રિલાયન્સની પ્રથમ ઓનલાઇન એજીએમ સંપૂર્ણપણે નવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ, ચેટબોટ પર યોજાશે


નવી દિલ્હી, 13 જુલાઈ

ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બુધવારે એની પ્રથમ ઓનલાઇન એજીએમ યોજશે અને એના સંપૂર્ણપણે નવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સાથે આ એજીએમનું આયોજન થશે, જેમાં એકસાથે 500થી વધારે સ્થળો પરથી 1 લાખથી વધારે શેરધારકો સામેલ થઈ શકે છે.

અત્યાર સુધી રિલાયન્સ એની સાધારણ વાર્ષિક સભા (એજીએમ)નું ફિઝિકલ આયોજન કરતી હતી, જેથી મુંબઈની બહારના શેરધારકો આ વાર્ષિક સભામાં સામેલ થઈ શકતા નહોતા. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે તેઓ ઇવેન્ટમાં લોગ ઇન થઈને લાઇવ થઈ શકે છે, વિવિધ યોજનાઓ અને પહેલો વિશે જાણકારી મેળવી શકે છે અને સભામાં સહભાગી પણ થઈ શકે છે.

પોતાના શેરધારકોને સરળતાપૂર્વક ઓનબોર્ડ લેવા માટે આરઆઇએલએ વ્હોટ્સએપ નંબર +91-79771-11111 મારફતે એજ્યુકેટિવ ચેટબોટ પણ શરૂ કર્યું છે, જેથી લોગિંગ કરવાની, પ્રશ્રો પૂછવાની અને ઠરાવો પર મતદાન કરવાની પ્રક્રિયાની જાણકારી મેળવી શકાશે.

ચેટબોટ જવાબો સાથે સજ્જ છે અને શેરધારકોને માર્ગદર્શન આપશે, સંભવિત રોકાણકારો, મીડિયા અને સાધારણ જનતાને એજીએમ પર સચોટ અને તાત્કાલિક જાણકારી પણ આપશે. ચેટબોટ 24×7 હેલ્પડેસ્ક તરીકે કામ કરશે અને કન્વર્સેશન ટેક્સ્ટ અને વીડિયો દ્વારા 50,000 પ્રશ્રોનો જવાબ એકસાથે આપી શકે છે.

આરઆઇએલની 15 જુલાઈની એજીએમ રિયલ-ટાઇમ આધારે એકસાથે જુદી જુદી ખાસિયતો પહેલી વાર પ્રદર્શિત કરશે, જેમાં ટૂ-વે લાઇવ સ્ટ્રીમિંગ અને સંપૂર્ણપણે નવું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સામેલ છે, જે ભારત અને વિદેશમાં એકસાથે 500 સ્થળો પરથી 1 લાખથી વધારે શેરધારકોને સક્ષમ બનાવશે.

રિલાયન્સના રૂ. 53,124 કરોડના મેગા રાઇટ્સ ઇશ્યૂ દરમિયાન શરૂ થયેલી ચેટબોટ સેવા જિયો હેપ્ટિકનું પીઠબળ ધરાવે છે. અત્યાર સુધી આઇપીઓ પછીની રિલાયન્સની એજીએમ ફિઝિકલ મીટિંગ્સ હતી, જેને તમે ભારતનાં ભવ્ય લગ્નસમારંભો સાથે સરખાવી શકો છો.

ભારતમાં ઇક્વિટી કલ્ચરનો વ્યાપ બહોળા પાયે વધારવા માટે પ્રસિદ્ધ કંપની એના સ્થાપક ધીરુભાઈ અંબાણીના સમયગાળા દરમિયાન સ્ટેડિયમમાં એજીએમનું આયોજન કરતી હતી. વર્ષ 1985માં રિલાયન્સની એજીએમનું આયોજન મુંબઈના કોલોબામાં કોઓપરેજ ફૂટબોલ ગ્રાઉન્ડ પર થયું હતું, જેમાં 12,000 શેરધારકો હાજર રહ્યાં હતાં. પથછીના વર્ષે મહાનગરનાં ક્રોસ મેદાનમાં આશરે 35,000 શેરધારકો ઉપસ્થિત રહ્યાં હતાં. પછીના વર્ષોમાં એજીએમ ઓટોટોરિયમમાં યોજાવા લાગી. આ વર્ષોમાં કંપનીના શેરધારકોની સંખ્યા 26 લાખના આંકડાને વટાવી ગઈ છે.

