જામનગર મહાનગરપાલિકાને અને નગરપાલિકાઓને ચેકનું વિતરણ કરાયું
જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪ કરોડ અને જામનગરની ૪ નગરપાલિકાઓને રૂ.૧.૧૨,૫૦,૦૦૦ના ચેકનું વિતરણ કરાયું
રિપોર્ટ:જગત રાવલ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૦૦૦ કરોડની રકમના ચેક વિતરણનો ઓનલાઈન સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર ખાતે ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે જામનગર જિલ્લાની જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૪ કરોડ અને જામજોધપુર, ધ્રોલ, સિક્કા અને કાલાવડ દરેક નગરપાલિકાઓને રૂ. ૧,૧૨,૫૦,૦૦૦ના ચેકનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા મહેસૂલ સેવા સદન જામનગર ખાતે ધારાસભય રાઘવજીભાઇ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોશી, કમિશનર સતિષ પટેલ, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખહસમુખભાઇ હીંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મંત્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રીએ રાજ્યના તમામ શહેરોમાં પાયાની સવલતોના સુદ્રઢ વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા રસ્તા-પાણી, ભૂગર્ભ ગટર, સલામતી, સફાઇ સહિતની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસ કામો હાથ ધરવા જણાવ્યું હતુ. નાણાં વગર કોઈ કામ અટકશે નહી આ બાબતે સરકાર કોઇપણ જાતની કચાશ રાખશે નહીં એમ પણ જણાવ્યું હતું.
વિકાસની સાથે પર્યાવરણ જાળવણીને પણ પ્રાધાન્ય અપાશે તેમ જણાવી વિકાસ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેની ખાસ કાળજી રાખવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં બનેલ દુઃખદ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જિલ્લા મહેસૂલ સેવાસદન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવા સંવેદના સાથે છેવાડાના માનવીનું હિત સચવાય તેવી રીતે વિકાસ કામોનું આયોજન કરવામાં આવશે સાથે જ મંત્રીએ વિકાસકાર્યો માટેના આ આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.