જામનગરમાં શહેરમાં ભારે વરસાદના કારણે સ્મશાનગૃહમાં પાણી ઘૂસ્યા
રંગમતી નદી ના ધસમસતા પાણીના પ્રવાહને લઈને સ્મશાનની ફર્નેસ ભઠ્ઠી ના તળિયા માંથી પાણી આવતા નવી સમસ્યા ઊભી થઈ
રિપોર્ટ:જગત રાવલ
જામનગર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે તેમ જ દરેડ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઇને રંગમતી નદીમાં ભારે પુર આવ્યા હતા. જેના કારણે સ્મશાનમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. અને સમગ્ર દિવસ દરમિયાન ૧૦ જેટલી અંતિમ ક્રિયા કરવા માટે ૨ ફૂટ પાણી માંથી ચાલીને જવું પડ્યું હતું. અને પાણીની વચ્ચે અગ્નિદાહ દેવાનો વારો આવ્યો હતો. ઉપરાંત સ્મશાનમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. રંગમતી નદી ના ધસમસ્તા પ્રવાહ ને લઈને ફર્નેસ ની ભઠ્ઠી ના તળિયા માં થી પાણીની સરવાણી ફૂટી રહી હોવાથી યુદ્ધના ધોરણે તેને મરામત કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.
જામનગરના આદર્શન સ્મશાનમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વરસાદના કારણે રંગમતી નદીમા ઘોડાપુર આવ્યા હતા. કંકાવટી ડેમ અને રંગમતી ડેમ ના પાટીયા ખોલવામાં આવ્યા હોવાથી જામનગરની રંગમતી નદીના ભારે પૂર આવ્યા હોવાના કારણે આદર્શ સ્મશાનમાં પાણી ઘૂસ્યા હતા જેના કારણે સ્મશાન પરિસરમાં બે ફૂટ જેટલું પાણી ભરાયેલું રહ્યું હતું.
સદનશીબે અગ્નિદાહ આપવા માટેનું પ્લેટફોર્મ ઊંચુ હોવાથી પાણી ત્યાં સુધી પહોંચ્યું ન હતું. અને અગ્નિદાહ દઈ શકાયો હતો. તે જ રીતે ઈલેક્ટ્રીક ફર્નેસ ભઠ્ઠી માં પણ અગ્નિદાહ દેવાની પ્રક્રિયા ચાલુ રહી શકી હતી. દરમિયાન ૧૦ મૃતદેહોની અંતિમવિધિ બે ફૂટ પાણી માંથી ચાલીને અંતિમ વિસામા સુધી પહોંચી અંતિમ ક્રિયા કરવાનો વારો આવ્યો હતો. જોકે પાણી ઉતરતા થોડી રાહત થઇ છે.
પરંતુ સ્મશાન માં એક નવી સમસ્યા ઊભી થઈ છે. રંગમતિ નદીમાં ધસમસતા પાણી નો અવિરત પ્રવાહ ચાલુ હોવાથી સ્મશાનની ઈલેક્ટ્રીક ફર્નેસ ભઠ્ઠી ના તળિયા માં થી પાણી ની સરવાણી ફૂટી છે, અને તળિયા માં પાણી ભરાવાનું શરુ થઇ ગયું છે. જેથી સ્મશાન વ્યવસ્થા કમિટી ના સભ્યોની દોડધામ વધી છે. તાત્કાલિક અસરથી કડિયા વગેરેને બોલાવી લીકેજ દૂર કરવા તેમજ ભઠ્ઠી ની અંદર ભરાતું પાણી ખાલી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.