મંગળવારથી ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે
મંગળવારથી વડોદરા શહેરમાં નવા અભિગમ સાથે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે: પોઝિટિવિટી વધુ છે એવી ૪૦ ટકા શહેરી વસ્તીને સઘન રીતે આવરી લેવાશે
ઘેર રહીને સારવાર લેતા કોવિડ પોઝિટિવ દર્દીઓ પૈકી વધુ જોખમ ધરાવતા દર્દીઓને તારવી ને ખાસ કાળજી લેવામાં આવશે
વડોદરા,૨૧ સપ્ટેમ્બર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ આવતીકાલ મંગળવારથી નવા અભિગમ અને કાર્ય પધ્ધતિ સાથે વડોદરા શહેરમાં ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેની સાથે હોમ બેઝ્ડ કોવિડ કેર હેઠળના એટલે કે ઘેર રહીને સારવાર લેતા કોવિડ પોઝિટિવ દર્દીઓમાંથી ઠરાવેલા માપદંડોને આધારે વધુ જોખમ ધરાવતા દર્દીઓને તારવી,તેમની વિશેષ અંગત કાળજી લેવાનો અભિગમ આવતીકાલથી અમલમાં મુકવામાં આવશે. અગાઉના સર્વેલંસ માં ૮૨૦ ટીમો દ્વારા સમગ્ર વસ્તીને આવરી લેવામાં આવતી હતી એનો ઉલ્લેખ કરતાં ડો.રાવે જણાવ્યું હવે આઠમા રાઉન્ડના સરવેલંસ માં ૧૨૦૦ કર્મચારીઓની બનેલી ૫૬૯ ટીમો પોઝિટિવિટીનો ઊંચો દર ધરાવતી ૪૦ ટકા શહેરી વસ્તીને આવરી લઈને ચાર દિવસમાં સરવેલેન્સની કામગીરી પૂરી કરશે.
જ્યારે બાકીની ૨૫૪ ટીમો હોમ બેઝડ કોવિડ કેરની વ્યવસ્થાના મજબૂતીકરણ નું કામ કરશે.
જેઓ હોમ બેઝડ કોવિડ કેર હેઠળ છે એટલે કે ઘેર રહીને સારવાર મેળવી રહ્યાં છે તેવા કોવિડ પોઝિટિવ દર્દીઓ પૈકી જેમની ઉંમર ૫૦ વર્ષ થી વધુ છે તેવા તમામ દર્દીઓ,જેઓ કો મોરબીડ છે એટલે કે અન્ય રોગો ધરાવે છે તેવા અને આછા અથવા મધ્યમ લક્ષણો ધરાવે છે તેવા દર્દીઓની હાઇ રિસ્ક એટલે કે વધુ જોખમ ધરાવતા દર્દીઓ તરીકે ઓળખ કરવામાં આવશે જેમની વિશેષ અંગત કાળજી ઉપર જણાવેલી ટીમો દ્વારા લેવાનો અભિગમ પણ આવતીકાલથી અમલમાં મુકવામાં આવશે.
વિશેષ કાળજી લેવાના અભિગમના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો આવા દર્દીઓનું દરરોજ દિવસમાં બે વાર ટેલીફોનીક ફોલોઅપ કરશે અને એ રીતે તેમની વિશેષ કાળજી લેવામાં આવશે તેવો સંકેત ડો.રાવે આપ્યો છે.