CAIT

ભારતના રિટેલ વેપાર પર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જોઈએ: CAIT

ભારતના રિટેલ વેપાર પર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જોઈએ: કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સંગઠનનું મંતવ્ય

નવી દિલ્હી, 22 ડિસેમ્બર વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ સોમવારે જણાવ્યું હતું કે, એમેઝોન દ્વારા ભારતીય રિટેલ વેપાર પર આધિપત્ય જમાવવા માટે અજમાવાઈ રહેલી ચાલાકીપૂર્વકની, બળજબરી કરનારી, મનસ્વી અને સરમુખત્યારશાહી નીતિઓનો અંત આવવો જોઈએ. રિલાયન્સ રિટેલને ફ્યૂચર ગ્રૂપનો હિસ્સો વેચવા માટેના સોદાનો વિરોધ કરી રહેલા એમેઝોન અંગે દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપ્યાના ગણતરીના કલાકો બાદ વેપારીઓના સંગઠન દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

whatsapp banner 1

રિલાયન્સ રિટેલ સાથેના રૂ. 24,713 કરોડના સૂચિત સોદાની સામે SIACના આર્બિટ્રલ ઓર્ડર અંગે એમેઝોનને સેબી, કોમ્પિટિશન કમિશન અને અન્ય સત્તામંડળને લેખિત રજૂઆત કરવા સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવવાની ફ્યુચર રિટેલ લિમિટેડની (એફઆરએલ) અરજીને અદાલતે ફગાવી દીધી છે.

ન્યાયમૂર્તિ મુક્તા કાપડિયાએ કહ્યું હતું કે, જ્યારે એફઆરએલ દ્વારા વચગાળાના હુકમનો પ્રથમ કેસ કરવામાં આવ્યો છે, ત્યારે રાહત આપી શકાતી નથી, કારણ કે કેસનું સંતુલન એફઆરએલ અને એમેઝોન બંનેની તરફેણમાં છે, અને ન ભરપાઈ કરી શકાય તેવું નુકસાન કોઈપણ પક્ષકારને થાય તો કેસની સુનાવણી દરમિયાન અથવા સક્ષમ સત્તા દ્વારા તે અંગે નિર્ણય લઈ શકાય છે.

વચગાળાનો મનાઈ હુકમ નહીં ફરમાવવા પાછળનું વધુ એક કારણ એ છે કે FRL અને એમેઝોન બંને પક્ષકારોએ કાયદાકીય સત્તામંડળ અથવા રેગ્યૂલેટર્સ સમક્ષ પોતપોતાના પક્ષની રજૂઆતો અને પ્રતિરજૂઆતો કરી લીધી છે અને હવે કાયદેસરના સત્તામંડળ/રેગ્યૂલેટર્સ પર નિર્ભર કરે છે કે આ મામલે કોઈ નિર્ણય લે, તેમ પણ અદાલતે જણાવ્યું હતું.

આ સમગ્ર પ્રક્રિયાના પરિદૃશ્યમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, અદાલતનો ચુકાદો સીએઆઇટી દ્વારા લાંબા સમયથી લેવામાં આવેલા સ્ટેન્ડને યોગ્ય ઠેરવે છે કે એમેઝોન ખુલ્લેઆમ સરકારની એફડીઆઇ નીતિનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

ચુકાદાને ટાંકીને વેપારીઓના સંગઠને જણાવ્યું હતું કે, “એમેઝોનના અણઘડ વર્તનને નિયંત્રણમાં લેવું જરૂરી બન્યું છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તથા અન્ય કાયદાકીય સત્તામંડળ દ્વારા સુધારાત્મક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે કે જેનાથી એમેઝોનને તેના ફાયદા માટે ભારતના કાયદાઓનું ઉલ્લંઘન કરતાં રોકી શકાય.”

ઈ-કોમર્સ દ્વારા ભારતના રિટેલ વેપારને નિયંત્રિત કરવા અને તેના પર પ્રભુત્વ મેળવવા માટે એમેઝોનની “ચાલાકીયુક્ત, બળજબરીપૂર્વકની, મનસ્વી અને સરમુખત્યારશાહી નીતિઓ” હવે સમાપ્ત થવી જોઈએ. *”એમેઝોન દ્વારા ફેમાના નિયમોનું ઉલ્લંઘન કરાયું છે તેવું હાઇકોર્ટનું અવલોકન CAITના એ અંગેના સતત પ્રયાસોને અનુમોદન આપે છે કે, એમેઝોન જેવા મોટા ઇ-કોમર્સ ખેલાડીઓ દ્વારા વારંવાર કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે,”* તેવો દાવો પણ ઉપરોક્ત નિવેદનમાં કરવામાં આવ્યો હતો.

ઓગષ્ટ 2019માં એમેઝોન દ્વારા કિશોર બિયાનીના નેતૃત્વ હેઠળના ફ્યૂચર ગ્રૂપની અનલિસ્ટેડ કંપની ફ્યૂચર કુપન્સ લિમિટેડ (FCL)માં 49 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો હતો, જેમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી હતી કે જો સરકાર મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં વિદેશી હિસ્સેદારી પર નિયંત્રણ ઉઠાવી લે તો ફ્યૂચર ગ્રૂપની ફ્લેગશિપ કંપની FRLમાં હિસ્સો ખરીદવાનો અધિકાર તેને મળે.

જ્યારે આ વર્ષે ફ્યૂચર ગ્રૂપે રૂ. 24,713 કરોડમાં ફ્યૂચર ગ્રૂપનું હસ્તાંતરણ કરવાનો સોદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) સાથે કર્યો હતો. ત્યારે એમેઝોને ફ્યૂચર ગ્રૂપને સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIAC)માં ઢસડી જતાં એવો દાવો કર્યો હતો કે, અનલિસ્ટેડ કંપની FCL સાથે તેનો સમજૂતી કરાર હોવાથી રિલાયન્સ સહિત અન્ય વ્યક્તિઓ કે કંપનીઓ કોઈપણ સોદો નહીં કરી શકે.

ગત 25 ઓક્ટોબરે SIAC દ્વારા FRLને પોતાની અસ્ક્યામતો વેચવાની કે પ્રતિબંધિત પક્ષ પાસેથી મૂડીરોકાણ મેળવવા માટે પોતાનો હિસ્સો વેચવાની મનાઈ ફરમાવતો એમેઝોનની તરફેણમાં વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો.