કોરોના મુક્ત થયા બાદ દર્દીઓની સંભાળ લેતા ફાર્માસિસ્ટ મુનિરા ચૌહાણ
દવા સાથે દુવા મેળવી અનેરું કાર્ય કરતા કોરોના વોરિયર
રિપોર્ટ:શુભમ અંબાણી,રાજકોટ
“બેન, મારા ભાઈને ડાયાબિટીઝ છે તો આ દવા એમને આપી દેશે ?”, “ચિંતા ન કરો ભાઈ અમે કોરોના ઉપરાંત અન્ય બીમીરીની દવા પણ ડોકટરની સૂચના અનુસાર સમયસર આપીએ છીએ.આટલું સાંભળ્યા પછી એ ભાઈના મુખ પર જે ખુશી જોવા મળી એ જ મારા કાર્ય ની ફલશ્રુતિ છે. આ શબ્દો છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ફાર્માસિસ્ટ મુનિરા ફારૂખ ચૌહાણના, જેઓ રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ દાખલ થયો ત્યારથી આજ દિન સુધી કાર્યરત છે.
જ્યારે કોઈ મજબૂત અને નયનરમ્ય ઇમારત આકાર પામે છે ત્યારે તેના નિર્માણમાં પાયાના પથ્થરોનું અનુદાન મહત્વનું હોય છે. આ પથ્થરોની મજબૂતીના પ્રતાપે ઇમારત ટકી રહે છે. હાલ જ્યારે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯નુ સંક્રમણ વિશ્વમાં સતત વધી રહ્યુ છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીનુ સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર તથા કોવિડ-૧૯ હોસ્પિટલના તમામ ડોકટર્સ, નર્સ, સફાઇ કર્મીઓ કોરોના યોધ્ધા બનીને સતત કામગીરી કરી રહ્યા છે.
આવા જ પડદા પાછળના કોરોના વોરિયર એટલે ફાર્માસિસ્ટ મુનિરા ચૌહાણ, જેમનું મુખ્યકાર્ય કોરોના મુક્ત બનતા દર્દીઓને દવાની કીટ આપવાનું છે. એ વિશે વિગતવાર માહિતી આપતાં તેઓ જણાવે છે કે,”મારુ મુખ્ય કાર્ય કોરોના મુક્ત થતા દર્દીઓને તેમના ક્વોરોન્ટાઇન પિરિયડની દવા આપવાનું છે. જેમાં અમે દરરોજ ડિસ્ચાર્જ થતા દર્દીઓને દવાની કીટ તૈયાર કરીને આપીએ છીએ, અમેં ડિસ્ચાર્જ થતા દર્દીઓના લિસ્ટ પ્રમાણે તેમની દવા તૈયાર કરીએ છીએ સાથોસાથ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓની દવા પણ અમે દર્દીઓને આપીએ છીએ. જેમાં દર્દીના નામ પ્રમાણે અને તેને ક્વોરોન્ટાઇન પિરિયડ મુજબ દવા કઈ રીતે લેવી તેની માહિતી ચિઠ્ઠી માં લખી દવાની કિટ સાથે આપીએ છીએ.”
મુનિરાબેન ઓછા સમયમાં ખૂબ જ ચોકસાઈ પૂર્વક કાર્ય કરે છે.જ્યાં કોઈ વાર ૧૦ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવે છે તો કોઈવાર ૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવે છે. છતાં દરેક દર્દીને તેંમના નામ, ઉંમર, તથા અન્ય કોઈ બીમારી હોય તો તે મુજબની કીટ સમય સુચકતાથી તૈયારને મળી જાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોના મુક્ત થયા બાદ ક્વોરોન્ટાઇનનો સમયગાળો ખૂબ જ મહત્વ હોય છે. જ્યાં નિયમિત લેવાતી દવાઓ દર્દીની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેના માટે દવાનું પણ યોગ્ય નિયમન થવું આવશ્યક છે. જે મુનિરાબેન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે.
આમ, કોરોના સામેની જંગમાં કોરોના મુક્ત થયા બાદ યોગ્ય દવા આપી દર્દીઓની સંભાળ લેવાનું ઉત્તમ કાર્ય મુનિરાબેન કરી રહ્યા છે. જે પ્રશંસનીય છે