અદાણી ફાઉન્ડેશન દ્વારા નવચેતન વિદ્યાલય-જુનાગામ ખાતે શાળાકીય સુવિધામાં વધારો કરાયો
રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર શાળાના બાળકોની સુરક્ષા માટે નવનિર્મિત દાદર (સીડી)નું લોકાર્પણ
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૨૨ ડિસેમ્બર: નવચેતન વિકાસ મંડળ સંચાલિત અને અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન વિદ્યાલય, જુનાગામ (પ્રાથમિક વિભાગ)માં રાજ્ય સરકારની શાળાઓ માટે સમયાંતરે કરાયેલી ફાયર સેફટીની માર્ગદર્શિકાને ધ્યાને રાખી વૈકલ્પિક દાદર (સીડી)નું નિર્માણ અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા કરાયું છે, આ નવનિર્મિત સીડીનું લોકાર્પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપકભાઈ દરજી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતિ સ્વાતિબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો. દિપકભાઈ દરજીએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા શિક્ષકોને કમર કસવા જણાવી અદાણી ફાઉન્ડેશનને નાના ભૂલકાઓની સુરક્ષાની ભાવનાની સરાહના કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણના વિકલ્પરૂપે નવચેતન અદાણી વિદ્યાલયમાં ચાલતી સેલ્ફ લર્નિંગ મોડ્યુઅલ્સ (SLMs) તૈયાર કરી વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે તે માટેની પ્રવૃત્તિ અનુકરણીય હોવાનું ડો.દરજીએ જણાવ્યું હતું.શ્રીમતિ સ્વાતિબેન પટેલે અદાણી ફાઉન્ડેશનની સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે શાળામાં આકસ્મિક મુશ્કેલીઓને પહોંચી વળવા અને વિદ્યાર્થીઓની સુરક્ષા હેતુ માટે નવનિર્મિત સીડી ઉપયોગી બની રહેશે એમ પણ જણાવ્યું હતું.
આ વેળાએ રાજ્ય સરકાર દ્વારા ધો.૦૬ માં લેવાતી પ્રાઈમરી સ્કોલરશીપ એક્ઝામ-(PSE)માં નવચેતન વિદ્યાલયની વિદ્યાર્થિની કુ.ઈશા શૈલેશભાઈ પટેલે સમગ્ર ચોર્યાસી તાલુકામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવવા બદલ ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત તુલસી જળ અર્પણ કરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો…..