માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્યપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન
અમદાવાદ, ૧૬જુલાઈ ૨૦૨૦
સ્વામીજીના અંતિમ સંસ્કારના ચિત્રો કલ્પિત ભચેચના સૌજન્યથી
સ્વામીજીના જીવન સંદેશ
માનવતાનાં મસીહા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી
કચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલા ભારાસર ગામમાં તા. 28 – 5 – 1942ના રોજ રામબાઈ – શામજીભાઈ માઘાણી દંપતીના ઘરે પુત્રરત્નનો જન્મ થયો અને તે બાળકનું નામ પડ્યું હીરજી. બાળપણથી જ પ્રેમ અને સદભાવના સંસ્કારનું બાળ હીરજીમાં સિંચન થયું.
હીરજીએ માત્ર 19 વર્ષની વયે વર્ષ 1962માં અમદાવાદના શ્રી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના તત્કાલીન આચાર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાસેથી શાસ્ત્રોકત વિધિનુસાર મહાદીક્ષા ગ્રહણ કરી. હીરજીનું નામભિધાન થતાં તે શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી તરીકે ઓળખાયા. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ તેમના અનુયાયી શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીસ્વામીને માત્ર 23 વર્ષની યુવાન વયે તેમના અંગત મદદનીશ તરીકે પસંદ કર્યા. સ્મૃતિ જેમ શ્રુતિને અનુસરે તેમ મુક્તજીવન સ્વામીબાપાના પ્રિય બની ગયેલાં શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી તેમની ઉદ્યમશીલતા, ગ્રહનશીલતા, પવિત્રતા અને તેમની અદ્દભૂત સત્સંગપરાયણતાનો પરિચય આપ્યો.
ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીને પોતાના ઉત્તરાધિકારી તરીકે શાસ્ત્રોક્ત વિધિનુસાર વિક્રમ સંવત 2035 ફાગણ સુદ બીજ, તા. 28 – 2 – 1979ના બુધવારના રોજ નિયુક્તિ કરી.
પોતાના ગુરુદેવને સુયોગ્ય અંજલિરૂપે તેમણે અમદાવાદના ઘોડાસર ખાતે ભવ્ય સ્મૃતિમંદિર – વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિરનું નિર્માણ કરાવ્યું જેનું ઉદઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
વિશ્વશાંતિ અને સદભાવનાનો સંદેશ વિશ્વભરમાં પ્રસરાવવા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ વિવિધ દેશોનો પ્રવાસ કર્યો તો આપત્તિના સમયે તેઓએ ભોગ બનેલા જરૂરિયાતમંદોને મદદનો હાથ લંબાવ્યો. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ આજે દુનિયાભરમાં પ્રસરી ગઈ છે. વળી, શિક્ષણ, કલા, સંસ્કારનું સમાજમાં સિંચન થાય તેવી ઉમદા લાગણી સાથે સ્વામીજીએ ગાદી સંસ્થાનના આચાર્ય તરીકે અનેક સંસ્થાઓના પાયામાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. દેશ – વિદેશના મહાનુભાવોને મળી સ્વામીશ્રીએ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો જીવનભર પ્રચાર કર્યો.
સ્વામીશ્રીના સામાજિક, ધાર્મિક અને રચનાત્મક કાર્યોની સુવાસથી પ્રભાવિત થઈ અનેક સંતો- મહંતો તેમજ મહાનુભાવોએ દેશ – વિદેશમાં સદ્ધર્મરત્નાકર, સદ્ધર્મજ્યોતિર્ધર,
સનાતનધર્મસંરક્ષક, સિદ્ધાંતવાગીશ, દાર્શનિકસાર્વભૌમ, સત્સિદ્ધાંતદિવાકર, સેવામૂર્તિપરંતપ:, વિશ્વવાત્સલ્યમહોદધિ, વેદરત્ન, વર્લ્ડ પીસ એમ્બેસેડર જેવી પદવીઓથી નવાજ્યા છે.
વિશ્વ પ્રસિદ્ધ સ્કોટિશ પાઈપ બેન્ડ – શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ નાઈરોબી, લંડન, બોલ્ટન, અમેરિકા, મણિનગરની સ્થાપના કરી દુનિયાભરમાં પ્રશંસા અપાવી.
૪૧ વર્ષ સુધી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તરીકે સેવા બજાવનાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે વિશ્વનાં અનેક દેશોમાં શ્રી સ્વામિનારાયણ મંદિરોનું સર્જન કર્યું. સ્વામીજીના સત્સંગ પ્રવચનનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉમટી પડતાં હતા અને સ્વામીજીએ અસંખ્ય સત્સંગીઓનું જીવન તેમના સત્સંગ અને સાનિધ્યથી ધન્ય કરી દીધું.
માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન