Paresh Dhanani

પરેશ ધાનાણીના ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે ભેદભાવભર્યું વલણના આરોપ

Paresh Dhanani

ગાંધીનગર, ૨૧ ઓક્ટોબર: આગામી તા. 3 નવેમ્‍બર, 2020ના રોજ રાજ્‍યમાં ધારી, કરજણ, લીંબડી, અબડાસા, મોરબી, ડાંગ, કપરાડા, ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનાર છે, જે અંગેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલી રહી છે. મારા મતવિસ્‍તારના અમરેલી જિલ્લામાં 94-ધારી વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં અમોને મળેલ માહિતી મુજબ, ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે ભેદભાવભર્યું વલણ દાખવવામાં આવે છે,

જેની વિગતો નીચે મુજબ છે :

  1. વિધાનસભા મતદાર વિભાગની માર્ક કોપી સહિતની મતદાર યાદી ઉમેદવારને ચૂંટણી પૂર્વે આપવાની હોય છે પરંતુ હજુ સુધી આપવામાં આવેલ નથી. જે અંગે R.O. Handbookના પ્રકરણ 8ના પારા 8.7.2ની સૂચનાઓનું પાલન થયેલ નથી.
  2. દિવ્‍યાંગ તથા 80 વર્ષની ઉંમરના સીનીયર સીટીઝનો તથા કોવીડ-19 સંક્રમિત મતદારોની યાદી ઉમેદવારને આપવાની હોય છે, તેમ છતાં પૂરી પાડવામાં આવેલ નથી. પ્રાપ્‍ત વિગતો મુજબ, 94-ધારી વિધાનસભા મતવિભાગમાં 7,000 આસપાસ આવા મતદારોને આપના દ્વારા જાણ કરવામાં આવેલ છે, જે અન્‍વયે ફક્‍ત 500 મતદારો તરફથી બેલેટ મારફત મતદાન કરવા માટે નિયત નમુનામાં ફોર્મ ભરવામાં આવેલ છે, આ બાબત પણ શંકા ઉપજાવનારી છે તેમજ ચૂંટણી પ્રક્રિયામાં આવા મતદારોને સાંકળી લેવા માટેની કામગીરી પરત્‍વે તંત્રની શિથિલતા જણાઈ આવે છે.
  3. ચૂંટણી એજન્‍ટની નિમણુંક નિયમોનુસાર કરવા માટે ફોટા વિગેરે વિગતો ચૂંટણી અધિકારીશ્રીને રજૂ કરવા છતાં પણ નિમણુંક અંગેની જાણ કે ચૂંટણી એજન્‍ટનું કાર્ડ ભેદભાવભર્યું વલણ દાખવી હાલ પર્યંત આપવામાં આવેલ નથી, જેના કારણે ઉમેદવારે જાતે વિવિધ કચેરીઓમાં જવું પડે છે.
  4. 94-ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં દિવ્‍યાંગ, સીનીયર સીટીઝન તથા કોવીડ-19 સંક્રમિત મતદારોનું તા. 22-10-2020ના રોજ પોસ્‍ટલ બેલેટથી મતદાન યોજાનાર છે ત્‍યારે તે અંગેની જાણ નિયમોનુસાર ઉમેદવારોને 48 કલાક પહેલાં કરવાની હોય છે, છતાં કરવામાં આવેલ નથી.
  5. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તારીખ તા. 19-10-2020 બાદ માન્‍ય ઉમેદવારો સાથે ખર્ચ નિરીક્ષક દ્વારા ચૂંટણી હિસાબ અંગેની જ મિટીંગ યોજવામાં આવેલ, અન્‍ય કોઈ વિગતો, નિયમો, નવી જોગવાઈ વિગેરેની જાણકારી ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્‍ટને લેખિત કે મૌખિક આપવામાં આવેલ નથી.
  6. લોકપ્રતિનિધિ અધિનિયમ તથા અન્‍ય નિયમોની જોગવાઈ મુજબ ઈવીએમ, વીવીપેટ રેન્‍ડમાઈઝેશન વગેરે ચૂંટણીને લગતી પ્રક્રિયામાં ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્‍ટ હાજર રહી શકે તે માટે તેઓને નિયમોનુસાર લેખિતમાં 48 કલાક અગાઉ જાણ કરીને તેઓની હાજરીમાં પારદર્શક કામગીરી કરવાની હોય છે તેમ છતાં 94-ધારીના ચૂંટણી અધિકારી દ્વારા ખૂબ જ ટૂંકી મુદ્દતની નોટીસથી અગત્‍યની પ્રક્રિયાઓ ઉમેદવારોની ગેરહાજરીમાં કરવામાં આવેલ છે, જે બાબતો શંકા ઉપજાવનારી છે.

