police

સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન

કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન

સુરતઃગુરૂવારઃ-વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-૨૦ માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-૧૯ સંક્રમણને રોકવા લોકડાઉનનો અમલ શરૂ કર્યો હતો. લોકડાઉનનો સખ્તાઇ થી અમલ કરવા કોરોના ફ્રન્ટ વોરિયર્સ પોલિસ અધિકારી-કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહયા છે. ફરજ દરિમયાન અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ સંક્રમિત થયા હતા. અને સ્વસ્થ થઇ પુનઃ ફરજમાં જોડાયા છે. જે પૈકી ૧૩ જેટલા પોલીસ કર્મીઓએ પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરથી પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલમાં પોતાના પ્લાઝમા ડોનેટ કરીને સંવેદના સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો છે.

મૂળ સુરતના કતારગામ ખાતે રહેતા પૃથ્વીરાજસિંહ વાઘેલા સાયબર ક્રાઇમના આસી.સબ ઇનસ્પેકટર તરીકે ફરજ બજાવે છે. તા.૧૭ જુલાઇના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સ્વસ્થ થઇ પુનઃ ફરજ પર જોડાયા હતા.તેઓ કહે છે કે, પ્લાઝમાં ડોનેટ કરવા અમને પ્રોત્સાહન મળ્યું છે. ફરજ સાથે માનવીય ફરજ અદા કરવાનું કર્તવ્ય નિભાવ્યું છે. જરૂર પડશે તો ૧૫ દિવસ પછી ફરી પ્લાઝમાં ડોનેટ કરીશ.

police plasma donate

મૂળ ભાવનગરના મહુવા તાલુકાના ભાદર ગામના વતની અને હાલ કતારગામ વિસ્તારની નંદનવન સોસાયટીમાં રહેતા નાઝભાઈ ભૂકણ સુરત સાયબર ક્રાઈમમાં છેલ્લા ચાર વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમનો ૧૭ જુલાઈના રોજ કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૫ દિવસ હોમ આઈસોલેશન રહીને સારવાર લઈ કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થયા હતા. સ્વસ્થ થયા બાદ ૨૮ દિવસ પૂર્ણ થતા તેમને પ્લાઝમાનું દાન કર્યું હતું. તેઓ કહે છે કે, કોરોનાની વિપરિત પરિસ્થિતિમાં પ્લાઝમાં દાનનો અવસર યાદગાર બની રહેશે. પુણ્યનું તકને મે ઝડપી લીધી છે.

મૂળ રાજકોટના અને ૪ વર્ષથી સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષીય પિયુષભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, અમારી ૧૩ વ્યકિતઓની ટીમમાંથી સાતના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તા.૧૭ જુલાઈથી અમને સાત લોકોને ડોક્ટરની સલાહ મુજબ ૧૪ દિવસ માટે હોમ આઇસોલેશન રહ્યા બાદ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈને ફરજ પર હાજર થયા.