Photo by engin akyurt on Unsplash

લોકડાઉનમાં વજન વધી ગયું છે? હવે ડાયેટની જરૂર છે? વાંચો આ ખાસ લેખ.

Dr Bela 0908

A balanced diet is chocolates in both hands

આ ટાઇટલ જોઈને એવું ન વિચારતા કે હું ચોકલેટ ના ગુણ અવગુણ વિશે કંઇ લખવાની છું. આ તો માત્ર મેં પૂર્વાર્ધ બાંધવા માટે ચોકલેટ શબ્દ વાપર્યો છે. એના બદલે બીજા કોઈ આહાર નું નામ પણ લખી શકાય. ખરેખર તો હું વાત કરવા માગું છું બેલેન્સ ડાયેટ એટલે કે સંતુલિત આહાર વિશે. સંતુલિત આહાર એટલે કેવો આહાર? જે આહારમાં બધા જ પ્રકારના વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ, ખનીજ ક્ષાર આ બધાનું ઉચિત પ્રમાણમાં સંતુલન જળવાયેલું હોય એને સંતુલિત આહાર કહેવાય. સામાન્ય રીતે આપણે બધા એક જ નિયમ અનુસરતા હોઈએ છીએ, જેમ કે સવારે થોડો ઘણો કોરો નાસ્તો, બપોરનું જમવાનું થોડું ભારે અને રાતનું જમવાનું હાઈ કેલેરીયુક્ત. આ રીતના આહારની આદત જ આપણી બીમારીઓનું પચાસ ટકા કારણ છે.

આયુર્વેદ પ્રમાણે જણાવું તો, સવારે રાજાની જેમ જમો, બપોરે વણિકની જેમ જમો, અને રાત્રે ગરીબની જેમ જમો. આનો મતલબ થાય કે સવારે રાજાની જેમ એટલે હાઈ કેલરી યુક્ત ઘી-તેલ વાળું જમો, જેથી કરીને પૂરા દિવસ દરમિયાન તમારે જે કામ કરવાનું છે એના માટે પૂરતી તાકાત તમને મળી રહે. બપોરે વણિકની જેમ અર્થાત થોડી ઓછી કેલરી અને પૂરતા પ્રોટીન તેમજ ખનીજ ક્ષાર વાળું જમો, જેથી કરીને તમને બપોરના સમયે જમ્યા પછી જે ઊંઘ આવે છે એ ના આવે. રાત્રે ગરીબની જેમ અર્થાત બહુ જ ઓછું જમો, જેમાં કેલરી ઓછી કે બિલકુલ ના હોય પરંતુ કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ તેમજ પ્રોટીન યોગ્ય માત્રામાં હોય જેમ કે ખીચડી-દૂધ-રાગી વગેરે. આવું ભોજન રાત્રે લેવાથી તે સહેલાઈથી પચી પણ જાય છે અને કબજિયાત થવા દેતું નથી. તેમજ રાતનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લેવાથી શરીરમાં મેદનું પ્રમાણ વધતું નથી, કેમ કે આપણે એ આહાર સૂતા પહેલા પચાવવાનું પૂરતો સમય મળે છે

dan gold 4 jhDO54BYg unsplash

આપણે બધા આનાથી ઊલટું કરીએ છીએ. સવારે હળવો નાસ્તો લેવાથી પૂરી તાકાત મળતી નથી એટલે બપોરના ભોજનનું સ્થાન દસ અગિયાર વાગ્યાનો નાસ્તો(કેલેરી યુક્ત) લઈ લે છે. બપોરનું ભોજન કરી જમીને બીજી કેલરી ઉમેરીએ છીએ. રાતના ભોજનમાં તે ત્રણ ગણી કેલરી યુક્ત જંક ફૂડ ખાઈને મેદસ્વીતા ને પ્રેમથી આમંત્રણ આપીએ છે. સાથે-સાથે કબજિયાત, એસિડિટી જેવા મહેમાનો તો વગર આમંત્રણે પહોંચી જાય છે. આપણા શાસ્ત્રોમાં જે આહાર માટે જણાવાયું છે અને જો યોગ્ય રીતે અનુસરવામાં આવે તો કદાય ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકાય.

Photo by engin akyurt on Unsplash

આહાર લઈને ઘણી ગેરમાન્યતા પણ હોય છે, જેમ કે પપૈયું ગરમ પડે, ફાલસા ઠંડા પડે, વગેરે વગેરે.એમાં પણ જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તો આ ગેરમાન્યતાઓ મગજમાં એટલી હદ ઠલવાતી હોય છે કે એ સતત એ જ વિચારતી રહે કે ક્યાં ખોટું ખવાઈ જશે તો બાળક પર તો કોઈ અસર નહી આવે ને ? એક ગેરમાન્યતા એવી પણ છે કે, કેસરવાળું દૂધ પીવાથી બાળક ગોરું આવશે. જો આવું જ હોત તો અફ્રિકન માણસો પણ ગોરા થઈ શકત ને ? 2005 માં ઐશ્વર્યા રાયની એક ફિલ્મ આવી હતી. ” The mistress of spices”. આ ફિલ્મમાં આપણા રસોડામાં વપરાતા વિવિધ મસાલાઓ નો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે, જે મને વ્યક્તિગત રીતે બહુ પસંદ આવ્યો. આપણા મસાલાઓ કે જેના લીધે આપણે દુનિયા ભરમાં મશહૂર થયા એના જ ઔષધીય ગુણ વિશે આપણે અજાણ છીએ.

હળદર ખાંસી માં અપાય જીરું અજમો અપચામાં અપાય અને પપેયીયું કબજિયાતમાં અપાય આવી સામાન્ય સમજણ પણ ઘણીવાર હોતી નથી. જો આ મસાલાના ઔષધીય ગુણો સમજી લઈએ તો ડોક્ટર પાસે સામાન્ય તકલીફો માં જવાની બહુ જલ્દી જરૂર ના પડે,

કયારેક તો મને એવું પણ લાગે છે કે ખરેખર તો લગ્ન પહેલા જેમ થેલેસેમિયાની તપાસ કરતા હોઈએ એમ આ પણ નાનકડી તપાસ કરાવવી જોઈએ, જેમાં દંપતીને ઘરગથ્થુ ઉપચાર કેટલા આવડે છે તેની પરીક્ષા હોવી જોઈએ ખરેખર બહુ અજીબ વાત છે પણ તમારી આસપાસની વ્યક્તિઓને પૂછજો કે એમાંથી કેટલાને ઘરગથ્થું ઉપચારની જાણ છે ? દરેકની મેડિકલ સ્ટોર્સમાં મળતી દવાઓના નામ આવડશે, પણ રસોડાની દવાના નામ ખબર પણ નહીં હોય,

જ્યાં આસાનીથી તબીબી સેવાઓ ઉપલબ્ધ નથી હોતી એવા દેશોમાં પણ જે ભારતી લોકો રહે છે, તેને જો આ જ્ઞાન હોય તો કેટલી સવલત થઈ જાય? એક તો બીમારીનો ખર્ચ ન આવે અમે તબિયત પણ સારી રહે તો આને બંને હાથમાં લાડવા (Chocolates)જ કહેવાય ને ?