જાણો,જામનગરમાં એલ.આર.ડી.ભરતીના ઉમેદવારો એ શા માટે કરી ઇચ્છા મૃત્યુ ની માંગ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ નવેમ્બર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોક રક્ષક દળ ની ભરતી તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ ના નક્કી કરવામાં આવી હતી, જેનું પરિણામ ૩૦મી નવેમ્બર ૨૦૧૯ ના દિવસે બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ના વિરોધમાં અને સમર્થનમાં અનામત અને બિન અનામત વર્ગ ની મહિલાઓ દ્વારા પોતાને અન્ય થયા અંગે નું આંદોલન કરવામાં આવ્યું હતું. જેના કારણે પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું હોવા છતાં ફક્ત મહિલા ઉમેદવારોની બેઠકમાં ૨,૪૮૫ બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો.
દરેક ભરતી માટે ૩૩ ટકા મહિલા અને ૬૭ ટકા પુરુષ ઉમેદવારો નો રેશિયો હોવો જોઈએ, પરંતુ સરકારે પોતાના ફાયદા માટે લીધેલા નિર્ણયને કારણે પુરૂષ ઉમેદવારોને ખૂબ જ ભેદભાવ થતા અન્યાય થયો છે.
આ અંગે ઘટતું કરવા ની માંગણી સાથે જામનગરમાં લોકરક્ષક ઉમેદવારોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું છે અને ઇચ્છામૃત્યુની માગણી કરી છે. જે આવેદન પત્રમાં રજૂઆત કરાઈ હતી કે સરકાર દ્વારા ઉમેદવારની કોઈ રજૂઆતને ધ્યાનમાં રાખવામાં આવી નથી, અને પોલીસ તંત્ર નો ખોટો ઉપયોગ કરીને પુરુષ ઉમેદવારો ને દબાવી દેવામાં આવે છે, તેમજ એક પણ વખત મુલાકાત પણ આપવામાં આવી નથી.
કોરોના ના કાળમાં ગાંધીનગરમાં સરકારમાં રજૂઆત કરવા માટે ઉમેદવારો ભેગા થયા હતા, ત્યારે પણ સંપૂર્ણ ગાઈડલાઈન નું પાલન કર્યું હોવા છતાં પણ ઉમેદવારો ની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓ ના મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
આવેદનમાં જણાવાયું હતું કે સરકારને 10 દિવસનો સમય આપીએ છીએ, અને અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમોને ઇચ્છામૃત્યુની મંજૂરી આપો તેવી માંગ કરવામાં આવી છે.