રાજકોટ કોવીડ હોસ્પિટલના ડો.આલોક સિંઘની દર્દીનારાયણ પ્રત્યેની અહર્નિશ સેવા
- રાજકોટ કોવીડ હોસ્પિટલના ડો.આલોક સિંઘની દર્દીનારાયણ પ્રત્યેની અહર્નિશ સેવા
- કોરોનાને મ્હાત આપીને પ્લાઝમા ડોનેટ કરતાં ડો. સિંધ : ” જ્યારે પણ જરૂર પડશે હું ફરીવાર પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું”
અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ
રાજકોટ, ૩૦ ઓક્ટોબર: જે રીતે હાથની પાંચેય આંગળીઓનું સ્વતંત્ર મુલ્ય છે તેમ કોઈપણ ક્ષેત્રમાં વર્ગ – ૧ થી લઈને વર્ગ ૪ સુધીના સર્વે કર્મચારીઓના કાર્યોનું વિશેષ મહત્વ છે. નોવેલ કોરોના વાયરસે તબીબ જગત સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની કામગીરીનું અદકેરું મુલ્ય સમજાવ્યું છે. એ પછી આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મી હોય કે પછી સિક્યુરીટી ગાર્ડ. દરેક લોકો પોત-પોતાની રીતે કોરોનાના દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે. કોરોનાની મહામારીના સમયથી જ કોવીડ વોર્ડમાં ફરજ નિભાવીને અહર્નિશ સેવા કરીને દર્દીને મદદરૂપ થઈ રહ્યા છે પિડીયાટ્રીક વિભાગના ડો. આલોક સિંઘ.
કોરોના વોર્ડમાં ફરજ નિભાવતા ડો. આલોક સિંઘે અનેક દર્દીઓની સારવાર કરીને સ્વસ્થ કર્યા છે. ત્યારે આ ફરજ દરમિયાન તેઓ ખુદ કોરોનાથી સંક્રમિત થયા હતા. સંક્રમિત થતાં તેઓ સારવાર અર્થે ૧૦ દિવસ કોવીડ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. સારવારના અંગે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, “હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ થી લઈને સફાઈ કર્મીઓ સુધીના દરેક કર્મચારીએ મારું ખુબ ધ્યાન રાખ્યું છે. મને સપોર્ટ પુરો પાડ્યો છે. ૧૦ દિવસમાં મને સ્વસ્થ કરી દેતા હું ૪ દિવસ હોમ આઈશોલેસનમા રહીને ફરીથી ફરજ પર હાજર થઈ ગયો હતો.”
ફરજ પર હાજર થતાંની સાથે ઉમદા કાર્યનો નિર્ણય લેતા ડો સિંધે સ્વસ્થ થયાના ૩૦ દિવસ બાદ હોસ્પિટલની બ્લડ બેન્કમાં પ્લાઝમા ડોનેટ કર્યું. પ્લાઝમા ડોનેશન અંગે અન્ય નાગરીકોને પણ માહિતી આપતા જણાવ્યું કે, “સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં પ્લાઝમા ડોનેશનનું કાર્ય ચાલું છે. જે લોકો સ્વૈચ્છાએ પ્લાઝમા ડોનેટ કરવા માંગતા હોય તેઓ પ્લાઝમા ડોનેટ કરીને કોરોના દર્દીઓને નવજીવનબક્ષી શકે છે. મેં એકવાર પ્લાઝમા ડોનેટ કર્યું છે પરંતુ આગામી સમયમાં જ્યારે જરૂર પડશે તો હું બીજીવાર પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું.”
ડો. આલોક સિંઘ જેવા અનેક આરોગ્ય કર્મીઓ ઉદ્દાત ભાવના સાથે દર્દીનારાયણની સેવા તો કરી જ રહ્યા છે. પરંતુ સાથો સાથ ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા બાદ ફરીથી ફરજ પર હાજર થઈને, પ્લાઝમા ડોનેટ કરીને આમજનોને પ્લાઝમા ડોનેટ કરવાની પ્રેરણા આપીને મહામુલી માનવ જીંદગીને બચાવવા જાગૃત કરી રહ્યા છે.
આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