Gokul Uni Siddhapur Convocation 1 edited

ઉત્તર ગુજરાતના સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન

Gokul Uni Siddhapur Convocation 2 2 edited

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિ
વિકાસના રોલ મોડલ બેસ્ટ ચોઈસ ઑફ ઇનવેસ્ટમેન્ટ બનેલા ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીના શોધ-સંશોધન-શિક્ષણ દ્વારા સ્કિલ્ડ ઉર્જાવાન એક્સપર્ટ યુવાનો તૈયાર કરવા છે
-મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

  • શિક્ષા-દીક્ષા પ્રાપ્ત કરી યુવાપેઢી રાષ્ટ્રનિર્માણ, ચારિત્ર્ય ઘડતર અને સૌ સુખી તો સુખી આપણે ના ભદ્રભાવથી સમાજમાં પદાર્પણ કરે.
  • ગુજરાતે વિશ્વ કક્ષાનું જ્ઞાન યુવાનોને ઘર આંગણે આપવાની વ્યવસ્થા વિકસાવી છે
  • કોંગ્રેસના સમયમાં 9 યુનિવર્સિટી હતી આજે 77 યુનિવર્સિટી સાથે સેકટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ વૈશ્વિક જ્ઞાન પીરસે છે.
  • સ્ટડી ઈન ગુજરાતમાં હવે વિશ્વભરના વિદ્યાર્થીઓ ગુજરાત અભ્યાસ કરવા આવે છે.
  • જીવનના દરેક પગલે વિદ્યાર્થી ભાવ દાખવી સારું ગ્રહણ કરવાની-સારું શીખવાની વૃત્તિ જ આત્મનિર્ભર ભારત અને ભારત માતા જગતજનની બને તે સ્વપ્ન સાકાર થશે:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
whatsapp banner 1

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર, ૨૮ ડિસેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીની શોધ-સંશોધન અને શ્રેષ્ઠ સમયાનુકુલ શિક્ષા દીક્ષા દ્વારા સ્કિલ્ડ-કુશળ યુવા શક્તિના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ચોઇસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ છે ત્યારે રાજ્યની યુવા શક્તિ શિક્ષણના આયુધથી સજ્જ થઈ વિશ્વની બરોબરી કરી શકે તેવા યુવાનો તૈયાર થાય તે દિશામાં પ્રયત્નો આ સરકારે કર્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહના અધ્યક્ષસ્થાનેથી વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ પદવીદાન સમારોહમાં પદવી દીક્ષા પ્રાપ્ત કરી સમાજમાં પદાર્પણ કરવા જઈ રહેલા યુવા છાત્રોને રાષ્ટ્રનિર્માણ અને સમાજના છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષા દીક્ષાનો સમુચિત ઉપયોગ કરવાની શીખ આપી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડતર સાથે સમાજ પ્રત્યેનું ઉતરદાયિત્વ ગરીબ, વંચિતનું કલ્યાણ પણ નિભાવે તે આવશ્યક છે.

Gokul Uni Siddhapur Convocation 3 1

મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત પાસે તો શ્રેષ્ઠ શિક્ષાનો પ્રાચીન વારસો છે. વલભી જેવા વિદ્યાધામોની ભવ્યતા ફરી પ્રસ્થાપિત થાય અને વિશ્વના વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં અભ્યાસ માટે આવે એવી સ્થિતિ સર્જવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં શિક્ષણના અનેકવિધ નવતર આયામો અને સેક્ટરલ યુનિવર્સિટીની સુવિધા આપણે ઊભી કરી છે. તેથી હવે ગુજરાતનો વિદ્યાર્થી અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જવાને બદલે ઘરઆંગણે જ ઉચ્ચ અભ્યાસ-શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે ઉમેર્યું કે, કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી રાજ્ય નો યુવાન શિક્ષણ ની મર્યાદિત તકો થી બાપડો બિચારો રહી ગયેલો. આ સરકાર ના શિક્ષણ પ્રત્યેના સુદ્રઢ આયોજન થી હવે 77 જેટલી યુનિવર્સિટીઓ શિક્ષણ આપતી થઈ છે. અનેકવિધ યુનિવર્સિટી કાર્યરત કરી છે. તેમણે ફોરેન્સિક, સાયન્સ, મરીન, પેટ્રોલિયમ, રક્ષાશક્તિ, રેલવે, ટ્રાયબલ જેવી વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત અને દેશભરના યુવાઓ ઉચ્ચ શિક્ષા દીક્ષા મેળવી જોબ ગીવર બની રહ્યા છે તેનો આનંદ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરી ભારતમાતાને જગતજનની બનાવવા જ્ઞાનયુગની અધિષ્ઠાતા બનાવવા યુવાનોને આહવાન કર્યું હતું. નિર્માણો કે પાવન યુગ મેં ચરિત્ર નિર્માણ ન ભૂલે નો મંત્ર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ એ દીક્ષા-ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓને આપતા તેમના વર્તન, વાણી, વ્યવહાર, આચરણથી રાષ્ટ્રનું નામ, રાજ્યનું નામ ઉજ્જવળ થાય તેવા કાર્યોની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને કહ્યું કે, પ્રાચીન ગુરુકુળ પરંપરા અને ઋષિમુનીઓના આશ્રમમાં જેમ રાજકુમારો, અન્ય યુવાનો શિક્ષા-દીક્ષા મેળવતા અને સમાજનું શ્રેય કરતાં તેમ તેમણે પણ હવે સૌ સુખી તો સુખી આપણેના ભાવથી સહાયમંદોની મદદ-સહાયથી શિક્ષણ સંસ્કાર જાળવવાના છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિભાવંત છાત્રોને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા

