ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી
સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામના સ્વસહાય જૂથની બહેનોએ નિદર્શન ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
૨૪ સપ્ટેમ્બર: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં મિશન મંગલમ્ યોજના અંતર્ગત જય મહાકાળી સ્વસહાય જૂથની મહિલાઓ નિદર્શન ભોજન બનાવી સગર્ભા મહિલાઓને સાત્વિક ભોજન પૂરૂ પાડવાની કામગીરી થકી આવક મેળવી રહી છે.
આ અંગે મહાકાળી સ્વસહાય જૂથના પ્રમુખશ્રી મીનાબેન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી અમારા જય મહાકાળી સ્વસહાય જૂથ દ્વારા રાજસીતાપુર અને ભાદર ગામની સગર્ભા મહિલાઓને નિદર્શન ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. અમારા સ્વસહાય જૂથ દ્વારા ૪૦ જેટલી સગર્ભા મહિલાઓને નિદર્શન ભોજન પુરૂ પાડીને માસિક રૂપિયા ૮,૦૦૦ થી ૯,૦૦૦ ની આવક મેળવીએ છીએ. જેના કારણે અમારે મજૂરી કરવાની જરૂર પડતી નથી અને અમે અમારા કુટુંબ અને બાળકોને સારી રીતે સાચવી શકીએ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા જૂથના ૧૦ સભ્યો દ્વારા નિદર્શન ભોજનની કામગીરી થકી અત્યાર સુધીમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી છે, જેનો અમારા બાળકોના શિક્ષણ માટે ઉપયોગ કરી રહ્યાં છીએ. આ માટે અમને મિશન મંગલમ્ યોજના અન્વયે રૂપિયા ૧૨,૦૦૦/- રિવોલ્વીંગ ફંડ પેટે પણ મળેલ છે.