બાબુભાઈ દેસાઈની અનન્ય કૃષ્ણ ભક્તિ
જગતમંદિર દ્વારકામાં વર્ષની પહેલી અને છેલ્લી ધજા બાબુભાઈ દેસાઈ ચડાવે છે
દ્વારિકા,૧૩ નવેમ્બર: સામાન્ય રીતે રાજકારણના ક્ષેત્રમાં સક્રિય નેતાઓ પ્રભુ ભક્તિના માર્ગે વત્તાઓછા પ્રમાણમાં જોડાયેલા હોય છે. પરંતુ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇની કૃષ્ણ ભક્તિ અનન્ય છે. જગત મંદિર દ્વારિકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું સોનાનું ૭ કરોડનું સિંહાસન અને દ્વારિકા નગરીનો મુખ્ય પ્રવેશ દ્વાર જેઓના આર્થિક અનુદાનથી નિર્માણ પામ્યા છે એવા શ્રી બાબુભાઇ દેસાઇએ સો વર્ષ માટે જગત મંદિર દ્વારિકાના ધ્વજારોહણની જવાબદારી ઉપાડી છે.
તેઓ દર વર્ષે વર્ષની પ્રથમ એટલે કે કારતક સુદ એકમ અને વર્ષની છેલ્લી એટલે કે આસો વદ અમાસની ધજા ચડાવે છે. જગત મંદિર દ્વારિકાને રોશનીથી શણગારવા માટે બાબુભાઇ દેસાઇ દર વર્ષે આર્થિક સહયોગ આપે છે. ઉપરાંત દિવાળીના પર્વે લગભગ એક મહિના સુધી બ્રાહ્મણો ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ના લાખો મંત્રોચાર કરી શકે તે માટે તેઓને પણ અનુદાન આપે છે.
પ્રજાના પ્રતિનિધિ, સમાજસેવક અને એક રાજકારણી તરીકે જાણીતા એવા બાબુભાઈના આ ધાર્મિક અભિગમથી બહુ ઓછા લોકો પરિચિત છે.
શ્રી બાબુભાઈ દેસાઈ જણાવે છે કે, મને જીવનમાં જે કંઈ સુખ સમૃદ્ધિ મળી છે, પ્રજાની સેવા કરવાની તક મળી છે તેનું કારણ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ છે. એક સમયે સામાન્ય કારકુનમાંથી આજે સમાજનો મોટો આગેવાન બની શક્યો તે બદલ હું દ્વારકાધીશનો ઋણી છું. તેઓને ભક્તિ અર્ઘ્ય અર્પણ કરતા અનેરો આનંદ આવે છે.