જે બાબતે ચૂંટણી તંત્રની શિથિલતા અને અનિયમિતતાઓ નીચે મુજબ છે :

  1. R.O. Handbook પારા 12.3.7 અનુસાર ‘‘Training/Awareness” માટેના EVMs અને VVPATsની યાદી માન્‍ય રાજકીય પક્ષો અને ઉમેદવારોને આપવાની થાય છે, જે યાદી પણ ચૂંટણી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ નથી.
  2. પારા 12.3.8 અનુસાર First Level Randomization બાદ સંબંધિત વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર CUs, BUs અને VVPATsની અલાયદી યાદી પણ તંત્ર દ્વારા સમયસર પૂરી પાડવામાં આવેલ નથી અને પક્ષની કચેરીએ પહોંચાડી તેની રસીદ મેળવવાની ફરજ પણ અદા કરેલ નથી. તેવી જ રીતે ECI No. 51/8/7/2017.EMS dated 30-8-2017ની ચૂંટણી પંચની સૂચનાનુસાર ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ પછી તુરત જ તમામ ઉમેદવારોને પણ આવી યાદી પૂરી પાડવાની હોય છે.
  3. પારા 12.3.9 અનુસાર મતદાન મથકો પર ઉપયોગમાં લેવાનાર CUs, BUs અને VVPATsને સ્‍ટ્રોંગરૂમમાં સીલીંગ કરવા સમયે અમોને અમારા પક્ષના પ્રતિનિધિને પોતાનું સીલ લગાવવાની તકથી પણ વંચિત રાખી શંકાસ્‍પદ કાર્યવાહી કરેલ છે.
  4. પારા 12.3.10 અનુસાર ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની તારીખના તુરત બાદ ચૂંટણી અધિકારીશ્રીએ EVMs અને VVPATs તૈયાર કરવા (Candidate Set) માટેની તારીખ નક્કી કરી ઉમેદવારોને તે અંગેની લેખિત જાણ કરવાની થાય છે તથા ECI No. 51/8/7/2017.EMS dated 30-8-2017 અનુસાર ચુસ્‍તપણે પાલન કરવાની ફરજમાં ચૂક આચરેલ છે અને Balloting Unit પર પીંક પેપર સીલ પર ઉમેદવારની સહી કરવાની જોગવાઈથી વંચિત રાખવામાં આવેલ છે.

ઉક્‍ત વિગતે રાજ્‍યમાં યોજાનાર પેટા ચૂંટણીઓ પારદર્શક અને નિષ્‍પક્ષ રીતે યોજાય તે માટે સંબંધકર્તા ચૂંટણી અધિકારીશ્રીઓને આપના મારફત યોગ્‍ય સૂચના આપવા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિયમોનુસાર થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા ઉમેદવાર તથા તેના ચૂંટણી એજન્‍ટની હાજરીમાં જ થાય તેવી કાર્યવાહી થવી જોઈએ. જેના બદલે એકપક્ષીય રીતે ચાલી રહેલ પ્રક્રિયા શંકા ઉપજાવનારી છે અને સમગ્ર તંત્ર શાસક પક્ષના તાબે થઈ ગયેલ હોય તેવું ઉક્‍ત વિગતો જોતાં જણાઈ આવે છે. જેથી આપના માધ્‍યમથી તમામ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીશ્રીઓ નિષ્‍પક્ષ રીતે કામગીરી કરે તેમજ ચૂંટણી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ/કર્મચારીઓ બાબતે ચૂંટણી સંચાલન અંગેની અદ્યતન જાણકારી તેમજ પૂર્વ તૈયારીઓ અને પૂર્વાયોજનનો પણ અભાવ જણાયેલ હોઈ તમામને યોગ્‍ય સૂચના આપવા મારી વિનંતી સહ ભલામણ છે: પરેશ ધાનાણી

loading…