રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ડો. વિનોદ રાવ
વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ખાસ ફરજ પરના અધિકારીએ આપી જાણકારી
વડોદરા,૨૨ સપ્ટેમ્બર: વડોદરા સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાને નવું બળ મળ્યું છે.આ અંગે જાણકારી આપતાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે જણાવ્યું કે રાજ્ય સરકારે ફાળવેલા નવા અદ્યતન ૪૦ વેન્ટિલેટર સયાજી હોસ્પિટલને મળી ગયાં છે.તેના પગલે સારવાર સુવિધા વધુ વ્યાપક અને મજબૂત બનશે.તેમણે સયાજી હોસ્પિટલને લગતી વિવિધ બાબતોનું ક્રમશ: નિરાકરણ આવી રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે સયાજી હોસ્પિટલની આજે મુલાકાત લીધી હતી.
ડો.રાવે ચાર માન્ય ખાનગી દવાખાના સ્ટર્લિંગ,ભાઈલાલ અમીન, ટ્રાયકલર અને રિધમના ક્લસ્ટર હેઠળના ૬૦ ખાનગી દવાખાનાઓમાં કોવિડ સારવાર સેવાની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં વડોદરા શહેર – જિલ્લા તેમજ આસપાસના અન્ય જિલ્લાઓના કોવિડના દર્દીઓને સમુચિત સારવાર,સેવા અને સુવિધા મળી રહે એની ઉચિત તકેદારી લેવામાં આવી રહી છે.