જામનગરી પંચીયુ અને દોઢયું દારેસ્લામમાં બહેનોએ મન મુકીને નવરાત્રીમાં માંણયું
લોહાણા મહાજન દારેસ્લામ અને અન્ય જ્ઞાતિઓ દ્વારા રંગેચંગે ઉજવાઇ નવરાત્રી, દશેરાએ હવન યોજાયો
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૭ ઓક્ટોબર: કહેવાય છે જેને ગરબો રમતા ન આવડતું હોય.. ગરબો ગાતા ના આવડતું હોય તે ગમે તે હોઇ પણ અસ્સલ ગુજરાતી નથી, ગુજરાત અને ગરબો જાણે એક બીજાના પર્યાય બની ગયા છે, વિશ્ર્વના અનેક દેશોમાં વર્ષો પૂર્વે વેપાર ધંધા અર્થે, નોકરી મેળવવાના હેતુસર સ્થાયી થયેલા ગુજરાતીઓ આજે પણ તેની જન્મભૂમિ અને વર્ષો પૂર્વે રહેલી કર્મભૂમિની માટીની મહેંક તેની સંસ્કૃતિને વિસર્યા નથી અને આજે પણ વિશ્ર્વના અનેક દેશોમાં હિન્દુ તહેવારો, ગુજરાતી ગરબાઓ હર્ષભેર ઉજવાય છે આવા જ એક આફ્રિકન દેશ ટ્રાન્ઝાનીયાની આજે વાત કરવી છે.
ઇસ્ટ આફ્રિકાના સમુહમાંનો એક દેશ એટલે કે ટ્રાન્ઝાનીયા જેની કુલ વસ્તી 5,97,34,218 છે એટલે કે એક દેશની વસ્તી આપણા રાજયની સમકક્ષ કહી શકાય આ દેશના મુખ્ય શહેરો પૈકીનું એક શહેર એટલે દારેસ્લામ જેની કુલ વસ્તી 56 લાખ છે એટલે અડધા અમદાવાદ જેટલી અંહી અનેક ગુજરાતી પરિવારો વર્ષોથી વસવાટ કરે છે અને ગુજરાતમાંથી દારેસ્લામમાં સ્થાયી થયેલા પરિવારોમાં અનેકની તો ત્રીજી અને ચોથી પેઢી હાલ દારેસ્લામમાં વસવાટ કરી રહી છે, દારેસ્લામમાં મહાજન, જૈન, લોહાણા, બ્રાહ્મણ સહિત અનેક પરિવારો સ્થાયી થઇ વેપાર-ઉદ્યોગ કરે છે. હિન્દુ તહેવારોની ઉલ્લાસથી ઉજવણી કરે છે.
કોરોનાનો કહેર ટ્રાન્ઝાનીયામાં ખૂબ જ ઓછો જોવા મળ્યો છે. સમગ્ર દેશની 6 કરોડની વસ્તી સામે સરકારી આંકડા મુજબ ટ્રાન્ઝાનીયામાં કુલ 509 પોઝીટીવ કેસ જાહેર થયા છે અને 21 લોકોના મૃત્યુ થયા છે. એક સમયે ટ્રાન્ઝાનીયાના પ્રેસીડેન્ટ જહોન માગુફલીએ ટ્રાન્ઝાનીયા દેશને કોરોના મુકત દેશ જાહેર કરી દીધો હતો. કોરોનાના નહીવત કેસ અને કોરોના મુકત દેશ જાહેર થવા બાદ નવરાત્રીનો ઉમંગ ગુજ્જુ ખૈલેયામાં બમણો થઇ જાય તે સ્વભાવિક છે.
