૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે: ડૉ. મનિષ દોશી

Manish Press Limdi 2
  • સૌરાષ્ટ્રના ઓળખ સમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે.
  • ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટીંક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી ગુજરાત અને દેશમાં ઠલવાય છતાં ભાજપ સરકાર મૌન ? આ તો કેવો રાષ્ટ્રપ્રેમ ?
  • ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ સરકારી શાળાને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે.
  • સૌરાષ્ટ્રની ૮૨૮ શાળા પૈકી મોરબીની ૭૫ શાળાઓને તાળા લાગી રહ્યાં છે.

સુરેન્દ્રનગર, ૨૦ ઓક્ટોબર: કેન્દ્રની કોંગ્રેસ સરકારે દેશના ગરીબ – સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનોઅધિકાર આપ્યો જ્યારે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી હોવાની વિસ્તૃત વિગતો મોરબી ખાતે પત્રકાર પરિષદમાં રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ઓછી સંખ્યાના નામે ૫૨૨૩ જેટલી શાળાઓને તાળા મારી રહી છે. જેમાં કચ્છ – સૌરાષ્ટ્રની ૮૨૮ જેટલી શાળા પૈકી મોરબીમાં ૭૫ શાળાઓને તાળા લાગી રહ્યાં છે. રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, પેપર ફુંટવા, લાખો રૂપિયાની લેવડદેવડ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. ભાજપ સરકારે વિવિધ ભરતી પરીક્ષાની ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધી છે. ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડૉક્ટર વિનાનુ દવાખાનુ ભાજપ સરકારની નીતિ રહી છે.

સૌરાષ્ટ્રના ઓળખ સમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગો ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. સીરામીક ઉદ્યોગ તકલીફમાં હોય ત્યારે મંત્રીશ્રી ન આવે પણ પક્ષપલટુના સ્વાગતમાં મંત્રીશ્રી આવે, મોટા ઉદ્યોગોને અબજો રૂપિયાની રાહત પણ નાના ઉદ્યોગોને મદદ ન કરવાની ભાજપ સરકારની નીતિ રહી છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટીંક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી ગુજરાત અને દેશમાં ઠલવાય છતાં ભાજપ સરકાર મૌન ? આ તો કેવો રાષ્ટ્રપ્રેમ ?

ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ, ખેડૂત વિરોધી – યુવા વિરોધી નિતિ પર મોરબી ખાતે પત્રકાર પરિષદમાં આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિ – રીતિ અને નિયતને કારણે દિન-પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય, અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્યું છે. લોકોમાં ખુબ મોટો આક્રોશ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખુબ મોટુ નુકસાન ગુજરાતના ખેડૂત – ખેતી ભોગવી રહ્યાં છે. ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની ગઈ છે.

ખાનગી વિમા કંપનીઓએ કુલ ૨૮૨૨ કરોડ જેટલી માતબર રકમ ખેડૂત પાસેથી પ્રિમિયમ પેટે વસૂલ કરી જેમાંથી માત્ર ૪૦ ટકા જેટલી રકમ વળતર પેટે ચૂકવવામાં આવી. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ખૂબ મોટુ નુકસાન થયું. સરકારે જાહેર કરી કે પંદર દિવસની અંદર સર્વે કરીને નુકસાનીનું વળતર આપીશું. આજે લગભગ બે મહિના થયા છતા પણ એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચુકવાયું નથી. ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી કાળા કાયદા બનાવ્યા. એના કારણે ખેડૂત માલીકમાંથી ખેત મજૂર બનવાનો, ખેડૂતને પોતાના જ ખેતરમાં કંપનીઓ જે ખેતી કરશે એની મજુરી કરવાના દિવસો આવવાના છે. ભાજપ સરકાર હંમેશા ઉદ્યોગપતિઓની સરકાર રહી છે. ઉદ્યોગપતિઓની મદદ કરવાની હોય, ઉદ્યોગપતિઓના ટેક્ષ માફ કરવાના હોય એને લાભ આપવાનો હોય તો સરકારી તિજોરીઓ ખુલ્લી મુકવામાં આવે છે. અને બીજી બાજુ જ્યારે કોરોના – લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ છે.

Manish Press Limdi

લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની એકસત્ર ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક ખોટી જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે. ભાજપ સરકારની ભૂલોને કારણે વહીવટી અણઆવડત અને સંકલનના અભાવને કારણે કોરોના આજે આખા ગુજરાતમાં જે પ્રસર્યો છે અને જેથી ૪૦૦૦ કરતા વધારે લોકોના મોત થયા. કોરોના મહામારીની આફતને પણ ભાજપએ ભ્રષ્ટાચારનો અવસર બનાવી દીધો.

આપણા પરિવારની દિકરી ઘરની બહાર જાય તો સાંજે સાજી – સુરક્ષીત ઘરે પાછી આવશે કે કેમ ? ગુંડા રાજ ચારે તરફ ચાલી રહ્યું છે. ગુંડાઓ બેફામ થયા છે, ત્યારે રાજ્યની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં લુંટ-૨૪૯૧, ખૂન-૨૦૩૪, ધાડ-૫૫૯, ચોરી-૨૫૭૨૩, બળાત્કાર-૨૭૨૦, અપહરણ-૫૮૯૭, આત્મહત્યા-૧૪૭૦૨, ઘરફોડ ચોરી-૭૬૧૧, રાયોટીંગ-૩૩૦૫, આકસ્મિક મૃત્યુ-૨૯૨૯૮, અપમૃત્યુ-૪૪૦૮૧ અને ખૂનની કોશીષ-૨૧૮૩ બનાવો નોંધાયા છે. ભાજપ સરકારના શાસનમાં બે વર્ષમાં ૧૪,૭૦૨ આત્મહત્યાના બનાવો નોંધાયા એટલે કે દરરોજ ૨૦ નાગરીકોએ જીવન ટુંકાવવાની ફરજ પડી. ખૂનના ૨,૦૩૪ બનાવો એટલે કે દરરોજ ૨-૩ ખૂનના બનાવો, બળાત્કારના ૨,૭૨૦ બનાવો એટલે કે દરરોજ ૩-૪ બળાત્કારનો દીકરી – મહિલાઓ ભોગ બની રહી છે.

રાજ્ય સરકાર અને પોલીસ આત્મહત્યાના બનાવો ન વધે તે માટે આત્મહત્યાના બનાવોને આકસ્મિક મૃત્યુ કે અપમૃત્યુમાં ખપાવે છે. રાજ્યમાં દરરોજ ૧૨૦ કરતા વધુ નાગરીકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા-અકુદરતી રીતે જીવન ટુંકાવવાની ફરજ પડી છે.

*********

loading…