પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આત્મનિર્ભર ભારતનું સપનું પૂરૂં કરવાની દિશામાં કોલસા ક્ષેત્રએ એક મહત્વપૂર્ણ મુકામ પાર કર્યો: અમિત શાહ
અમદાવાદ, ૧૧ જાન્યુઆરી: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કોલસા ખાણકામ ક્ષેત્ર માટે ‘સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ વેબ પોર્ટલ’નું ઉદ્દઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે દેશની પ્રથમ વ્યાપારી કોલસા ખાણકામ લિલામીના સફળ બોલી બોલનારાને અધિકાર પત્ર સુપરત કર્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રના કોલસા, ખાણકામ અને સંસદિય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોષી અને અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાની દિશામાં કોલસા ક્ષેત્રએ આજે એક મહત્વનો મુકામ પાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પૂરા થતાં વર્ષ 2022 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસલ કરવામાં કોલસા ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે. શ્રી શાહે જણાવ્યું કે ઘણાં લાંબા સમયથી કોલસા ક્ષેત્રની અસ્થિરતા દૂર કરવા માટે અને તેમાં પારદર્શકતા લાવવાની જરૂરિયાત અનુભવાઈ રહી હતી, જે મોદી સરકારે પૂર્ણ કરી છે. કોલસા ખાણકામની વ્યાપારી લિલામીથી હવે નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળતાથી કોલસો મળી શકશે.
કેન્દ્રના ગૃહમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2014 સુધીમાં કોલસા ક્ષેત્ર નોકરશાહીમાં ફસાયેલું જણાતું હતું, પારદર્શિતાનો અભાવ હતો, ભ્રષ્ટાચારના અનેક આરોપો પણ લાગતા હતા. આ સમય સુધી આ ક્ષેત્રમાં કામ કરવાનું ખૂબ જ મુશ્કેલ જણાતું હતું, પરંતુ વર્ષ 2014માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે અનેક પરિવર્તન કર્યા અને આજે કોલસા ક્ષેત્રમાં સંપૂર્ણ પારદર્શિતા માટે સૌના માટે સમાન તકો ઉપલબ્ધ બની છે. આપણી પાસે સૌથી વધુ બુધ્ધિમાન અને ભણેલા-ગણેલા યુવાનો, મહેનતુ મજૂરો હોવાની સાથે સાથે એક પારદર્શક લોકશાહી પણ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આઝાદીથી આજ સુધીમાં કોલસા ક્ષેત્રમાં થયેલા કામગીરીની સમીક્ષા કરતાં જણાઈ આવે છે કે વિતેલા 6 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં અભૂતપૂર્વ કામ થયું છે. આઝાદી પછી સૌથી વધુ ઉત્પાદન વૃધ્ધિ આ 6 વર્ષની અંદર થઈ છે. વર્ષ 2014માં આશરે 560 મેટ્રિક ટન કોલસાનું ઉત્પાદન થતું હતું, જ્યારે વર્ષ 2020માં તે 729 મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. કોલસાના ખાણકામની ગતિ વધારવા ઉપર ભાર મૂકતાં શ્રી શાહે જણાવ્યું હતું કે આ ક્ષેત્રની ગતિ જેટલી વધશે તેટલો જ અર્થતંત્રને ફાયદો થવાનો છે અને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોલસા, ખાણકામ અને સંસદિય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોષીએ ઉલ્લેખનીય કામગીરી કરી છે અને તેમને અત્યંત આનંદ થાય છે કે આજે દેશ એક નવા ભવિષ્ય તરફ આગળ ધપી રહ્યો છે. દેશની કોલસા ખાણકામની પ્રથમ વ્યાપારી લિલામી હેઠળ આજે સફળ બોલી બોલનારા 19 લોકોને ખાણોની ફાળવણી કરવામાં આવી છે. તેનાથી રાજ્યોને દર વર્ષે રૂ.6500 કરોડની અંદાજીત આવક મળશે અને 70,000 કરતાં વધુ નોકરીઓનું નિર્માણ પણ થશે. સાથે સાથે રૂ.8,000થી રૂ.10,000 કરોડ સુધીનું મૂડીરોકાણ પણ થશે. તેમણે જણાવ્યું હતું કે કોલસાના જાહેરક્ષેત્રના એકમોની યોજના હેઠળ આગામી દાયકામાં અંદાજે આશરે રૂ.2.50 લાખ કરોડનું મૂડીરોકાણ થશે અને પીએસયુ- પ્રાઈવેટ પ્લાન હેઠળ આશરે રૂ.4 લાખ કરોડનું મૂડીરોકાણ થશે તેવી આશા છે. આ માટેનો રોડ મેપ પણ તૈયાર છે.
કેન્દ્રના ગૃહમંત્રીશ્રીએ એવું પણ જણાવ્યું હતું કે કોલસા ખાણકામની વ્યાપારી લિલામી પ્રક્રિયાથી દેશના મધ્ય અને પૂર્વના આદિવાસી વિસ્તારોમાં વિકાસનો માર્ગ ખૂલશે. મોદી સરકારના આગમન પહેલાંના પશ્ચિમ ભારતની તુલનામાં, પૂર્વ ભારતનો વિકાસ જે ઝડપે થવો જોઈએ એટલી ઝડપથી થયો ન હતો. મોદી સરકારે દેશના દરેક ક્ષેત્રની સાથે સાથે સમાજના તમામ વર્ગોનો વિકાસ સુનિશ્ચિત કર્યો છે. સરકારે ખાણોની નજીક રહેનારા લોકો માટે રૂ.46,000 કરોડના જીલ્લા ડેવલપમેન્ટ ફંડની રચના કરી છે, જેમાંથી જીલ્લાના વિકાસમાં અને તેમાં પણ સૌથી ઓછા વિકસીત ગામડાં ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આના કારણે આ ક્ષેત્રમાં વસવાટ કરતા આદિવાસી, દલિત, પછાત અને ગરીબ લોકો માટે વિકાસના કામો થયા છે.
શ્રી અમિત શાહે જણાવ્યું કે વર્ષ 2020માં સમગ્ર દુનિયા જ્યારે કોરોના મહામારીથી ત્રાસેલી હતી, સંપૂર્ણ માનવજાતિ આ સંકટને કારણે પરેશાન હતી તેવા સમય દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે આ સંકટના સમયમાં બે મોરચા સામે સફળતાપૂર્વક લડત આપી છેઃ એક- કોરોના સામે અને બીજો- મંદી વિરૂધ્ધ. સરકારે ખેતી, શિક્ષણ, અંતરિક્ષ, અર્થવ્યવસ્થા અને ફર્ટિલાઈઝર સહિત અનેક ક્ષેત્રો માટે મહત્વના નિર્ણયો લઈને અનેક નીતિ વિષયક પરિવર્તન કર્યા છે. સાથે સાથે માળખાગત સુવિધાઓના ક્ષેત્રને મજબૂત કરવા માટે ઘણી બધી સારી યોજનાઓ લાવવામાં આવી છે અને બિઝનેસ કરવામાં સરળતા માટેનું માળખું તૈયાર કરવાનું કામ થયું છે. આમાંથી અનેક યોજનાઓ લાગુ થઈ ચૂકી છે અને બાકીની ધીરે ધીરે લાગુ થઈ રહી છે. શ્રી અમિત શાહે જણાવ્યું કે આજે જેનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે યોજના પણ આ નીતિનો જ એક હિસ્સો છે.