હવે આગામી એજીએમ વર્ચ્યુઅલ યોજાશે, જેમાં શેરધારકો એજીએમને જોઈ શકશે, ચેરમેનને પ્રશ્રો પૂછી શકે છે અને મતદાન કરી શકે છે – આ તમામ ટેકનોલોજીની મદદથી થઈ શકશે, જે આરઆઇએલના હાલની ડિજિટલ કામગીરીને સુસંગત છે.

આ રીતે આરઆઇએલ ઓનલાઇન માધ્યમો થકી 26 લાખ શેરધારકોને એકમંચ પર લાવી રહી છે. ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, કેનેડા, યુએઈ, જાપાન, હોંગકોંગ, સિંગાપોર, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ શેરધારકો આ એજીએમમાં લોગ ઇન થશે. આ મેગા એજીએમની સુવિધા વિવિધ પ્લેટફોર્મ અને ક્ષમતાઓ પૂરી  પાડશે, જેમાં વીડિયો કોન્ફરન્સિંગ, જિયો મીટ પ્લેટફોર્મ, સિસ્કો વેબેક્સ અને કમર્શિયલ વેબકાસ્ટ સામેલ છે. તમામ ડાયરેક્ટર્સ, મુખ્ય અધિકારીઓ અને શેરધારક વક્તાઓ દેખાશે અને એમનો અવાજ સાંભળી શકશે તથા હજારો શેરધારકો ઠરાવો પર તેમના પ્રશ્રો પૂછી શકશે અને ઇવોટ આપી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 12 ઓગસ્ટ, 2019ના રોજ યોજાયેલી એજીએમમાં કંપનીના બિલિયોનેર ચેરમેન મુકેશ અંબામીએ રિલાયન્સને 31 માર્ચ, 2021 સુધી સંપૂર્ણપણે ઋણમુક્ત કંપની બનાવવાની જાહેરાત કરી હતી. પણ ઓઇલથી ટેલીકોમ ક્ષેત્રમાં કાર્યરત કંપનીએ ગયા મહિને જ પોતાને ઋણમુક્ત કરી દીધી છે, જે માટે હિસ્સાના વેચાણ અને રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રેકોર્ડ ફંડ ઊભું કર્યું છે.

રિલાયન્સે એના ડિજિટલ વ્યવસાયોને 25.24 ટકા હિસ્સાનું વેચાણ ફેસબુક સહિત આંતરરાષ્ટ્રીય ટેક રોકાણકારોને કરીને રૂ. 1.18 લાખ કરોડથી વધારે ફંડ ઊભું કર્યું છે તેમજ હાલના રોકાણકારોને શેરનું વેચાણ કરીને રૂ. 53,124 કરોડનું ફંડ ઊભું કર્યું છે. ઉપરાંત ગયા વર્ષે ફ્યુઅલ રેટેલિંગ સાહસમાં 49 ટકા હિસ્સાનું વેચાણ બ્રિટનની બીપી પીએલસીને રૂ. 7,000 કરોડમાં કર્યું હતું. આ રીતે કુલ રૂ. 1.75 લાખ કરોડનું ફંડ ઊભું કર્યું હતું. રિલાયન્સ 31 માર્ચ, 2020ના રોજ ચોખ્ખું ઋણ રૂ. 1,61,035 કરોડ ધરાવતી હતી. આ રોકાણો સાથે આરઆઇએલ ઋણમુક્ત થઈ ગઈ છે. ગયા વર્ષે એજીએમમાં મુકેશ અંબાણીએ ગ્રૂપના ઓઇલ-ટૂ-કેમિકલ વ્યવસાયમાં 15 અબજ ડોલરના હિસ્સાનું વેચાણ સાઉદી અરેબિયન ઓઇલ કંપનીને કરવાની જાહેરાત પણ કરી હતી, જેમાં થોડો વિલંબ થયો છે.