હજીરા કાંઠા વિસ્તારના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ
અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરા કાંઠા વિસ્તારના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ
સુરત, ૨૧ સપ્ટેમ્બર: અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત હજીરાકાંઠા વિસ્તારના છેવાડાના આઠ ગામોની ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની શિક્ષણની કામગીરી કોરોનાના કપરા કાળમાં પણ અવિરતપણે ચાલુ રહેવા પામી છે. પ્રવર્તમાન કોરોનાને લીધે બાળકો શિક્ષણથી વિખુટા ન પડી જાય અને ‘શાળા બંધ છે, શિક્ષણ બંધ નહીં’ સૂત્રને સાર્થક કરવા ઉત્થાન સહાયકો સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને સતત કાર્ય કરી રહ્યા છે.
હજીરાકાંઠા એક એવો વિસ્તાર છે જ્યાં એવા ઘણાં બાળકો અને વાલીઓ છે, જેમના પાસે એન્ડ્રોઈડ ફોન, ટીવી કે ઓનલાઇન શિક્ષણ મેળવવાનું કોઈ માધ્યમ નથી.
એવા પરિવારના બાળકો માટે આ પ્રોજેકટ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. શાળાના સામાન્ય બાળકો સાથે પ્રિય બાળકો કે, જેમને વાંચન, લેખન અને ગણનમાં વિશેષ મદદની જરૂરીયાત છે, તેમના ઘરે ઉત્થાન પ્રોજેક્ટની ટીમના સભ્યો રૂબરૂ મુલાકાત કરીને વર્કશીટ, ટી.એલ.એમ અને જરૂરી અભ્યાસ સામગ્રી આપી બાળકોની રસ-રુચિવાળી પ્રવૃત્તિઓ દ્વારા ભણાવી રહ્યા છે.
આ ઉપરાંત, બાળકો પણ જ્યારે લાંબા સમયથી શાળામાં જઈ શિક્ષણ મેળવી શકતા નથી, ત્યારે આ રૂબરૂ મુલાકાત દ્વારા તેઓ હોંશભેર સાથ-સહકાર આપીને અભ્યાસ કરી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન આજ સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે કે જ્યાં સુધી શાળાઓ પૂન:ખુલશે નહિ ત્યાં સુધી આ પદ્ધતિથી વિદ્યાર્થીઓના ઘરની મુલાકાત લઈ શિક્ષણકાર્ય ચાલુ રાખવામાં આવશે.