“એક વાત મહાત્માની”અંક:૨૫ ટ્રસ્ટીશીપ – વાલીપણું
ભારતના એક ૧ વ્યક્તિઓ પાસે દેશની કુલ આવકની ૭૩ ટકા જેટલી રકમ છે અને બાકીના ૯૯ ટકા લોકો ૨૭ ટકા આવક મેળવે છે. આવકની અસમાનતા એ વધતી વસ્તી જેટલો જ વિકરાળ પ્રશ્ન છે. અમીર અને ગરીબ વચ્ચે વધી રહેલી અસમાનતાને ખતમ કરવા માટે મહાત્મા ગાંધીજીએ ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપનાંનો સિદ્ધાંત આપ્યો. ગાંધીજીનાં મતે મૂડી વાદીઓ એ મૂડીનાં માલિક નથી પરંતુ તે તેમના વાલી કે રખેવાડ છે. દરેક ધનવાન કે અમીર વ્યક્તિએ પોતાની મિલકતને ખાનગી રાખવાને બદલે તેનું ટ્રસ્ટ બનાવવું જોઈએ. તેમનું માનવું હતું કે આ સર્વે સંપતિ એ ઈશ્વરની છે. તેની પાસેથી પરાત્પ થયેલી છે માટે તેના પર કોઈ નો એકાધિકાર ન હોવો જોઈએ. આ માટે ગાંધીજીએ ઉપનિષદનાં એક શ્લોક ને ટાંકયો જેનો અર્થ હતો કે “આ સઘળું ઈશ્વરનું છે જગતમાં જે કંઈ છે, તે ભગવાનનું છે માટે ત્યાગીને ભોગનો આંનદ માણો અન્યના ધનની કામના ન કરવી.” સમાજની સારી રચના માટે માણસે પોતાની સંપતિ જે ઈશ્વર દ્વારા મળી છે તે સંપતિને જાહેર હિતનું ટ્રસ્ટ બનાવીને લોકહિતમાં વાપરવી જોઈએ.
ગાંધીજીનાં મતે મુડીવાદી સમાજ રચનામાં મૂડીનો માલિક મોટા ભાગનો નફો પોતાની પાસે રાખે છે જેથી ગરીબને પુરતો નફો કે લાભ મળતો નથી. સાથોસાથ મૂડીપતિ પોતાની અંગત લાભ માટેની વસ્તુઓનું ઉત્પાદન કે ખરીદ કરતો હોય છે જેમાં એક વ્યક્તિ સિવાય અન્ય કોઈનું લોકહિત હોતું નથી. ગાંધીજીનાં મત અનુસાર “ સમાનની સમાન વહેચણી થવી જોઈએ. સમાન વહેચણીનો અમલ કરવો એટલે દરેક વ્યક્તિને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પૂરતા સાધન અને તક મળવી જોઈએ એનાથી વધુ કઈ ખપે નહિ” જેમ દરેક વ્યક્તિમાં શારીરિક કે બૌદ્ધિક શક્તિઓ જુદી જુદી હોય છે માટે તેમને જરૂરિયાત મુજબનું મળવું જોઈએ કોઈનીં પણ શક્તિ અન્ય જગ્યાએ વેળફાય તેમાં સમાજનું નુકશાન થાય. ગાંધીજીનાં અહિંસક અને સર્વોદયલક્ષી વિચારમાં હિંસાને કોઈ સ્થાન નથી.માણસના હૃદયમાં રહેલી સદભાવના ઉપર આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત રહેલો છે. ગાંધીજી કોઈ પણ માલિકોની સંપતિને ઝૂંટવી લેવી કે પડાવી લેવામાં માનતા ન હતા તેમના મતે માલિકો સ્વેચ્છાએ પોતાની મિલકત, સંપતિને સમાજના જરૂરિયાતવાળા લોકોને માટે વાપરે એ હેતુ હતો.
ગાંધીજીને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંતનો વિચાર આગાખાન જેલમાં કેદ હતા ત્યારે આવ્યો હતો. તે વિશેની ચર્ચા તેમણે નરહરિભાઈ પરીખ, કિશોરલાલ મશરૂમવાલા, એમ, એલ દાંતવાલા સાથે કરી હતી. આ તમામ આશ્રમનાં અંતેવાસીઓ સાથે મળીને વાલીપણાનાં આ સિદ્ધાંતનો આખરી મુસદ્દો ગાંધીજીને આપ્યો જે બાપુએ થોડા સુધારા સાથે સ્વીકાર્યો હતો. ટ્રસ્ટીશીપમાં મુખ્ય ૬ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં કેહવામાં આવ્યું કે મૂડીપતિઓને સુધરવાની અને પોતાની સંપતિનો સમાજ માટે ઉપયોગ કરવાની તક મળે છે. હાલની મૂડીવાદી સમાજ વ્યવસ્થાને સમતાવાદી સમાજમાં પરિવર્તિત કરવાની તક ટ્રસ્ટીશીપ આપે છે. કેવળ નીજી ઉપયોગ માટે સમાજ જેટલી ખાનગી મિલકતની છૂટ રાખે તે સિવાયની ખાનગી મિલકતનો હક એમાં માન્ય નથી. માલિકી હક તથા સંપતિનાં ઉપયોગનું કાયદથી નિયમન કરવાનો એમાં નિષેધ નથી. રાજ્ય દ્વારા સંચાલિત વાલીપણાની વ્યવસ્થામાં વ્યક્તિને પોતના સ્વાર્થ પોષવા સમાજ હિત અવગણના થાય છે. એ રીતે સંપતિ ધરાવવાની કે તેનો ઉપયોગ કરવાની છૂટ નહિ હોય. નિર્વાહ માટે મજુરીનું લઘુતમ ધોરણ નક્કી કરવાનું વિચારવામાં આવ્યું છે. તે રીતે ગુરૂતમ ધોરણ પણ નક્કી કરવું જોઈએ. ઉત્પાદનનું સ્વરૂપ મૂડીપતિઓની મનસુફી પર નહિ પણ સમાજની જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે.
ગાંધીજી દ્વારા દર્શાવામાં આવેલ આ વાલીપણાનાં સિદ્ધાંતને અનુસરીએ અને યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો એક વાત ચોક્કસ બને કે રાજ્યમાં કે દેશમ કોઈ પણ વ્યક્તિ સત્તા સ્થાને હોય તેમની ચિંતા કર્યા વિના લોકહિતની કામગીરી કરીને અમીર- ગરીબ વચ્ચે વધી રહેલા ભેદને ઓછો કરી શકાય.
(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)
Reference:ગાંધી સાહિત્ય, ઇન્ડિયન ઓપીનીયન, કલેકટીવ વર્ક ઓફ ગાંધી
ક્લિક કરો અને આગણ વાંચો….અંક:૨૬ ગાંધીવાદ