પોતાની પીડા નેવે મૂકી દર્દીઓની પીડા દૂર કરતા સિવિલના જયાબેન અને સુનિલ ભાઈ
ખરા કર્મચારી તો તેને રે કહીએ…. જે પીડ પરાઈ જાણે રે…..
પાઈલ્સ થયા હોવા છતાં પણ જયાબેને કોરોનામાં કામગીરીની ફરજને આપી પ્રાથમિક્તા
પત્નીને આઠમે માસે ગર્ભ.. સુનિલભાઈનું ઘરે રહેવુ જરૂરી બની રહ્યુ તે છતાં સહર્ષ કોરોનામાં ફરજ બજાવી….
અમદાવાદ,૦૬ જુલાઈ ૨૦૨૦ સિવિલના સફાઈકર્મીઓનું કોરોના મહામારી સામેની લડતમાં અનેરૂ યોગદાન રહ્યું છે… કોરોનાની મહામારી વચ્ચે સ્વચ્છતા શ્રેષ્ઠ હથિયાર સાબિત થઈ રહ્યું હોય ત્યારે સિવિલના આ સફાઈ કર્મીઓની કર્તવ્યનિષ્ઠા ભૂલાય ખરી….??
સિવિલના સફાઈકર્મી જયાબહેન ચૌહાણને પાઈલ્સ હોવા છતા પણ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ખડેપગે કામ કરતા રહ્યા.. પોતાનું દર્દ છુપાવી કોરોનાગ્રસ્ત દર્દીઓના દર્દ કેમનું ઓછુ થઈ શકે તે સંવેદનશીલતા સાથે તેમની દરકાર કરતા રહ્યા.. જયાબેન કોરોના વોર્ડના બેડની ચાદર બદલવાથી લઈ દર્દીને સમયસર ચા-નાસ્તો, જમવાનું આપવાની જવાબદારી નિભાવતા… કોરોનાની મહામારીમાં દર્દીને પોતાના સગાથી દૂર એકલવાયુ રહેવુ પડે… ત્યારે ઘણાં દર્દી ખાવા-પીવાનું છોડી દે ત્યારે જયાબેન તેમને પ્રેમ પૂર્વક સમઝાવી, હૂંફ સાથેના વ્હાલસોયા વર્તન વળે દર્દીને જમાળે..
કોરોનાગ્રસ્ત દર્દી એકલવાયુ અનુભવતા હોય, સતત કોઈ આવીને તેમની વાત સાંભળે તેવી ઝંખના સેવતા હોય ત્યારે જયાબેન નવરાશની પળોમાં આવા દર્દીઓનું કાઉન્સેલીંગ પણ કરતા…
જયાબેનને પાઈલ્સની અસહ્ય પીડા હોવા છતા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરતા રહ્યા… હવે જ્યારે ૧૨૦૦ બેડમાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા ઘટી છે ત્યારે તેઓ પોતાની તકલીફનું નિદાન કરાવવા તૈયાર થયા છે….
સિવિલ હોસ્પિટલની ડેડિકેટેડ ૧૨૦૦ બેડની સમગ્ર હોસ્પિટલને સેનેટાઈઝ કરવાની કામગીરી બખૂબી કોઈક કરતું હોય તો તે સુનિલભાઈ પટેલ… તેમના પત્નીને ૮મેં માસે ગર્ભ છે.. આ દિવસોમાં સામાન્ય સ્ત્રી તેમના પતિ તેમની સમીપે રહે તેવી ઈચ્છા રાખતા હોય પરંતુ સુનિલભાઈએ પોતાની ફરજને પ્રાથમિકતા આપી… તેઓ ફરજના કલાકો કરતા પણ વધારે સમય સેનેટાઈઝેસનની કામગીરી કરી સ્વચ્છતા સુનિશ્ચિત કરતા….. સુનિલભાઈએ તેમની ટીમ સાથે ૧૨ થી ૧૪ કલાક કામગીરી કરીને સમગ્ર હોસ્પિટલને સ્વસ્છ,રમણીય રાખી હોસ્પિટલના તબીબો, તમામ સ્ટાફ અને સારવાર લઈ રહેલા દર્દીઓને વાયરસના સંક્રમણથી બચાવવામાં સિંહફાળો આપ્યો છે…. આજે તેમના પત્ની તેમજ આખોય પરિવાર સુનિલભાઈની નિર્ભયપણે આપેલી સેવા પર ગર્વ અનુભવી રહ્યુ છે….
કોરોના મહામારી શરૂ થઈ ત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્વૈચ્છિક રીતે સુનિલભાઈએ સેનેટાઈઝેશનની જવાબદારી સ્વીકારી હતી.તેમની ૩ જણાની ટીમે આ જવાબદારી બખૂબી નિભાવી જેના પરિણામ સ્વરૂપ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરતા ત્યાર ૧૨૦૦ બેડની સ્વચ્છતાના વખાણ ભરપેટ કરતા…
આ સમગ્રતયા સુચારુ સંચાલન પાછળ આ બાહોસ સફાઈકર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને સોંપેલા કામ પ્રત્યેની જવાબદોહિતા રહેલી છે….. આવા સફાઈ કર્મચારીઓને લાખ-લાખ અભિનંદન……
રિપોર્ટ: રાહુલ પટેલ,સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
—-xxxx—-xxxx—–