સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના આવા જ એક કોરોના વોરિયર મહિલા ડો. નિમિષા ગ્રામણી કોરોનાને મ્હાત આપી ફરી એકવાર દર્દીઓની સેવામાં જોડાયા છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ૧૩ વર્ષથી ડો. નિમિષાબેન સિનિયર રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. કોવિડ-૧૯ અનુભવ વર્ણવતાં કહે છે કે, ‘માર્ચ મહિનાથી મારી ડ્યૂટી કોવિડ એમ.આઈ.સી.યુ. વોર્ડમાં હોવાથી દર્દીઓની સારવાર દરમિયાન ઈન્ફેકશન લાગ્યું હતું. તા.૨૫ જુલાઈથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા RTPCR રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવતા એચઆર સિટી સ્કેન કરાવ્યું. સિટી સ્કેનમાં ફેફસામાં ૩૫ ટકા જેટલું કોરોનાનું ઇન્ફેક્શન હોવાથી હોસ્પિટલમાં દાખલ થઈ પાંચ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધી. ૧૨ દિવસ પછી કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
ડો.નિમિષાબેન આઈસોલેશન અને નિયત ક્વોરન્ટાઈન પિરીયડ પૂર્ણ થયા બાદ ફરી ફરજમાં જોડાયા છે.
તેઓ કહે છે કે, પરિવાર સાથે રહીને કોવિડના દર્દીઓને સ્વસ્થ કરવા એ નૈતિક ફરજ છે. જો અમે પીપીઈ કિટ, સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની કાળજી રાખવાં છતાં પણ કોરોના સંક્રમણના શિકાર થઈએ છીએ. આમ નાગરિકોએ શક્ય તેટલી સાવધાની રાખી આરોગ્ય તંત્ર અને સરકારને સાથસહકાર આપી આ વૈશ્વિક મહામારીથી બહાર આવી સામાન્ય જીવન જીવવા માટે સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે.