સયાજી હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવાર સુવિધા હેઠળ દાખલ દર્દીઓ માટે દૈનિક રૂ.૧૫ થી ૫૦ લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો
લોક આરોગ્યની રક્ષા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર
- વડોદરાની સયાજી હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવાર સુવિધા હેઠળ દાખલ દર્દીઓની સંખ્યા પ્રમાણે સરકારી તિજોરીમાંથી દૈનિક રૂ.૧૫ થી ૫૦ લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો
- હાલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં હાશકારો
વડોદરા, ૦૩ જાન્યુઆરી: ગુજરાત સરકારે દૂરંદેશી દાખવીને કોવિડ સારવાર માટે જરૂરી સુવિધાઓ આગોતરી ઊભી કરી હતી અને સમયાંતરે તેમાં એસ.ઓ.પી.પ્રમાણે સુધારા વધારા કર્યા હતા.વડોદરાની વાત કરીએ તો સયાજી અને ગોત્રી દવાખાનાઓમાં અગાઉથી સંસર્ગમુક્ત સારવાર આપી શકાય તે માટે અલાયદા વોર્ડની રચના કરી હતી.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડની એડવાન્સ એટલે કે ટર્શિયરી કેરની સુવિધા ઊભી કરીને, સમયની માંગ પ્રમાણે સતત બેડ સંખ્યા વધારતાં જઈને ૫૭૫ સુધી લઈ જવામાં આવી અને એક આખી ઇમારત તેના માટે અનામત કરી દેવામાં આવી.આમ, લગભગ માર્ચથી રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાઓ હેઠળ ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ આ સુવિધાઓનો સતત વ્યાપ વધારવામાં આવ્યો અને ઓકસીજન પુરવઠા સહિત અદ્યતન જીવન રક્ષક યંત્રો અને ઉપકરણો ઉમેરવામાં આવ્યા જેને પગલે આ સાવ નવી બીમારીના પડકારનો સામનો કરવાની આરોગ્ય તંત્રની તાકાતમાં વધારો થયો અને પીડિતોને રાહત મળી.
આ સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ કરેલા એક રસપ્રદ વિશ્વલેશણ પ્રમાણે દાખલ દર્દીઓની સંખ્યામાં વધારાના અનુપાતમાં લગભગ છેલ્લા છ મહિના દરમિયાન સારવાર અને અન્ય સુવિધાઓ માટે દૈનિક રૂ.૧૫ થી લઈને રૂ.૫૦ લાખ સુધીનો ખર્ચ લોક આરોગ્યની રક્ષા માટે સરકારની તિજોરીમાંથી કરવામાં આવતો રહ્યો છે. તેમણે માંડેલા અંદાજ પ્રમાણે જ્યારે દાખલ દર્દીઓની સંખ્યા ૧૦૦ જેટલી હોય ત્યારે તેમના ભોજન, દવાઓ સહિતની સગવડો માટે દૈનિક રૂ.૧૫ થી ૨૦ લાખનો ખર્ચ થતો હતો.નોંધ લેવી ઘટે કે અહી રાજ્ય સરકાર દ્વારા કુલ ૫૭૫ બેડની સારવાર સુવિધા, અદ્યતન જીવન રક્ષક વેન્ટિલેટરથી સુસજ્જ ૧૦૦ બેડ, ૫૦ બેડ આઇસીયુ વેન્ટિલેટર વગર, આમ ૧૫૦ પથારી ના આઇ.સી.યુ./ સેમી આઇ.સી.યુ., ૩૦૦ બેડ પર ઓકસીજન આપવાની સુવિધા અને ખૂબ ઓછી અસર વાળા દર્દીઓ માટે અન્ય સાદા બેડની વ્યાપક સુવિધાઓ કરવામાં આવી જેનો લાભ માત્ર વડોદરા શહેર અને જિલ્લાના જ નહિ પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના અને ક્વચિત પાડોશી રાજ્યોના કોરોના અસરગ્રસ્તોએ લીધો અને રાજ્ય સરકારે સારવાર સુવિધા આપવામાં કોઈ કચાશ ના રાખી.
