વડોદરા શહેર જિલ્લામાં શંકાસ્પદ પક્ષી મરણ ના બનાવો નોંધાયા નથી: નાયબ પશુપાલન નિયામક

વડોદરા શહેર જિલ્લામાં શંકાસ્પદ પક્ષી મરણ ના બનાવો નોંધાયા નથી: પશુપાલન ખાતા દ્વારા વન વિભાગ અને ખાનગી પૌલ્ટ્રી ફાર્મ સાથે સંકલન કરી સઘન સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે: નાયબ પશુપાલન નિયામક…


વડોદરા, ૦૬ જાન્યુઆરી: ભોપાલની પ્રયોગશાળામાં બર્ડ ફ્લૂની ખાતરી કરવા માંદા કે મૃત પક્ષીઓ નો કોરોના ની ચકાસણી માટે થતો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ જ કરવામાં આવે છે….
બર્ડ ફ્લુ કે એવિયન ફ્લુ ના સંભવિત જોખમને અનુલક્ષીને પશુપાલન ખાતાએ સાવચેતી માટે શહેર અને જિલ્લામાં સઘન સર્વેક્ષણ હાથ ધર્યું છે અને વઢવાણા જેવા વેટ લેન્ડ્સ કે જ્યાં હાલમાં હજારો દેશી વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે,ત્યાં વન વિભાગનો સહયોગ લેવામાં આવી રહ્યો છે.

Whatsapp Join Banner Guj

જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજીએ ઉપરોક્ત જાણકારી આપતાં જણાવ્યું કે સદભાગ્યે હાલમાં વડોદરા શહેર કે જિલ્લામાં શંકાસ્પદ પક્ષી મરણ ના કોઈ બનાવો નોંધાયા નથી,તેમ છતાં તકેદારી રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે વન વિભાગના સહયોગ થી પક્ષી તીર્થો તરીકે જાણીતા તળાવો ખાતે નજર રાખવાની સાથે પશુપાલન ખાતાએ પોતાના કર્મચારીઓની મદદ થી પૌલટ્રી ફાર્મ જેવી સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે અને પક્ષીઓની શંકાસ્પદ માંદગી/ મરણ ની ઘટનાઓ ની તાત્કાલિક ખાતા ને જાણ કરવા અનુરોધ કર્યો છે.

તેમણે જણાવ્યું કે મોટી સંખ્યામાં પક્ષી મરણ જેવી ઘટનાઓમાં અમદાવાદ ખાતેની રજ્યસ્તર ની પ્રયોગશાળામાં ચકાસણી કરવામાં આવે છે અને વધુ સઘન તપાસ માટે ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડીસિઝ લેબની પણ મદદ લેવાય છે. તાજેતરમાં માણાવદર માં મોટી સંખ્યામાં કાગડા ના મરણ થયાં ત્યારે અમદાવાદ ખાતેની લેબની તપાસમાં ખોરાકી ઝેર જવાબદાર હોવાનું જણાયું.તેમ છતાં, વધુ તકેદારી માટે ભોપાલની સંસ્થામાં તપાસ કરાવતા બર્ડ ફ્લુ નેગેટિવ આવ્યો. તેમણે એક રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું કે પક્ષીઓમાં બર્ડ ફ્લૂ ની તપાસ માટે,કોરોના ની તપાસ જેના દ્વારા કરવામાં આવે છે એવા આર.ટી.પી.સી.આર. ટેસ્ટ ની જ મદદ લેવાય છે.

ડો.દરજીએ સાવધાની ના ભાગ રૂપે શહેર જિલ્લામાં કોઈ પણ જગ્યા એ મોટી સંખ્યામાં શંકાસ્પદ પક્ષી મરણ જણાય તો વડોદરામાં ભૂતડી ઝાંપા ખાતે આવેલા પશુ દવાખાના કે તાલુકા અને ગ્રામસ્તરે આવેલા સરકારી પશુ દવાખાનાઓ ને જાણ કરવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો…