“જીવન રથની સલામતી” કાજે “ઘન્વંતરી રથ” દ્વારા ઉત્તમ કામગીરી કરતું આરોગ્ય વિભાગ
“કન્ટેઈનમેન્ટ ઝોન કોરોના મુક્ત ન થાય ત્યાં સુઘી કામ કરવાની પ્રતિબધ્ધતા સાથે અમે લોકસેવાર્થે હરહંમેશ તૈયાર છીએ:આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડ
રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર : કોરોનાની માહામારીથી લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને તબીબ જગત આયોજનબધ્ધ કાર્ય કરી રહયું છે. લોકોને ઘર આંગણે સુવિધા મળી રહે તે માટે ઘન્વંતરી રથ, કોરોનાગ્રસ્ત વિસ્તારને કોરોના મુક્ત કરવા સંજીવની રથ, કોરોના દર્દીઓને માનસિક સધિયારો મળી રહે તે માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક જેવી સુચારૂ વ્યવસ્થા સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને કોરોનામૂક્ત બનાવવા નક્કર કામગીરી કરવામાં આવી રહી છે.
સંવેદનશીલ સરકારની કામગીરીની સંવેદનાનો અનુભવ કરતાં નાગરિક જયેશભાઈ ભટ્ટએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,”મારો પુત્ર પોઝીટીવ આવતા જંગલેશ્વર પ્રણામી આરોગ્ય કેન્દ્રના ઘન્વંતરી રથના આરોગ્યકર્મીઓ મારા ઘરે આવીને અમારા આરોગ્યની તપાસ કરી હતી. પુત્રનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા માનવીય વલણ રાખીને અમને દંપતીને પણ કોરોનાના એન્ટીજન ટેસ્ટ માટે રાજી કર્યા હતા. ટેસ્ટ કરતાં જ મારો અને મારી પત્નીનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. તેમજ ૧૪ દિવસ સુધી અમારી તબિયતનું ફોલોઅપ લેશે તેવી ખાતરી પણ આપી છે. ખરેખર લોકોના સ્વાસ્થ્ય માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા ખૂબ સારી કામગીરી કરી રહયું છે. હું લોકોને કહીશ કે સરકારને સહકાર આપીને સાવચેતીના પગલાઓનું આપણે પાલન કરવું જ જોઈએ.”
જયેશભાઈની વાતને અનુમોદન આપતા મુકેશભાઈએ કહ્યું હતું કે, ” ડો. શાહિન ખોખર, ડો. પુજાબેન, ડો.પ્રિયંકાબેન, ડો. દિપકભાઈ રાઠોડ ઘન્વંતરી રથ દ્વારા લોકોનું યોગ્ય નિદાન કરી રહ્યા છે. બી.પી., ડાયાબીટીસ, તાવ-શરદી-ઉધરસ લક્ષણો ધરાવતા દર્દીઓના આરોગ્યની તપાસ કરીને દવાઓ આપીને યોગ્ય માર્ગદર્શન કરી રહ્યા છે. તેમજ શંકાસ્પદ જણાતા દર્દીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સાથો સાથ હોમિયોપેથીક દવાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.”
લોકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની નેમ સાથે ધન્વંતરી રથમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મી દિપકભાઈ રાઠોડએ કહ્યું હતું કે, ” કોરોનાથી ચેપ ગ્રસ્ત વિસ્તાર કોરોના મુક્ત ન થાય ત્યાં સુધીની પ્રતિબધ્ધતા સાથે દરેક આરોગ્ય કર્મી પોતાની ફરજ નિભાવી રહ્યો છે. અને મને આશા છે કે સરકાર, જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય કર્મીઓની મહેનત જરૂર રંગ લાવશે.”
નિર્ણાયક નીતિઓ અને અસરકારક પગલાઓની સાથે આરોગ્ય કર્મીઓ કામગીરી કરી રહ્યા છે. જેની સંતુષ્ટતા લોકો સુધી પહોંચી તે સવિશેષ નોંધનીય છે. તો ચાલો, તેમની આ કામગીરીને બિરદાવીને તેમને સહકારરૂપ થઈએ. અને કોરોનાથી ભયમુક્ત થઈને લડીએ.
અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