કોરોના સંદર્ભે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અઠવાઝોનનાઆગેવાનો,સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી
ધન્વંતરિ રથ આપણી લાઇફલાઇન: સોસાયટીઓએ કોવિડ સુરક્ષા સમિતિ રચી નિયમોનું ઉલ્લઘંન ન થાય તેની તકેદારી રાખે તે જરૂરી: બંછાનિધિ પાની
સુરત:શુક્રવાર: સુરત શહેરમાં કોરોના વ્યાપને રોકવા રાજય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા સઘન પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. મ્યુ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ અઠવા ઝોનની વિવિધ સોસાયટીના પ્રમુખો અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી લોકોને સામાજિક દૂરી, માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇનનું પાલન કરાવવા અને સુરતને કોરોનામુક્ત બનાવવાના અભિયાનમાં સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.
શ્રી બંછાનિધિ પાનીએ અઠવા ઝોનના કન્ટેઇમેન્ટ વિસ્તાર અઠવા પાર્ટીપ્લોટ સામે આવેલું આરોગ્યનગર, વાય જંકશન વેસુરોડ ખાતે વાસ્તુ લકઝુરીયા એપાર્ટમેન્ટની મુલાકાત લઇ, ડોર ટુ ડોર સર્વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડેપ્યુટી કમિશનર શ્રી આર.જે.પંડયા પણ તેમની સાથે જોડાયા હતા.
કમિશનરશ્રીએ કોઇપણ વ્યકિતને ખાંસી, શરદી, તાવ, માથાનો દુઃખાવો વગેરે લક્ષણો જણાય તો તરત જ ૧૦૪ હેલ્પલાઇન પર ફોન કરવા જણાવી ઉમેર્યું કે, ૧૦૪ અને ધન્વંતરિ રથ આપણી લાઇફલાઇન છે. અઠવાઝોનમાં કોરોના કેસનું પ્રમાણ નહિવત હતું. પરંતુ અનલોક બાદ કોરોના કેસનું પ્રમાણ વધ્યું છે જે વાસ્તવિકતા છે. લોકોએ કામ વગર બહાર ન નીકળવું જોઇએ. સોસાયટીઓએ કોવિડ સુરક્ષા સમિતિ રચવી જોઇએ. નિયમોનું ઉલ્લઘંન ન થાય તેની પણ તકેદારી રાખવી જોઇએ.
સ્વયંશિસ્ત ખુબ જ જરૂરી હોવાનું અને સુરત મહાનગરપાલિકા દ્વારા કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરાયેલા છે એવા વિસ્તારની જનતાએ હોમ કવોરોન્ટાઇનમાં રહેવું અને તેમના માટે જીવનજરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા સોસાયટીના પ્રમુખો કરે તે જરૂરી હોવાનું શ્રી પાનીએ કહ્યું હતું.
******