Gokul Uni Siddhapur Convocation 1 edited

મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતમાં આ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી શિક્ષણ સેવાની જે જ્યોત પ્રગટાવી રહી છે તેને પ્રોત્સાહિત કરતાં મેડિકલ કોલેજ માટે પણ આવાહન કર્યું હતું. તેમણે કહ્યું કે, એક સમયે આખા રાજ્યમાં માત્ર ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં બધી કોલેજો શિક્ષણ સેવા આપતી હતી. આજે માત્ર ઉત્તર ગુજરાતમાં જ ચાર યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, ગોકુલ યુનિવર્સિટી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી જ્ઞાન-વિજ્ઞાનની સુવિધા પૂરી પાડે છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, આ સરકાર શિક્ષણનો વ્યાપ વિસ્તારી અદ્યતન શિક્ષણ સવલતો રાજ્યના યુવાનોને આપવા યુનિવર્સિટી શરૂ કરવાને પ્રોત્સાહન આપી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ યુવાછાત્રોને ઉજ્જવળ ભાવિની શુભેચ્છા આપવા સાથે આજીવન વિદ્યાર્થી ભાવ દાખવી જીવનના દરેક તબક્કે કાંઈને કાંઈ સારું ગ્રહણ કરવાની, શીખવાની તત્પરતા માટે પ્રેરણા આપી હતી.

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, આજે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઇનોવેશન સેન્ટર નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી એ ગુજરાત, સૌરાષ્ટ્ર, એમ.ઍસ., નિરમા યુનિવર્સિટીની સ્પર્ધામાં ઉતરવાનું છે. તેમણે કહ્યું કે જીવનના ઘણા બધા તબક્કા હોય છે. વિદ્યાર્થી જીવનમાં એટીકેટી આવતી હોય છે. જીંદગીના સિલેબસમાં એટીકેટી હોતી નથી ત્યારે તમારા જીવનમાં પ્રમાણિકતા, જવાબદારી વગેરે ગુણો વિકસાવી જીવનના દરેક તબક્કે સફળતા પ્રાપ્ત કરીએ.

Gokul Uni Siddhapur Convocation 4 1 edited

શિક્ષણમંત્રી શ્રી ચુડાસમાએ કહ્યું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર થવાની વાત કરી છે ત્યારે સ્ટાર્ટ અપ પોલિસી દ્વારા તમને મળેલી તકનો ઉપયોગ કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ. સ્ટાર્ટ અપ પોલિસીના બેસ્ટ પર્ફોમિંગ સ્ટેટ તરીકે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી હું પ્રગતિ કરીશ તેવું મક્કમ મનોબળ રાખી કારકિર્દી ઉજ્જ્વળ બનાવવા શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. જી.આઇ. ડી.સીના ચેરમેન અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજથી વર્ષો પહેલા સિદ્ધપુરમાં માત્ર એક જ કોલેજ હતી. અહીંના વિદ્યાર્થીઓને બીજા શહેરમાં ભણવા જવું પડતું હતું પરંતુ રાજ્ય સરકારની સહાય અને માર્ગદર્શનથી ઋષિ-મુનિઓની આ પવિત્ર ભૂમિ સિધ્ધપુર આજે શિક્ષણનું ધામ બન્યું છે.

એકવીસમી સદીના આ કમ્પ્યૂટર યુગમાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં કૌશલ્યવર્ધન પણ થાય તે પ્રકારનું શિક્ષણ આ યુનિવર્સિટીમાંથી આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ઉત્થાનમાં મદદરૂપ થશે. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજયસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલ, પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્ર સિંહ રાજપુત, પાટણ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે પારેખ, ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવીણ કોટક, કુલપતિ શ્રી ડૉ.વેદ વ્યાસ દ્વિવેદી, રજીસ્ટ્રાર શ્રી રામસિંહ રાજપુત, યુનિવર્સિટીના પ્રોફેસર્સ, આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…

loading…