને દૂર કરી દીધું હતું