સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરતવાસીઓને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું ઈ-માધ્યમથી લોકાર્પણ
- કોરોના મહામારીમાં પણ વિકાસયાત્રાને જારી રાખતા વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થાય છે:
- કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યોની રફતાર અટકશે નહીં:
- સુરત મહાનગરપાલિકાએ ટર્શરી કેરથી ગંદા પાણીને શુદ્ધ કરી રિયુઝ કરવાની સરાહનીય કામગીરી કરી છે
- સુરતને કોરોના સંક્રમણને ઝડપભેર નિયંત્રણમાં લાવવા સરકારે સુરત પર ફોકસ કરીને શક્ય તમામ આરોગ્ય સુવિધાઓ આપી છે
- પારદર્શિતા અને પ્રમાણિકતાથી કામો કરવાં અને સમયસર કરવાં એ આ સરકારની નીતિ છે: મુખ્યમંત્રીશ્રી
સુરત:૧૪ ઓગસ્ટ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫મી ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શહેરીજનોને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, ‘પ્રજાની અપેક્ષા, સપનાઓ અને જરૂરિયાતો કોરોનાની કામગીરી વચ્ચે પણ મહાનગરપાલિકાના કર્મયોગી પરિવારે પૂર્ણ કરી છે. સુરત વિશ્વના વિકસિત શહેરોની સમકક્ષ બને તે માટે જનસુવિધા વધારતાં અનેક વિકાસકામો વ્યાપક રીતે થતા રહે અને નાણાંના અભાવે વિકાસકામો અટકે નહીં એવી સુદ્રઢ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.’
મુખ્યમંત્રીશ્રીએ ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના ૦૬ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના ૧૪ વિકાસકામોનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યું હતું. જેમાં મુગલીસરા સ્થિત મનપાની મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી મેયરશ્રી ડો.જગદીશ પટેલ, સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ જોડાયાં હતાં.
વિડીઓ કોન્ફરન્સથી સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે પણ પાલિકાએ સુરતવાસીઓની સુખસુવિધાઓની કાળજી લીધી છે. કોરોના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતે વિકાસ કામોની ગતિ યથાવત જારી રાખી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર જનસહયોગથી ગુજરાતે સાકાર કર્યો છે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિમાંથી પ્રેરણા લઈને વિકાસયાત્રાને આગળ વધારી છે, જેના કારણે આજે ‘જ્યાં માનવી ત્યાં વિકાસ’, ‘લઘુતમ સાધનોનો મહત્તમ ઉપયોગ’ના મંત્ર સાથે આપત્તિ વચ્ચે વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થાય છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કોરોનાકાળમાં પણ વિકાસની રફતાર અટકવા નહિ દઈએ એવી પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
વિકાસના કામો પારદર્શિતા અને પ્રમાણિકતા સાથે સમયસર કરવાં એ આ સરકારની નીતિ છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ વિકાસકામોના ટેન્ડર પણ પબ્લિક ડોમેઈનમાં મૂકીને વિકાસકામો અને ખર્ચનો સરાજાહેર હિસાબ આપીએ છીએ. એવો સ્પષ્ટ મત શ્રી વિજયભાઈ રૂપાણીએ આ અવસરે વ્યક્ત કર્યો હતો.
Tweet
મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકાએ ટર્શરી કેરથી ગંદા પાણીને શુદ્ધ કરી રિયુઝ કરવાની પહેલ કરી છે તેને બિરદાવી જણાવ્યું કે, સુરતમાં કોરોના સંક્રમણને ઝડપભેર નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે સુરત પર ફોકસ કરીને શક્ય તમામ આરોગ્ય સુવિધાઓ આપી છે. તબીબી સેવા, આરોગ્ય સાધનો પૂરતાં પ્રમાણમાં ફાળવવા સાથે રાજ્યભરમાં રોજે-રોજ કોરોના ટેસ્ટ પણ વધારતા હાલ પ્રતિદિન ૫૦ હજારથી વધુ ટેસ્ટ રાજ્યભરમાં થાય છે એમ જણાવી તેમણે પાલિકાને સમયસર કરોડો રૂપિયાના વિકાસકામો જનતાની સેવામાં મૂકવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના સબળ નેતૃત્વ હેઠળ કોરોનાને નિયંત્રિત કરવાના મક્કમ ગતિ અને ટીમવર્કથી સહિયારા પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કારણે મંદ પડેલા ઉદ્યોગ વ્યવસાયોને વેગ આપવા આત્મનિર્ભર સહાય યોજના ટૂંકા સમયમાં લોકપ્રિય બની છે, આ યોજનાથી રાજ્યની વિકાસની ગતિ ધીમી પડશે નહીં. રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓને લગતી વેન્ટીલેટર, ઈન્જેકશનો, જરૂરી સાધનો વિનાવિલંબે અને પૂરતી માત્રામાં આપી સુરતના સ્થાનિક તંત્રને બળ પૂરૂ પાડ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
મેયરશ્રી ડો.જગદીશ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ ટૂંકા ગાળામાં બે મુલાકાત લઈ કોરોના સામે લડવા સુરતવાસીઓ અને આરોગ્યકર્મીઓનો જુસ્સો વધાર્યો જેના કારણે સુરતવાસીઓનો કોરોનાનો ભય દૂર થયો છે. સુરત પ્રત્યે સંવેદના દર્શાવી આરોગ્યના સંસાધનોની પૂરતી મદદ પૂરી પાડવા બદલ તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
આ વેળાએ ધારાસભ્ય સર્વશ્રી પુર્ણેશભાઈ મોદી, હર્ષ સંઘવી, વી.ડી.ઝાલાવાડીયા, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ, વિવેકભાઈ પટેલ, વિનુભાઈ મોરડીયા, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા, કાંતિભાઈ બલર, ડે.મેયરશ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી અનિલભાઈ ગોપલાણી સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.