પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે
આરોગ્ય સર્વેલન્સ વધુ સઘન બનાવવા કલેકટરશ્રી સંદીપ સાગલેના
હસ્તે ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું
રિપોર્ટ:માહિતી બ્યુરો, પાલનપુર
બનાસકાઠા જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘર આંગણે જઇ આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવશે. લોકોને ઘેરબેઠા સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અને આરોગ્ય સર્વેલન્સ વધુ સઘન બનવવા બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે ૬ ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. પાલનપુર શહેરમાં ૪ અને ડીસામાં ૨ ધન્વંતરી આરોગ્ય રથ
કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકોને ઘરે જઇ આરોગ્ય સેવાઓ પુરી પાડશે.
આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમાં કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા અને તેની સામે લડત આપવા કન્ટેઇનમેન્ટ ઝોનમાં નિયમિત સર્વેલન્સ ચાલુ છે. પરંતું આ સર્વેલન્સ વધુ સઘન બનાવવા માટે પાલનપુર શહેરમાં ૪ અને ડીસામાં ૨ એમ કુલ-૬ ધન્વંતરી આરોગ્ય રથ લોકોની સેવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આરોગ્ય ધન્વંતરી રથમાં મેડીકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ, શરદી, ઝાડા,
ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ચામડીના રોગોના નિદાન કરી સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવશે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે ધન્વંતરી આરોગ્ય રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનોની સાથે સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ રથના માધ્યમથી શંકાસ્પદ જણાતાં વ્યક્તિઓની સઘન ચકાસણી કરી અલગ
તારવી કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શકાશે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સી, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગ, ર્ડા. ભારમલભાઇ પટેલ સહિત રથમાં સવાર આરોગ્યના ર્ડાકટરો અને પેરા મેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