રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ બાંધકામને પરવાનગી અપાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે.
ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરીની મુખ્ય વાતો
ગાંધીનગર,૧૮ ઓગસ્ટ
- રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ,-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી અપાશે
- રાજ્યમાં હાલ પ્રવર્તમાન નિયમો મુજબ વધુમાં વધુ રર-ર૩ માળના ઊંચા મકાનોના સ્થાને હવે ૭૦ થી વધુ માળની ઇમારતો-આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણ થઇ શકશે
- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-૨૦૧૭માં ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે.
- મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડીંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે
- ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે.
- વધુમાં આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે.
- આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે
- સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.
- ૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે.
- ૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર
- ૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર
- મહત્તમ FSI પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે
- રહેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.
- પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે
- વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે
- અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ સહિત રાજ્યના આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે.
- એટલું જ નહિ, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે.
- શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે.
- જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે.
- આવા વિકાસલક્ષી અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ ટોલ બિલ્ડીંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