Arogya Van Kevadia 9

આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત

Arogya Van Kevadia
  • કેવડીયા: વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતું આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યું છે રોજગારીનો સ્ત્રોત
  • ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે
  • આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર
  • આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે
whatsapp banner 1

અહેવાલ: બી.પી.દેસાઈ નાયબ માહિતી નિયામક,વડોદરા

વડોદરા, ૨૯ ડિસેમ્બર: કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના છત્ર હેઠળ કેવડિયાના સંકલિત વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી સભર આયોજન હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેને પરિણામે આજે કેવડિયા હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ, વિશ્વ એકતાનું પ્રતિક બની વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે.
આજે વાત કરવી છે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરતા અને ભારતની ઔષધીય વૈભવને ઉજાગર કરતા અને જ્યાં વિવિધ ઔષધિય રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નિરોગીતા ની પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સુંદર સ્થળ એટલે કેવડિયા સ્થિત આરોગ્ય વન… અને તેનાથી સ્થાનિક યુવક-યુવતીઓ માટે સર્જાયેલી રોજગારીની તકોની…

આ આરોગ્ય વનમાં આપ પ્રવેશ કરો એટલે આપણને મધુર સ્વરે સુસજ્જ પરિવેશમાં અહીંના સ્થાનિક ગાઈડ મીઠો આવકાર આપવા સાથે આરોગ્ય વનમાં ઉછેરવામાં આવેલ ઔષધિય રોપા વિશે ઝીણવટભરી અને વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. આ યુવક યુવતીઓ કોઈ મોટા શહેરોના નથી પરંતુ કેવડીયા અને તેની આસપાસના વિસ્તારના યુવક યુવતીઓને તેમની લાયકાત મુજબ અહીં રોજગારી પૂરી પાડવામાં આવી છે. સ્થાનિક યુવાઓને અહી રોજગારી મળતા તેઓ પોતાની ખુશી વ્યક્ત કરે છે.

ગઇકાલના શ્રમિકઃ આજે ગાઇડ

આરોગ્ય વનમાં ગાર્ડન ઓફ કલર્સમાં ફરજ બજાવતા ફૂલવાડીના ભાવેશભાઈ તડવી માત્ર ધો.૧૨ પાસ છે. એક સમયે તેઓ અહીં આરોગ્ય વન નિર્માણ માં રોજમદાર તરીકે કામ કરતા હતા. આજે તેઓ આરોગ્ય વનમાં આવતા પ્રવાસીઓને ગાર્ડન ઓફ કલર્સ વિશે એક ગાઈડ તરીકે વિગતવાર જાણકારી આપે છે. ભાવેશ તડવી કહે છે હું અહી મજૂરી કરતો હતો, પરંતુ મારી લાયકાત મુજબ વનવિભાગ દ્વારા મારી ગાઈડ તરીકે પસંદગી કરવામાં આવી તેનો મને આનંદ છે. એટલું જ નહિ હવે મારે હવે રોજગારી માટે અન્ય સ્થળે જવું પડતું નથી. મને સ્થાનિક ઘરઆંગણે રોજગારી પ્રાપ્ત થઈ છે જેને પરિણામે મારૂ આર્થિક જીવનધોરણ ઊંચુ આવ્યું છે.

રવિનાએ રાષ્ટ્રપતિશ્રીને ગોલ્ફકાર્ટમાં આરોગ્ય વનની મુલાકાત કરાવી હતી

તો સમશેરપુરાની રવિના તડવીની વાત જ કંઇક અલગ છે. ધો.૧૨ પાસ કર્યા બાદ રવિનાએ કમ્પ્યુટરનો કોર્સ કર્યો, પરંતુ ક્યાંય રોજગારી ન મળી. રવિના આરોગ્ય વનમાં ગાઈડ ઉપરાંત ગોલ્ફ કાર્ટ પણ ચલાવે છે. રવિનાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને ગોલ્ફ કોર્ટમાં ફેરવવા નો મોકો મળ્યો હતો તેની ખુશી વ્યક્ત કરતાં કહે છે કે મારા જેવી સામાન્ય ઘરની યુવતી માટે આ ખૂબ જ આનંદની પળ હતી. રવિનાના પિતા ખેતીકામ કરે છે. આદિવાસી સમુદાયની રવિનાને ઘરઆંગણે જ રોજગારી મળતા પરિવારને ખૂબ જ મોટી આર્થિક મદદ મળી છે.

વનસ્પતિના ઔષધિય ઉપયોગના પારખુ રવિરાજ તડવી

આરોગ્યવનમાં ૮૦ X ૪૦ લંબાઈ-પહોળાઈમાં ઔષધ માનવનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઔષધ માનવ વિશે માત્ર ધો.૮ પાસ રવિરાજ તડવી માનવીના પગથી લઈ મસ્તક રોગોમાં ઉપયોગી ઔષધિય વનસ્પતિ અંગેની જાણકારી આપે છે. દરેક વનસ્પતિની ઔષધિય ઉપયોગિતા અને ખાસયિતો એની જીભના ટેરવે છે.

સુકા ગામની માર્ગી પટેલે આમ તો ફેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો હતો. પરંતુ ઘર આંગણે જ રોજગારીનો અવસર મળતા માર્ગી પટેલ આરોગ્ય વનમાં ડિજિટલ ઇન્ફર્મેશન સેન્ટરમાં આરોગ્ય વન વિશે પ્રવાસીઓને માહિતગાર કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આરોગ્ય વનમાં ઔષધિય રોપાઓથી અવગત કરવાની તક મળી હતી તેનો આનંદ વ્યકત કરતા માર્ગી કહે છે કે તે મારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. તો સુકા ગામની જ હેતલ પટેલ ઘર આંગણે જ વાતાવરણ શુદ્ધ કરતા અને ઔષધિય રોપા અંગે ઇન્ડોર પ્લાન્ટમાં પ્રવાસીઓને માહિતગાર કરે છે. માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદાં-જુદાં પાંચ લાખ ઔષધિય રોપાઓ વાવવામાં આવ્યા છે.

આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવો ત્યારે આરોગ્ય વનની ચોક્કસ મુલાકાત લેજો. અને ખાસ કરીને આદિવાસી બહેનોના સ્વસહાય જૂથ સંચાલિત કાફેટેરિયામાં વાનગીઓને માણવાનું ભૂલતા જ નહિ.


અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે. આરોગ્ય વન વિંધ્યાચલ પર્વતમાળાના છેડે આવેલું છે. સાગનું સઘન જંગલ એનો છેડા પાડોશી છે. અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો માણવાની ખાસ વ્યવસ્થા છે. તેની સાથે આદિવાસી યુવક-યુવતીઓમાં કેટલી વિપુલ શક્યતાઓ છે તેની અનુભૂતિ આ સ્થાને થાય છે.

આ પણ વાંચો…

loading…