જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક
જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
જમીન, આવાસ, રસ્તા, બસ સ્ટેન્ડ, આરોગ્ય સંલગ્ન વિકાસ કામોની સમીક્ષાર્થે
કોરોના વચ્ચે વિકાસકામો પૂર્ણરૂપે આગળ વધે તે માટે અધિકારીઓને સૂચના આપતા મંત્રીશ્રી
રાજકોટ તા. ૩, સપ્ટેમ્બર : કોરોના મહામારી વચ્ચે વિકાસકામો અવિરતપણે ચાલુ રહે અને તેમાં કોઈ મુશ્કેલી ન પડે તે સંદર્ભે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિછીયા તેમજ જસદણ તાલુકાના વિકાસ કામોની સમીક્ષા અર્થે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મંત્રીશ્રી બાવળિયાએ જસદણ – વિંછીયા પંથકમાં પ્રધાનમંત્રી આવાસ, વિચારતી અને વિમુક્ત જાતિને જમીન વિતરણ, ગામોના આંતરિક રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લગતા વિવિધ પ્રોજેક્ટની પ્રવર્તમાન પરિસ્થિતિની માહિતી અધિકારીઓ પાસેથી મેળવી હતી. જેની સમીક્ષા બાદ પ્રવર્તમાન યોજનાઓ ખૂબ ઝડપથી પરિપૂર્ણ કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.
વર્ષ ૨૦૧૯-૨૦ ની ધારાસભ્યશ્રી ગ્રાન્ટમાંથી શરૂ કરવામાં આવેલા કામો, બીપીએલ લાભાર્થીઓને મળવા પાત્ર લાભો, ભડલી, વિંછીયા તેમજ દેવધરી ગ્રામ પંચાયત ઘરની કામગીરી, જસદણ તેમજ વિછીયા બસ સ્ટેન્ડ નવીનીકરણ, બંને તાલુકામાં રોડ રસ્તાની છેલ્લી સ્થિતિ, જસદણ વિછીયા તાલુકાના વિચરતી-વિમુક્ત જાતિના લોકોને પ્લોટ ફાળવણીમાં બાકી રહેતા પ્રકરણોની સમીક્ષા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ બાબતે મંત્રીશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને આગળના કામો ખૂબ ઝડપથી પૂર્ણ કરવા દિશાનિદર્શ કર્યો હતો. મિટિંગના પ્રારંભે મંત્રીશ્રી બાવળીયાએ ખાસ ભાર મુકતા જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂરત છે અને સરકારી કામગીરી ચાલુ રહે તે માટે કર્મચારીઓને કાર્યાન્વિત રહેવા જોઇએ.
સંકલન બેઠકમાં ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી જે.કે.પટેલ, પ્રાંતઅધિકારીશ્રી પી.એચ. ગલચર, મામલદાર શ્રી આર.વી.ડાંગી સહીત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.