કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત,૧૦ ઓક્ટોબર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કડોદરાના વિવિધ વિસ્તારોમાં રૂ.૨.૯૩ કરોડના ખર્ચે તૈયાર થનારા પાકા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૪૮.૨૫ લાખના ખર્ચે કડોદરાના મહાદેવનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં રોડ સર્ફેસિંગના કુલ ૦૯ કામો, રૂ.૨૦.૩૮ લાખના ખર્ચે કડોદરાના ગોકુળનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં આર.સી.સી રોડના કુલ ૦૩ કામો અને રૂ.૨.૨૫ કરોડના ખર્ચે કડોદરાના મણીનગર સોસાયટીની આસપાસના વિસ્તારમાં આર.સી.સી રોડના કુલ ૩૪ કામોના રસ્તાઓની ખાતમુહૂર્તવિધિ મંત્રીશ્રીએ સંપન્ન કરી હતી.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. પાકા રસ્તાઓના નિર્માણથી જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થવાથી લોકોને તેનો સીધો ફાયદો થશે. કામ શરૂ થયા બાદ યોગ્ય સમયમાં ગુણવત્તાયુકત રીતે કામ પૂર્ણ થાય તેની તંત્રવાહકોને સૂચના આપી હતી.