Ayurved treatment

Ayurvedic doctor: કોરોનાગ્રસ્ત મહિલા આર્યુવેદિક ડોક્ટરે ૪ દિવસમાં જ કોરોનાને ઊભી પૂંછડીએ ભગાડ્યો

Ayurvedic doctor: હોસ્પિટલથી સાજા થઇને જ જઇશ, કોરોનાથી મૃત્યુ પામવું નથી…હું જીવીશ- આ દૃઢ સંકલ્પ સાથે માલતીબહેને સારવાર લીધી અને ઘરે પરત થયા

Ayurvedic doctor: ઘણાં કિસ્સામાં કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલ દર્દી જાતે જ ઓક્સિજન સપોર્ટને હટાવીને બેદરકારી દાખવે છે જે હિતાવહ નથી : માલતીબહેન બ્રહ્મભટ્ટ,આયુર્વેદિક ડોક્ટર

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૦૯ મે:
Ayurvedic doctor: સકારાત્મક્તા અને દૃઢ ઇરાદો હોય તો કોઇ પણ કાર્યની સફળતાની સંભાવના વધી જતી હોય છે. આવો જ પોઝિટિવિટીથી છલકાતો એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ મંજુશ્રી હોસ્પિટલમાં જોવા મળ્યો, જેમાં વ્યવસાયે આર્યુવેદિક ડોક્ટર એવા માલતીબહેન બ્રહ્મભટ્ટ સારવાર અર્થે આવ્યા ત્યારે જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડમાં સતત સકારાત્મકતાનો માહોલ રહેતો. દર્દીઓ ખુશખુશાલ રહેતા. માલતીબહેન સતત કહેતા કે “હું હોસ્પિટલથી સ્મશાન નહી પરંતુ ઘરે જ જઇશ અને સાજા થઇને જ જઇશ” કોરોનાથી મરવું નથી. હજુ તો જીવવું છે અને માનવસેવા કરવાની છે”. માલતીબહેનના આ દૃઢ મનોબળ અને હોસ્પિટલના તબીબોની સધન સારવારના કારણે ફક્ત ચાર દિવસમાં જ માલતીબેને કોરોનાને મહાત આપી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ મંજુશ્રી હોસ્પિટલમાં સારવાર મેળવીને ઘરે પરત થયા ત્યારે તેઓએ સારવાર દરમિયાન અન્ય દર્દીઓમાં નોંધેલ બાબતો સૂચનસ્વરૂપે વ્યક્ત કરી છે. તેઓ ખાસ કરીને ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દી વિશે પ્રતિભાવ આપતા કહે છે કે, ઘણા દર્દીઓ ચહેરા પર રહેલ ઓક્સિજન માસ્ક કાઢી નાંખે છે જે હિતાવહ નથી. કોરોનાની સારવારમાં જીવાદોરી સમાન ઓક્સિજન હાલ ખૂબ જ કિંમતી છે. જે દર્દીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે તેઓના શરીરમાં જરૂરી માત્રા પ્રમાણેનું ઓક્સિજનો પ્રવાહ પહોંચે તે ખુબ જ જરૂરી છે. ઘણી વખત દર્દીઓ દ્વારા ઓક્સિજન સપોર્ટ ચહેરા પરથી હટાવી દેવાતા જે ઓક્સિજન શરીરમાં જવો જોઇએ તે વેડફાઇ જાય છે. જેની અસર તેમની સારવાર અને સ્વાસ્થ્ય સ્થિતિ પર પડે છે તેવું માલતીબેને વોર્ડમાં સારવાર મેળવતી વખતે અન્ય દર્દીઓમાં નોંઘ્યું છે.

Whatsapp Join Banner Guj

માલતીબહેન બ્રહ્મભટ્ટની (Ayurvedic doctor) સંવેદનશીલતાનું ઉદાહરણ તેમની વિચારધારા થકી જોવા મળે છે. તેઓનું માનવું છે કે, મેડિકલની તેમણે મેળવેલી ડિગ્રી એવું કહે છે કે એક જીવને સાજા કરવાના તમામ પ્રયાસ કરવા જોઇએ. સ્વને ભૂલીને સમષ્ટિ માટે કાર્ય કરવું જોઇએ. ત્યારે સિવિલ હોસ્પિટલમાં તો જીવ બચાવવાના સેવાયજ્ઞમાં તબીબો જોડાયેલા છે. આનાથી સારો અવસર કયો હોઇ શકે એક તબીબ માટે!
માલતીબેહેને (Ayurvedic doctor) ભારપૂર્વક કહ્યું કે, સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ગમે તે ભોગે પોતાના જીવના જોખમમાં મૂકીને પણ દર્દીને બચાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. વોર્ડમાં સારવાર લેતી વખતે મેં નજરે નિહાળ્યું છે જે પ્રશંસાને પાત્ર છે.

આ પણ વાંચો…ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરાઇ

કોરોનાના સંક્રમણ થયાના ૧૦ દિવસ બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા બાદ ક્ષણભર પણ એવું ન લાગ્યું કે સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છું. અહીંના તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ શ્રેષ્ઠ પદ્ધતિથી કોવિડની સારવાર કરવા સક્ષમ છે. ખાનગી હોસ્પિટલની માળખાગત સુવિધાઓ કરતાં પણ લાખ દરજ્જે સારી એવી સવલત સિવિલ હોસ્પિટલની મંજુશ્રી હોસ્પિટલમાં છે. અહીંના તબીબોનો સહકાર અને સારવાર પદ્ધતિ ખૂબ જ અસરકારક છે.

માલતીબહેનનું (Ayurvedic doctor) માનવું છે કે, અહીંના તબીબો દ્વારા આપવામાં આવતા દિશાનિર્દેશો, માર્ગદર્શન અને સલાહસૂચનનું અક્ષરશ: પાલન કરવામાં આવે તો જરૂરથી સંપૂર્ણપણે સાજા થઇ ઘરે પહોંચી શકાય છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીની સ્વાસ્થય સ્થિતિ બગડવા પાછળ ઘણી વખત દર્દીની પોતાની જ બેદરકારી જવાબદાર હોય છે. હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ મિત્રો દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવામાં ન આવે ત્યારે પણ સ્વાસ્થ્ય સ્થિતિ કથળતી હોય છે. દર્દી તરફથી જો તબીબો અને નર્સિંગ સ્ટાફને સારવાર પદ્ધતિમાં પૂરતો સહકાર આપવામાં આવે તો ઝડપી પરિણામો મળી શકે છે.

તેઓ ઉમેરે છે કે, હું દાખલ થઇ ત્યારે મને લાગતું હતું કે ૨૦ થી ૨૫ દિવસમાં સાજી થઇશ.. પરંતુ હોસ્પિટલ તંત્રની દેખરેખ અને મારા દૃઢ મનોબળના કારણે જ મને ફક્ત ચાર દિવસમાં જ ખૂબ જ ઝડપી સ્વાસ્થ્ય સુધારનું પરિણામ મળ્યું છે અને આજે હું સાજી થઇને ઘરે પરત ફરી શકી છું.

સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, માલતીબહેનનો આ દૃઢ સંકલ્પ અન્ય દર્દીઓ માટે જુસ્સો બની રહ્યો છે. મનોબળ મજબૂત બાંધીને સારવાર અર્થે દાખલ થઇએ અને સકારાત્મક વિચારોનું નિરંતર ચિંતન કરતા રહીએ તો કોરોના જેવી ભયાવહ બિમારી સામે પણ આસાનીથી વિજય મેળવી શકાય છે.

ADVT Dental Titanium