જામનગરમાં વર્ષો સુધી અનેક પ્રાચિન ગરબીમાં કોરીયોગ્રાફી કરી નવરાત્રીમાં નામના મેળવનાર સોનલ કોટેચા દારેસ્લામના જયેશભાઇ ગણાત્રા સાથે લગ્નગ્રંથીથી જોડાઇને 11 વર્ષે પૂર્વે કાયમ માટે દારેસ્લામમાં સ્થાયી થઇ ગયા, જામનગરથી વિદાય લીધા બાદ પણ તેમને ગુજરાતનો ગરબો તેમની સાથે જ રાખયો અને દારેસ્લામમાં પણ ગુજરાતી બહેનો ગરબો તેમની સાથે જ રાખયો અને દારેસ્લામમાં પણ ગુજરાતી બહેનોને એકઠા કરી ગરબાની રમઝટ બોલાવી હતી.
દારેસ્લામની નવરાત્રી અંગે સોનલબેન એ જણાવ્યું હતું કે અંહી કોરોનાના કેસ બહુ ઓછા છે પ્રારંભીક તબક્કામાં જ ટેસ્ટીંગ મોટા પ્રમાણમાં થઇ ચુકયા હતા. અને મેલેરીયાનું પ્રમાણ વધુ હોવાથી એન્ટીબોડી હોય છે અને લોકો રોગપ્રતિકારક દવાઓ લેતા હોવાથી કદાચ સંક્રમણ ઓછું થયું છે. ત્યાંથી સરકાર સમક્ષ નવરાત્રી યોજવા અંગે પરમીશન માંગતા સરકારે નવરાત્રી યોજવાની પરમીશન આપી હતી અને દારેસ્લામમાં રહેતા અનેક ગુજરાતી પરિવારોએ તેમના જ્ઞાતિના હોલમાં, પાર્ટી પ્લોટમાં અને અન્ય જગ્યાઓ પર મોટા પાયે નવરાત્રીને મન મુકીને માણી હતી. દારેસ્લમના શ્રી લોહાણા મહાજન દારેસ્લામ દ્વારા પણ પ્રતિવર્ષ યોજાતી નવરાત્રીઆ વર્ષે પણ રંગચંગે ઉજવાય જેમાં 600થી વધુ બહેનોએ ભાગ લીધો અને શવિનાર, રવિવારમાં આ ખૈલેયાઓની સંખ્યા 1000 ઉપર પહોંચવા પામી હતી.
શ્રી લોહાણા મહાજન દારેસ્લામના પ્રમુખ રમણીકભાઇ લાખાણી, ઉપપ્રમુખ અને રીલીજીયસ કનવીનર પલ્લવી બેન દાવડા દ્વારા સમગ્ર નવરાત્રી અને દશેરાના હવનનું આયોજન કરાય છે જેમાં માતાજીની પ્રતિમાનું સ્થાપન, જવેરા વાવવા અને દશેરાના હવન વિગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાય છેે નવરાત્રીમાં પાંચ વર્ષથી 80 વર્ષ સુધીના બહેનો, તાલીરાસ, ફ્રી સ્ટાઇલ, પંચીયા રાસ રમે છે ગરબા મંડપમાં ગુજરાતી વસ્ત્રો અને ટ્રેડીશનલ ચણીયા ચોળી પહેરવા ફરજીયાત છે અને આ સમગ્ર કાર્યક્રમ ફેસબુક અને યુટયુબના માધ્યમથી લાઇવ પણ કરવામાં આવે છે.
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોનાનો કાળો કેર જોવા મળે છે અને લાખો લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે અનેક કમભાગીઓ મોતને ભેટયા છે એવા સમયે સરકાર દ્વારા નવરાત્રી પર વધુ સંક્રમણના ફેલાય તે માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ખૈલેયાઓ ઘેર બેઠા છે એવા સમયે વિદેશમાં ગુજરાતીઓ મન મુકીને માતાજીની આરાધના કરી, ગરબે ઘુમી નવરાત્રીનો આનંદ લઇ રહ્યા છે અને જંયા..જંયા.. વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..ની પંકિત સાર્થક કરે છે.
આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન