અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ બન્દ રહેશે

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦

કોરોનાના સંક્રમણને અટકાવવા
▪રેડઝોન સહિત રાજ્યભરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી રખાશે: રાજ્ય પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા
▪અમદાવાદ શહેરના વધુ સંક્રમિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે: ૮ પેરામિલિટરી ફોર્સના અભેદ્ય કિલ્લાથી ચાંપતી નજર રખાશે
▪રાજ્ય પોલીસ દળ અને પેરા મિલિટરી ફોર્સના જવાનો ઉંચા મનોબળ સાથે અવિરતપણે કોરોના સામેની લડત ચલાવી રહ્યા છે
▪કોરોના વાયરસના સંક્રમણને રોકવા સામાજિક, પારિવારિક અને ધાર્મિક મેળાવડા ન યોજવા નાગરિકોને અપીલ
▪તબીબી સેવાઓ સાથે જોડાયેલ ડોક્ટર સહિત તમામ પેરામેડીકલ સ્ટાફને પોલીસ તરફથી પૂરતો સહયોગ મળશે

રાજ્યના પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી સાથેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાશે.

લોકડાઉનના અમલ સંદર્ભે પોલીસ વડાશ્રી ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રમાણ વધુ છે તેવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી કુલ ૭ વધારાની કંપનીઓ ફાળવી દેવાઇ છે. તે પૈકી ૫ કંપનીઓ અમદાવાદ ખાતે કાર્યરત કરાશે આ માટે કુલ ૮ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લા બંધી સાથે સંક્રમિત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં શહેરની પોલીસ ફોર્સ, એસ.આર.પી અને પેરામિલિટરી સહિત કુલ ૩૮ કંપનીઓ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ખાતે બે કંપની અને સુરત ખાતે કુલ છ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
શ્રી ઝાએ ગર્વ સાથે ઉમેર્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ ફોર્સ, રાજ્ય પોલીસ દળ અને પેરામિલિટરી ફોર્સ ઊંચા મનોબળ સાથે અવિરતપણે લડત ચલાવી રહ્યા છે. તમામને માસ્કની સુવિધાઓ પૂરી પડાઇ છે અને દર બે કલાકે સાબુથી હાથ ધોવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

શ્રી ઝાએ વધુમાં કહ્યું કે ઓરેન્જઝોન અને ગ્રીનઝોનમાં પણ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જે પ્રતિબંધો છે તેનો નાગરિકો યોગ્ય પાલન કરે તે અત્યંત જરૂરી છે. ધર્મ સંસ્થાના વરિષ્ઠોને અપીલ કરતા શ્રી ઝાએ કહ્યું કે ધાર્મિક સંસ્થાનો પર મેળાવડાઓ ન કરવા જોઈએ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાશે. જો ધાર્મિક સ્થળો પર લોકો એકઠા થયેલા જણાશે તો કાર્યવાહી કરાશે. અમદાવાદ શહેરમાં ગુરુદ્વારામાં એકત્રિત થયેલ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

લોકડાઉન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ, મનોરંજન સ્થળો, પાર્ટી પ્લોટ, મોલ વગેરે સ્થળો સદંતર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે તેનું દરેકે ચુસ્ત પાલન કરી કોરોના સામેની લડાઈમાં સૌનો સહયોગ જરૂરી છે આવા સ્થળોએ જો લોકો એકઠા થશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી શ્રી ઝાએ કોરોના સંક્રમણને અટકાવવા સામાજિક, પારિવારિક અને ધાર્મિક મેળાવડાઓને રોકવા નાગરિકોને અપીલ કરી છે.
તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણને અટકાવવા લોકોને તબીબી સેવાઓ સરળતાથી અને તાત્કાલિક મળી રહે તે આવશ્યક હોવાથી લોક્ડાઉનમાંથી તબીબી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે જેથી તબીબો તેમના ક્લિનિક ચાલુ રાખી શકશે. તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ સહિત તબીબી સેવાઓ સાથે જોડાયેલા તમામને પોલીસ વિભાગ તરફથી જરૂરી સહયોગ પુરો પાડવામાં આવી રહ્યો છે.

શ્રી ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૫૫ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૩૫૫ ગુના દાખલ કરીને ૨૧,૩૯૧ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૬૦ ગુના નોંધીને ૭૦ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૬૨૯ ગુના નોંધીને ૩૭૪૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શ્રી ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૦ ગુનામાં ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૫૬૭ ગુનામાં કુલ ૮૨૮ લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૧ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૬૬૮ ગુના દાખલ કરીને ૧૩૮૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૭ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૨૮ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૧૩૨ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૨૫૪૦ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૨ સહિત આજદિન સુધીમાં કુલ ૧૧૧૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૫૬ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૮૮૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૨૨૧૩ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૮૨ ગુના તથા અન્ય ૫૭૧ ગુના મળી અત્યાર કુલ ૩૫૬૬ ગુનાઓ દાખલ કરી કુલ ૪૩૩૯ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૬૫૨૨ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૪,૨૮૧ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૮૦૩૫ અને અત્યાર સુધીમાં ૧,૮૭,૫૬૫ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.