Ambulance line: એમ્બ્યુલન્સની લાઇન અને સિવિલ હોસ્પિટલની કાર્યક્ષમતા વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઇ સંબંધ નથી: ડૉ.રજનીશ પટેલ
Ambulance line: કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે નિયત પ્રક્રિયા અનુસરવી પડે છે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
- એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય : ડૉ.જે.વી.મોદી
- રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ સંપૂર્ણ ક્ષમતાએ જ કાર્યરત્ છે અને પ્રત્યેક દર્દીને જીવાડવાનો જંગ ખેલી રહી છે
- દાખલ થયેલા તમામ પૈકીનો પ્રત્યેક દર્દી રિકવરીના સંતોષજનક સ્તરે આવી ન જાય ત્યાં સુધી તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાના કર્તવ્યનું જ સિવિલ હોસ્પિટલોના તબીબો સહિત સમગ્ર સ્ટાફ પાલન કરી રહ્યો છે
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૧૪ એપ્રિલ: Ambulance line: કોરોનાના આ વસમા કાળમાં ઘણીવાર લોકો એમ્બ્યુલન્સની લાઇનો લાગવા બદલ અમદાવાદ સહિતના મહાનગરોની સરકારી હોસ્પિટલો ઉપર દોષારોપણ કરતા જોવા મળે છે, પરંતુ હકીકત કંઇક ઓર છે. વાસ્તવમાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો લાગવા અને રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલોની કાર્યક્ષમતા વચ્ચે કોઇ જ પરસ્પર નાતો નથી.
Ambulance line: સિવિલ હોસ્પિટલ્સ તેમની સંપૂર્ણ ક્ષમતાએ જ કાર્યરત્ છે અને પ્રત્યેક દર્દીને જીવાડવાનો જંગ ખેલી રહી છે. કોઇ પણ પરિસ્થિતિમાં હોસ્પિટલની અંદર સારવાર હેઠળ રહેલા દર્દીઓ જ્યાં સુધી સાજા ન થઈ જાય ત્યાં સુધી તેમનું ધ્યાન રાખવાની જવાબદારી સિવિલ હોસ્પિટલના તબીબોના શિરે હોય છે. સિવિલ હોસ્પિટલ્સના તબીબોએ મોતના આરે પહોંચી ગયેલા જીવતા માણસોને જીવાડવાનું મોંઘેરું દાયિત્વ નિભાવવાનું હોય છે, જેમાં કોઇ સમાધાન કે ટૂંકા રસ્તાને અવકાશ હોતો જ નથી.
સિવિલ હોસ્પિટલ્સની બહાર(Ambulance line) એમ્બ્યુલન્સિઝમાં રહેલા ઘણાં દર્દીઓ ટ્રાયેજ (Triage – દર્દીઓની સંખ્યા વધારે હોય ત્યારે સારવારનો ક્રમ નિર્ધારિત કરવા માટે દર્દી કે રોગની ગંભીરતા અથવા અનિવાર્યતા નક્કી કરવી તે) માં હોય છે, તેમને હાઇ ઓક્સિજનની જરૂર હોય છે. આવા દર્દીઓને સીધેસીધા સાદા બેડ પર લઇ શકાતા નથી, એવું કરવું એ દર્દીને મોતના મુખમાં ધકેલવા બરાબર હોય છે. તે દર્દીને ICUમાં લઇ જવા પડે છે.
સરકારી હોસ્પિટલોમાં પેશન્ટને ઇમરજન્સીના આધારે પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. જે પેશન્ટની સ્થિતિ ગંભીર કે અનિયંત્રિત ગઈ હોય અને તેને સ્થિર કરવાની તાતી જરૂર હોય, હાઇ ઓક્સિજનની જરૂર હોય તેમનો જીવ બચાવવા દેખીતી રીતે જ તેમને ઇલાજમાં પહેલી પ્રાથમિકતા મળતી હોય છે.
