CR Patil

નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે સંસદીય સમિતિની બેઠક યોજાઈ

Bharat Pandya BJP
ગુજરાતની ભાજપાશાસિત ૫૫ જેટલી નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની નિયુક્તિ બાદ પ્રથમ સંસદીય સમિતિની બેઠક યોજાઈ-ભરત પંડયા

બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક પૈકી આજરોજ તા. ૧૭ ઑગષ્ટના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્‌, કોબા ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી , પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં યોજાઈ.

તા. ૧૯ થી ૨૨ ઑગષ્ટ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન સોમનાથ દર્શન કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ ૬ જીલ્લાઓમાં સંગઠનાત્મક બેઠકો યોજશે, વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા-દર્શન કરશે અને કોરોના મહામારી દરમ્યાન સેવાકીય કાર્યો કરનાર કાર્યકર્તાઓને બિરદાવશે – શ્રી ભરત પંડયા

ભાજપા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઈ પંડયાએ મીડીયાને પ્રદેશ સંસદીય સમિતિની બેઠક અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૧૭ અને ૧૮ ઑગષ્ટ એમ બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક પૈકી આજરોજ તા. ૧૭ ઑગષ્ટના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્‌, કોબા ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં અને માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રથમ દિવસની બેઠક યોજાઈ.

શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતની ભાજપાશાસિત વિવિધ ૫૫ જેટલી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓની મુદત પુરી થઈ રહી છે ત્યારે આ નગરપાલિકાઓના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓના નામની પસંદગી હેતુસર તા. ૧૭ અને ૧૮ ઑગષ્ટ એમ બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક યોજાઈ રહી છે. ભાજપાશાસિત ૫૫ જેટલી નગરપાલિકાઓ પૈકી ૨૭ જેટલી નગરપાલિકાોના સંદર્ભમાં તા. ૧૭ ઑગષ્ટ અને બાકીની ૨૮ જેટલી નગરપાલિકાઓ માટે તા. ૧૮ ઑગષ્ટના રોજ જ્યાં નગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણી યોજવાની છે તે જીલ્લાની સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.

CR Patil

શ્રી ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, શ્રી સી. આર. પાટીલજી પ્રદેશ અધ્યક્ષશ્રી તરીકે નિયુક્તિ થયા પછી દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના તા. ૧૨ અને ૧૩ ઑગષ્ટના પ્રવાસ બાદ હવે તા. ૧૯ થી ૨૨ ઑગષ્ટ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન ૬ જીલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લાને આવરી લેવામાં આવશે.

શ્રી પંડયાએ કહ્યું હતું કે, આ પ્રવાસ દરમ્યાન જુદી-જુદી સંગઠનાત્મક બેઠકો હાથ ધરવામાં આવશે તેમજ કાર્યકર્તાઓ અને જુના જનસંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજવામાં આવશે. તેમજ કોરોના મહામારી દરમ્યાન કાર્યકર્તાઓએ કરેલ સેવાકાર્યને બિરદાવવાનું કામ પણ આ પ્રવાસ દરમ્યાન કરશે અને ધાર્મિક સ્થાનો પર દર્શન-પૂજા કરશે.

શ્રી પંડયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સોમનાથ મહાદેવ મંદિર-સોમનાથ, ઉમિયાધામ-ગાંઠીલા, ખોડલધામ મંદિર-કાગવડ તેમજ પૂ. સવૈયાનાથ સવઘણ મંદિર-ઝાંઝરકા સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજા કરશે અને ગુજરાત અને દેશ કોરોના મહામારીમાંથી સંપૂર્ણ મુક્ત થાય તે માટે પ્રાર્થના કરશે.

આ પ્રવાસ તા. ૧૯ ઑગષ્ટ, બુધવારના રોજ સવારે ૯ કલાકે સોમનાથ મહાદેવના દર્શન બાદ શરૂ થશે. ત્યાંથી વેરાવળ, કેશોદ, વંથલી થઈ જુનાગઢ શહેર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે તા. ૨૦ ઑગષ્ટ, ગુરૂવારના રોજ જેતપુર, ખોડલધામ, ગોંડલ થઈને રાજકોટ મુકામે જશે. તા. ૨૧ ઑગષ્ટ, શુક્રવારે સવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ શ્રેણીની સંગઠનાત્મક બેઠકો યોજવામાં આવશે. રાત્રી રોકાણ ચોટીલા ખાતે કરીને તા. ૨૨ ઑગષ્ટ, શનિવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે ચોટીલાથી ઝાંઝરકા, ધંધુકા, બગોદરા, બાવળા થઈને સુરત જવા રવાના થશે.