રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ
- રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ
- ૧૭ નર્સિંગ દંપતિઓમાંથી ૯ દંપતિ સહિત ૧૦૨ નર્સિંગ સ્ટાફના કર્મીઓ
- કોરોના સંક્રમિત થયાં અને સાજા થઈ ફરી હાર્યા-થાક્યા વગર સેવામાં લાગી ગયા
- પોતાના પરિવાર અને બાળકોની ચિંતા કર્યા વગર નર્સિંગ સ્ટાફ દર્દીઓને પરિવારના સભ્યો બનાવી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે: નર્સિંગ સુપ્રિ. હિતેન્દ્ર ઝાખરીયા
અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ
રાજકોટ, ૨૦ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરીયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર બની પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. વાત છે રાજકોટની પી.ડી.યુ. સિવિલ કોવીડ હોસ્પિટલની કે જેમાં ૫૫૦ નર્સિંગ કર્મીઓ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યા છે.
રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મહેનત અને સેવાની નોંધ લેવાઈ રહી છે. રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલમાં ૪૦૬ નિયમિત અને ૧૩૭ નર્સિંગ કર્મયોગી કોન્ટ્રાકટ બેઈઝ પર એમ અંદાજે ૫૫૦ જેટલા કર્મીઓ સેવા આપે છે.પી.ડી.યુ. હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિ.શ્રી હિતેન્દ્ર ઝાખરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફ મેમ્બર સૈનિકની જેમ યોધ્ધા બની લડી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ ચરિતાર્થ કર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓના પરિવાર સાથે ન હોય નર્સિંગ સ્ટાફ પોતાના પરિવારના સભ્યોની જેમ જ દર્દીઓની સેવા-ચાકરી-સુશ્રુષા કરી રહ્યા છે.
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં નર્સિંગમાં ૧૭ દંપતીઓ પણ છે. જેમાં ૯ દંપતી કોરોનાથી સંક્રમિત થયા છતાં સાજા થઈને ફરી સેવામાં લાગી ગયા છે. બીજા કુલ મળીને ૧૦૨ નર્સિંગ કર્મયોગીઓ સંક્રમિત થયાં હતાં અને આઇસોલેટેડ રહીને, સારવાર મેળવીને ફરી કોરોના સાથેની લડાઈમાં લાગી ગયા છે. દર્દીની સેવા, કર્તવ્ય પરાયણતા અને સમાજ પ્રત્યેનું તેમનું આ દાયિત્વ આદર અને સન્માનિય છે.
માર્ચ મહિનાથી સતત અને જ્યારે કોરોના વોર્ડમાં ડ્યુટી હોય ત્યારે અન્ય એકપણ રજા લીધા વગર સેવા આપતા નર્સિંગ સ્ટાફનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કોરોના હોસ્પિટલમાંથી સાજા થઈને જ્યારે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવે છે ત્યારે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની બહેનો દવા અને સારવાર માં તો મદદ કરે જ દવા અને સારવાર માં તો મદદ કરે જ પરંતુ દર્દીઓને જમાડવાની મદદ હોય કે કપડા બદલાવા સહિતની કોઈપણ મદદ માટે હંમેશા નર્સિંગ ના ભાઈ બહેનો પારિવારિક માહોલમાં સેવા આપે છે.
રાજકોટ પી.ડી.યુ.માં કોરોના સંક્રમિત થયેલા અને ફરી સેવામાં હાજર નર્સિંગ દંપતીઓ
આશિષ ભૂત | અંકિતા હિંગરાજીયા |
જીતુભાઇ મેહ | ગીતાબેન મેહ |
સ્નેહલ ભટ્ટ | પૂજા ભટ્ટ |
સૌરભ નાયક | હીરલ બગથરિયા |
કેતન કોટક | હેતલ કોટક |
હિતેશ પાટોળીયા | ઇન્દુબેન પાટોળીયા |
રાહુલ મકવાણા | સ્વીટી પ્રજાપતિ |
ઘનશ્યામ નકુમ | દર્શના શીસંગીયા |
ભાર્ગવ માઢક | ખ્યાતિ ભટ્ટ |