કોરોનાની સારવારમાં ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ ત્યારપછી ICU અથવા હાઇ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની લાઇનમાં ગોઠવાતા હોય છે. એકવાર કોવિડ દર્દી ICUમાં જાય પછી તેને બીજા દિવસે તુરંત જ ડિસ્ચાર્જ કરી શકાતો નથી. ગંભીર સ્થિતિના આધારે ICUમાં જનારા દર્દીઓને ત્યાં ઓછામાં ઓછાં ૭ દિવસ રાખવા જ પડે છે. કોવિડ-૧૯નું આક્રમણ હોય કે પછી બીજી કોઇ પણ મહામારી કેમ ન હોય? એક ડોક્ટર પોતાની ફરજના ભાગરૂપે દર્દીનું આરોગ્ય જોખમમાં મૂકાય તેવું કોઇ કાર્ય કરી શકે નહીં.
ICUમાં ડોક્ટર દરરોજ ૩-૪ વખત રાઉન્ડ લઇને દર્દીઓને ચકાસતા હોય છે, તેમની સ્થિતિનું આકલન કરતા હોય છે. આઇસીયુમાં દર્દીની હાલતમાં સુધાર જણાય પછી તેને વોર્ડમાં ઓક્સિજન પોર્ટ પર શિફ્ટ કરાય, ત્યાં તેની હાલતમાં સુધાર થયા બાદ કોન્સન્ટ્રેટર પર દર્દીને મુકવામાં આવે, અને ત્યાં સ્થિતિ સુધર્યા બાદ દર્દીને સાદા બેડ પર દર્દીને શિફ્ટ કરાતો હોય છે. આ એક સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રક્રિયા છે, અને મેડિકલ એથિક્સ પણ છે. સાજો થવામાં જેટલો સમય લાગે તેટલો સમય દર્દીને હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવો જ પડે છે. આ આખી પ્રક્રિયાનો ભંગ કરી શકાય નહીં.
સારવાર બાદ ઘણીવાર કોરોનાના દર્દીનો RT-PCR રિપોર્ટ તો થોડા દિવસે નેગેટિવ આવી જતો હોય છે પણ ફેફસામાં કોવિડના લીધે થયેલી ક્ષતિ દૂર થવામાં ઘણા દર્દીઓને ૨૧ દિવસથી લઇને ૩ મહિના જેવો સમય પણ લાગતો હોય છે. આવા દર્દીઓની સારવાર પણ સરકારની ફરજમાં આવે છે, એવા દર્દીઓને ડિસ્ચાર્જ આપી શકાય નહીં.
અત્રે ખાસ નોંધવું પડે કે , કોઇ દર્દીને ICUમાંથી સીધો સાદા બેડ પર લઇ જઇ શકાતો નથી કે સીધું જ ડિસ્ચાર્જ પણ આપી શકાતું નથી..એ દર્દીના જીવને જોખમમાં મૂકવા બરાબર હોય છે. સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા દિવસમાં ત્રણ વખત કોરોના વોર્ડમાં રાઉન્ડ લઈ દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ ચકાસવામાં આવે છે.
સ્વાસ્થ્ય સ્થિતિને લગતા માપદંડો સામાન્ય જણાઇ આવ્યા બાદ જ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. કોરોનાની આ વસમી પરિસ્થિતિમાં પણ ગુજરાત સરકારનો મેડિકલ સ્ટાફ પૂરી કર્તવ્ય નિષ્ઠા સાથે ઉત્તર દાયિત્વ નિભાવી રહ્યા છે અને તમામ દર્દી પ્રત્યેની પોતાની જવાબદારી ૧૦૦ ટકા પૂરી કરી રહ્યો છે. દાખલ થયેલા તમામ પૈકીનો પ્રત્યેક દર્દી જ્યાં સુધી સારવાર પછીની રિકવરીના સંતોષજનક સ્તરે આવી ન જાય ત્યાં સુધી દર્દીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાના કર્તવ્યનું જ સરકારી હોસ્પિટલોના તબીબો સહિત સમગ્ર સ્ટાફ પાલન કરી રહ્યો છે.