ડો.બેલીમે જણાવ્યું કે અહી આજે પણ નિષ્ણાત તબીબોની આગેવાની હેઠળ તબીબી ટીમ દિવસમાં ઓછામાં ઓછાં બે વાર પ્રત્યેક દર્દીની તપાસ, કેસ પેપરનું નિરીક્ષણ કરીને,પરામર્શ દ્વારા સારવારમાં સુધારો વધારો અને ફેરફાર કરે છે.દર્દીની કોમોરબિડિટી પ્રમાણે અન્ય રોગોના નિષ્ણાત તબીબોના પરામર્શ પ્રમાણે સારવારમાં ફેરફાર કરવામાં આવે છે.આઇ.સી.એમ.આર.ની ગાઈડ લાઇનને અનુસરીને સારવાર આપવામાં આવી રહી છે.દર્દીઓની સંખ્યા અવશ્ય ઘટી છે પરંતુ સારવાર એટલી જ ચુસ્તતા સાથે કરવામાં આવી રહી છે.
તેની સાથે દર્દીને સવારમાં નાસ્તો, દૂધ, બે વાર ભોજન સહિત જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે.નિષ્ણાતોની સલાહ પ્રમાણે દર્દીના જરૂર જણાય તેટલીવાર બ્લડ રીપોર્ટસ કઢાવવા, પોર્ટબલ મશીન દ્વારા પથારી નજીક જ એક્ષરે,જરૂરી હોય તો એડવાન્સ સિટી સ્કેન ,સુગર અને બી.પી.ની તપાસ, ઇસીજી, વહેલી સવાર થી મોડી રાત સુધી સારવારનો આ ક્રમ તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ચાલુ રાખવામાં આવે છે. કોવિડ પ્રોટોકોલમાં ઠરાવેલા રીપોર્ટસનો ખર્ચ જ લગભગ રૂ.૧૦ હજાર થાય છે. દર્દીઓને શ્વસન નિયમિત અને સ્થિર કરવા ફિઝિયોથેરાપી, શ્વાસની કસરતો, લાફીંગ થેરાપી અને સંગીતનો લાભ મળે તેવી વ્યવસ્થા એક આગવી વિશેષતા બની રહી છે. તેની સાથે સેવકો દ્વારા સતત સાફ સફાઈ અને જરૂરી સેનેટાઇઝેશનની કાળજી લેવામાં આવે છે.રોગમુક્ત દર્દીને રજા આપતી વખતે લગભગ ૧૫ દિવસની જરૂરી દવાઓ અને ઉચિત પરામર્શ આપવાની સાથે આપવામાં આવેલી સારવાર ની સંક્ષિપ્ત જાણકારી સાથેનું ડિસચાર્જ કાર્ડ આપવામાં આવે છે જે દર્દીને ભવિષ્યમાં સારવારની જરૂર પડે તો હેલ્થ કાર્ડ તરીકે ઉપયોગી નીવડે તેવું છે.
આજે સયાજી હોસ્પિટલમાં અને કોવિડ વિભાગમાં પાઇપ લાઇન દ્વારા બેડ પર જ આપી શકાય એવી ઓકસીજન પુરવઠાની, સતત પુરવઠાની ખાતરી માટે બે ઓકસીજન ટાંકીઓની સુવિધા છે.સતત અદ્યતન જીવન રક્ષક યંત્રો આપવામાં આવ્યા છે અને છેલ્લે વિશેષ કોવિડ ટ્રાયેજની સુવિધા ઉમેરવામાં આવી છે.તબીબી તપાસ કેન્દ્ર પણ પરિસરમાં જ શરૂ કરવામાં આવ્યું છે.આમ, રાજ્ય સરકારે સરકારી દવાખાનામાં કોરોનાની સારવારની લગભગ અદ્યતન ખાનગી હોસ્પિટલને સમકક્ષ સુવિધા સ્થાપીને અને લગભગ વિનામૂલ્યે સારવારનો લાભ આપીને લોક આરોગ્યના રક્ષણ ની નિષ્ઠા બતાવી છે.