Health care worker: “સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ “સેવાના સુપર સ્પ્રેડર્સ” !!
Health care worker: ૧૩ મહિનામાં સિવિલમાં ૭૨૦થી વધુ હેલ્થકેર વર્કર્સ કોરોનાથી સંક્રમિત થઇ પુન:ફરજ પર જોડાયા
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૦૮ મે: Health care worker: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના મહામારીમાં કર્તવ્યનિષ્ઠાનું દરેક તબક્કે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૯મી માર્ચ ૨૦૨૧ના રોજ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં સૌથી મોટી ગણી શકાય તેવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં ૭મી એપ્રિલે કાર્યરત કરાવવામાં આવી હતી.
છેલ્લા ૧૩ મહિના એટલે કે ૪૦૦ દિવસથી પણ વધુ સમયથી શ્વાસ ગુંગળાઈ જાય તેવી પી.પી.ઇ. કિટમાં સજ્જ થઇને સિવિલના કોરોના યોદ્ધાઓ કલાકો સુધી દર્દીઓ માટે જ કામગીરી કરી રહ્યાં છે. આ પૈકીના મોટાભાગના લોકોનો ઘર-પરિવાર છે, તેમછતાં અત્યારે ફરજનો સાદ જ તેમના માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.
સિવિલના ઘણા કોરોના યોદ્ધાઓ એવા છે કે જેઓએ દિવસ-રાત જોયા વિના, પોતાના જીવની પરવા કર્યા વિના, કોઇ સામાજિક – ધાર્મિક પ્રસંગમાં પોતાની હાજરી ટાળીને, તહેવાર-ઉત્સવની ઉજવણીનું બલિદાન કરીને ફક્ત દર્દીનારાયણની સેવાને જ પ્રાથમિકતા આપી છે. આ તમામ હેલ્થકેર વર્કર્સે સ્વ ને ભૂલીને સમષ્ટિની ભાવના અપનાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીનારાયણની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. આ તમામ હેલ્થકેર વર્કર્સના બલિદાન અને સેવા ભાવને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
કહેવાય છે કે સારા કામની હંમેશા કોઇ ને કોઇ સ્તરે નોંધ લેવાય જ છે. કોરોના ડેઝિગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી સારવાર મેળવીને સાજા થયેલા દર્દીઓએ પણ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ પર આશીર્વચન વરસાવી રહ્યાં છે. દર્દીઓ તમામ હેલ્થકેર વર્કર્સને શુભેચ્છાઓ આપીને સતત તેમનો જુસ્સો વધારી રહ્યાં છે.
ખાસ નોંધનીય છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના તમામ (Health care worker) હેલ્થકેર વર્કસ વિચારોથી દર્દીનારાયણની સેવાભાવમાં જ સમર્પિત રહેતા. હોસ્પિટલમા સારવાર દરમિયાન પણ ટેલિફોનિક વાતચીત – ટેલિકાઉન્સેલિંગથી સતત પોતાની ફરજ અદા કરતા રહ્યાં હતાં. કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર મેળવી રહેલા દર્દીઓને પોતાના અનુભવો જણાવીને પ્રોત્સાહિત કરતા રહ્યાં. એ રીતે સારવારની સાથે સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા રહ્યા અને જેવા કોરોનાના સંક્રમણથી બહાર આવ્યા, સાજા થયા કે પુન:ફરજ પર વિના વિલંબે તે જ ક્ષણે જોડાઇ પણ ગયા.
સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સે (Health care worker) ખરા અર્થમાં પોઝિટિવિટીના સુપર સ્પ્રેડર્સ બનીને સમગ્ર હોસ્પિટલમાં સકારાત્મક વાતાવણ સર્જ્યું છે અને હજુ પણ કરી રહ્યા છે. સમર્પણ અને સેવાભાવ સાથે ફરજ અદા કરીને આ મહામારીમાં સિંહફાળો આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સના આ જુસ્સા, સેવા ભાવના અને સમર્પણ ભાવને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રનો ઇતિહાસ હરહંમેશ યાદ રાખશે તેમાં કોઇ બે મત નથી
સિવિલ હોસ્પિટલ હેલ્થકેર વર્કર્સના પ્રેરણારૂપ કિસ્સા
નિવૃત્ત સેવાભાવી તબીબ ડૉ. રાજેશ સોલંકી
Health care worker: માનવસેવા માટે ઉમરનો કોઇ બાધ હોતો નથી. આવા જ વયને બાજૂએ મૂકીને જનસેવા કરનારા એક સેવાભાવી તબીબ ડૉ. રાજેશ સોલંકી છે કે જેઓએ ૩૦ વર્ષથી વધુ સમય સિવિલ હોસ્પિટલમાં પલ્મેનોલોજી વિભાગ સરાહનીય સેવાઓ આપીને નિવૃત્ત થયા હતાં.. નિવૃત્તિ થયા બાદ પણ જ્યારે હોસ્પિટલને તેમની જરૂર પડી તો ક્ષણભરનો વિલંબ કર્યા વિના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા. સતત એક વર્ષની સરાહનીય સેવાઓ બાદ કોરોનાની બીજી લહેરમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા. પરંતુ સારવાર દરમિયાન પણ ટેલીકાઉન્સેલિંગથી દર્દીઓની સારવાર ચાલુ જ રાખ્યું. કોરોનાને મહાત આપી સાજા થઇ પુન: ડ્યુટી પર જોડાઇ ગયા.
સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે.વી.મોદી
સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે.વી.મોદીને જ્યારે કોરોના થયો ત્યારે તેઓ હોમઆઇસોલેશન ટાળીને હોસ્પિટલમાં જ દાખલ થયા. સારવારની સાથે સાથે ફરજ પણ અદા કરતા રહ્યા. કોરોના બાદ ચિકન ગુનીયા પણ થયો. ડૉ. મોદીને ઘણી શારિરીક નબળાઇ પણ આવી. પરંતુ એક પણ દિવસ રજા લીધા વિના સતત ફરજ બજાવતા રહ્યાં.
ઇમરજન્સી મેડિસિન વિભાગના તબીબ ડૉ. ચિરાગ પટેલ
સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી મેડિસિન વિભાગના તબીબ ડૉ. ચિરાગ પટેલ કે જેઓ કોરોના સંક્રમણનો સૌથી સંવેદનશીલ વિસ્તાર એવા ટ્રાયેજ એરિયામાં ડ્યુટી કરતા કરતા પોતે કોરોનાથી સંક્રમિત થયા. સંક્રમણ એટલી હદ સુધી ગંભીર બન્યું કે એક ક્ષણે તો જીવવાની આશા છોડી ચૂક્યા હતા. પણ તેમના નસીબમાં દર્દીઓની વધુ સારવાર કરવાનું કદાચ લખ્યું હતું. વેન્ટિલેટર પર રહીને ટોસિલીઝુમેબ જેવા ઇન્જકેશનની સારવારથી સાજા થઇ પુન: ફરજ પર જોડાઇ ગયા. હાલ પણ એ જ સમર્પણ અને નિષ્ઠાભાવ સાથે કોરોના સંક્રમિત દર્દીઓની નિર્ભિકપણે સારવાર કરી રહ્યા છે.
આ પણ વાંચો…AMC દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ખાલી બેડ અંગે માહિતી મેળવવા ડાયલ કરો આ નંબર અને મેળવો સંપૂર્ણ વિગત