તમામ નાગરિકોનો એક જ મત -‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’
વધુ ને વધુ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા રાજયસરકાર દ્વારા જાહેર અનુરોધ
રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:કોરોાનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે રાજયસરકાર બહુપાંખિયો જંગ લડી રહી છે, જે પૈકીની એક બાબત છે-વધુ ને વધુ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવા, જેથી કોરોનાનું સંક્રમણ પ્રાથમિક તબક્કામાં જ જાણી તેનો આગોતરો ઉપાય કરી શકાય અને કોરોનાને કાબુમાં લઇ શકાય. આ માટે રાજયસરકાર દ્વારા મહત્તમ લોકોને કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવવા જાહેર અનુરોધ કરાયો છે.
કુંડલીયા કોલેજના બેચલર ઓફ કોમર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કાજલ મુંગલાણીએ ‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’ના મહત્વ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે, રાજયસરકાર જયારે ઘરે-ઘરે જઇને કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરી આપે છે, ત્યારે રાજયના પ્રત્યેક નાગરિકે આ ટેસ્ટ અચૂક કરાવવો જ જોઇએ. ટેસ્ટ કરાવવાથી જ કોરોનાને નાથી શકાશે, એવો મારૂં સ્પષ્ટ માનવું છે.
સુભાષચંદ્ર બોઝ સરકારી ટાઉનશીપ ખાતે નિવાસ કરતા ગૃહિણી શ્રીમતિ આરતીબેન અગ્રાવતે પણ ‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’નો આગ્રહ રાખતાં અંગે કહયું હતું કે, આનાથી કોરોના અંગેની બીક જશે અને જલ્દીથી સારવાર મળશે. કોરોનાથી બીવાને બદલે હવે તો ઘરે રહીને પણ સારવાર લઇ શકાય છે, આથી કોરોના ટેસ્ટ કરાવીને દરેક નાગરિકે સરકારને સરહકાર આપવો જ જોઇએ.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનિટરી ઇન્સ્પેકટરશ્રી રમેશભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ઘણી વખત કોરોના રોગનાં એક પણ લક્ષણો ન દેખાતા હોવા છતાં વ્યક્તિ કોરોના સંક્રમિત હોઇ શકે છે, અને તેની ખબર કોરોના ટેસ્ટ દ્વારા જ પડે છે, આથી ટેસ્ટ ન કરાવવાની માનસિકતા બદલીને -‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’ના સૂત્રને અનુરસવું જોઇએ, અને સત્વરે કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ.
કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા સિવિલ એન્જીનીયરશ્રી ભાવેશભાઇ વોરાને ‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’ અભિયાન અન્વયે જ કોરોના પોઝિટિવ જાહેર થયો હતો. તેમણે હોમ આઇસોલેશન અપનાવીને કોરોનાને વગર ખર્ચે સરકારી સારવારથી જ હરાવ્યો છે. આથી જ તેઓ ‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’ને ખૂબ જ અગત્યનું ગણાવે છે, અને બધાને તેનું પાલન કરાવવા સમજાવે છે.
જંકશન આરોગ્ય કેન્દ્રના રાષ્ટ્રીય બાલ સખા કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. વીરેન્દ્રસિંહ જાડેજાએ તેમના વિસ્તારના રહીશો માટે ‘‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’’ના સૂત્રને અપનાવીને તેનું પાલન કરવા સમજાવ્યા હતા, અને ઉમેર્યું હતું કે, ઘરે રહીને સારવાર લેવાથી નાગરિકોની રોજિંદી રહેણી-કરણીમાં મોટો બદલાવ આવતો નથી, અને સારવારનો ખર્ચ બચે છે. શરૂઆતાના તબક્કે જ ટેસ્ટ કરાવી લેવાથી ઘરનાં અન્ય સભ્યોને કોરોનાનો ચેપ લાગવાની બીક રહેતી નથી. આથી તમામે કોરોનાનો સરકારી ટેસ્ટ અચૂક કરાવી જ લેવો જોઇએ.