કોરોના સામે ટીકા કવચ – બીજા દિવસે રસીકરણ બન્યું વેગવંતુ
- સરકારી તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ક્રિટિકલ કેર સોસાયટીના સભ્યો સહીત ખાનગી તબીબોએ કરાવ્યું રસીકરણ
- કોરોનાની રસીથી ગભરાવાની જરૂર નથી… કોરોના સામે જંગ જીતવા આપણે સૌએ સાથે મળી રસીકરણ અભિયાનમાં સક્રિયપણે જોડાવું જોઈએ: ટીમ આઈ. એમ. એ.
અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ
રાજકોટ, ૧૯ જાન્યુઆરી: સમગ્ર દેશ અને રાજ્યમાં તા. ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ તબક્કમાં આરોગ્ય સંબંધી કર્મચારીઓ, ડોક્ટર્સ તેમજ મેડિકલ સ્ટાફને પ્રાથમિક અગ્રતા આપી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ખાતે તા. ૧૯ જાન્યુઆરી, મંગળવારે બીજા દિવસે ૬ જગયાએ સરકારી હોસ્પિટલ તેમજ કોરોનાની સારવાર સાથે જોડાયેલા ડોક્ટર્સ તેમજ ખાનગી સંસ્થા સાથે જોડાયેલા મેડિકલ સ્ટાફનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટની પી.ડી.યુ હોસ્પિટલ, ગિરિરાજ હોસ્પિટલ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ક્રિટિકલ કેર સોસાયટી તેમજ અન્ય સંસ્થાના ડોક્ટરની ટીમ સર્વેશ્રી ડો. જય ધિરવાણી આઇ.એમ.એ. પ્રમુખ, ડો. દીપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે પૂર્વ આઇએમએ પ્રમુખ, ડો. અતુલ પંડ્યા, ડો. તેજસ કરમટા, ડો. પારસ શાહ, ડો. રૂપેશ ઘોડાસરા, ડો. ચેતન લાલસેતા, ડો. ભાવિન કોઠારી, ડો. મયંક ઠક્કર તેમજ ટીમે રસીકરણ કરાવી રસી સુરક્ષા કવચ મેળવી તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
કોરોનાની રસી બિલકુલ સુરક્ષિત હોવાનું અને રસી લેતા ગભરાવાની બિલકુલ જરૂર નો હોવાનું આઈ.એમ.એ. સહીત વિવિધ સંસ્થાના ડોક્ટર્સ દ્વારા પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વેક્સિનેશનના પ્રારંભ સાથે કોરોના મહામારીના અંતનો પ્રારંભ થઈ ચુક્યો છે. રસીકરણ બાદ અમે નિર્ભીકપણે પ્રેક્ટિસ કરી દર્દીઓની સેવા સુશ્રુષા કરી શકીશું. આ પૂર્વે આવી અનેક બીમારીઓનું નિરાકરણ વેક્સિનેશનના પરિણામે શક્ય બન્યું છે, ત્યારે કોરોના પણ ચોક્કસ રસીકરણ દ્વારા નિર્મૂળ થશે તેન ડોક્ટર્સ દ્વારા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલની કોવીડ હોસ્પિટલ ખાતે આઈ.એમ. એ તેમજ ક્રિટિકલ કેર સોસાયટીના ડોક્ટર્સની ટીમ દ્વારા નિશ્વાર્થ સેવા પુરી પાડવામાં આવી રહી છે. રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને તમામ સભ્યોનો આ તકે ખાસ આભાર માની તેમના દ્વારા કરવામાં આવેલ બેજોડ પ્રદાનને બિરદાવ્યું છે.
રાજકોટ સિવિલ ખાતે વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડો. પી.પી. રાઠોડ, ડોક્ટર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી વેક્સિનેશન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં.
આ પણ વાંચો…ભાજપા ડ્રેગન ફુલનું નામ બદલીને વધુ એક નાટક-તરકટ કરી રહી છે: ડૉ. મનિષ એમ. દોશી