NEWS ALERT:વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓના મહી કાંઠાના ગામોમાં સતર્કતા રાખવા સુચના
કડાણા ડેમમાંથી મહી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ક્રમશ: 2 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવશે
વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓના મહી કાંઠાના ગામોમાં સતર્કતા રાખવા સુચના
વડોદરા,23 ઓગસ્ટ,મધ્ય ગુજરાતના કડાણા ડેમમાં થી 20000 ક્યુસેક પાણી મહી નદીમાં પાવર હાઉસના માધ્યમ થી છોડવામાં આવી રહ્યું છે. કડાણા જળાશય ખાતે પાણીની સતત આવકને ધ્યાનમાં લઈને મહી નદીમાં જળ વિદ્યુત મથક અને ગેટમાં થી ક્રમશ: 2 લાખ ક્યુસેક જેટલું પાણી તબક્કાવાર છોડવાનું આયોજન છે તેવી સૂચના વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળી છે.
તેના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની સૂચનાથી વડોદરા જિલ્લાના ડેસર,સાવલી,વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ સતર્કતા રાખવા જણાવાયું છે.આ તાલુકાના ગામો મહી કાંઠે આવેલાં છે.આ ગામોમાં સાવધાની રાખવા અને જરૂર પડ્યે સાવચેતીના ઉચિત પગલાં લેવા સંબંધિત તાલુકા તંત્રોને સૂચના આપવામાં આવી છે.મહી કાંઠાના ગામોના લોકોને પણ નદી કિનારા થી દુર રહેવા અને પશુધનને દૂર રાખવા સહિત વિવિધ તકેદારીઓ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.